- સોમનાથ દર્શને આવનાર ભક્તોને સતર્ક ઓનલાઈન વ્યવહાર કરવા નિર્દેશ
- ગુગલ સર્ચના માધ્યમથી રૂમ બુકિંગ અથવા દાન દેનારા ભક્તોને ફસાવી રહી છે બોગસ વેબસાઇટ્સ
- યાત્રિકો ફ્રોડનો ભોગ ન બને તે માટે ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની વેબસાઇટ પર ચેતવણી અને સ્ક્રોલ મુકાયું
- ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઈટ somnath.org પર ઓનલાઈન બુકિંગ સ્વીકારાય છે: વિજયસિંહ ચાવડા
- સોમનાથ ટ્રસ્ટ દ્વારા ક્યારેય પણ ટેલિફોન, QR કોડ કે UPI થી પેમેન્ટ માંગવામાં આવતું
કરોડો ભક્તોની આસ્થાના પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે પ્રતિવર્ષ કરોડો યાત્રી આવતા હોય છે. સોમનાથ આવનાર ભક્તોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યાજબી ભાવે રહેવા માટે અતિથિગૃહની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આજે જ્યારે ભક્તો ઓનલાઇન બુકિંગ કરીને જ પ્રવાસ કરવાનું પસંદ કરે છે ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતાની ઑફિશ્યલ વેબસાઈટ somnath.org પરથી 120 દિવસ એડવાન્સમાં બુકિંગ સ્વીકારવામાં આવે છે. ત્યારે આ અતિથિગૃહોમાં ઓનલાઇન બુકિંગ કરવા માટે ઘણી વખત સર્ચ એન્જિન પર સર્ચ કરનારા લોકોને ફસાવવા માટે અનેક ફ્રોડ દ્વારા બોગસ વેબસાઇટ અને નંબર સોમનાથ બુકિંગ ના કી-વર્ડ સાથે સ્પોન્સર કરીને યેનકેન પ્રકારે જોડવામાં આવે છે. લોકો google પર સોમનાથ બુકિંગ સર્ચ કરે એટલે જુદી જુદી સ્પોન્સર વેબસાઈટ પર આ વ્યક્તિનો નંબર અને સોમનાથના અતિથિગૃહોના ફોટા આવે છે આ ઠગ તેમની પાસેથી બેંક ટ્રાન્સફર અથવા યુપીઆઈ મારફતે પૈસા ઉઘરાવી લે છે લોકો સોમનાથ આવે ત્યારે તેમને ખ્યાલ આવે કે તેમના નામનું કોઈ બુકિંગ થયું જ નથી.
આવનાર વેકેશનમાં આવા બનાવો ન બને અને યાત્રિકો ફ્રોડનો ભોગ ન બને તે માટે ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની વેબસાઇટ પર પણ ચેતવણી અને સ્ક્રોલ મુકવામાં આવેલ છે તેમજ સોશ્યલ મીડિયા મારફત ભક્તોને સૂચિત પણ કરાયા છે કે ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઈટ somnath.org સિવાય કોઈપણ માધ્યમને ઓનલાઈન પેમેન્ટ જમા ન કરાવે. તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ક્યારેય પણ ટેલિફોન, QR કોડ કે upi થી પેમેન્ટ માંગવામાં આવતું નથી. માત્ર somnath.org પરથી જ ઓનલાઈન બુકિંગ સ્વીકારવામાં આવે છે તેમ જણાવવામાં આવે છે.
ત્યારે ઇન્ટરનેટ પર આંખ બંધ કરીને ભરોસો કરનાર અને સૌ પ્રથમ સર્ચ રિઝલ્ટમાં આવનાર કોઈપણ સ્પોન્સર્ડ ટ્રીપ પ્લાનિંગ વેબસાઈટ પર જઈને ખાતરી કર્યા વગર બુકિંગ કરનાર ટેક-સેવી લોકોએ પણ જાગૃત થવા માટે સમયની માંગ છે.
અહેવાલ : જયેશ પરમાર