Abtak Media Google News
સ્વમાન ખાતર બંગલો ખાલી કરવાનું ટાળી સર્વિસ રીવોલ્વર લોડ રાખવા સહિતની સાવચેતી સાથે રહેવાનો મકકમ નિર્ણય કર્યો !

ભૂત બંગલો 3

દરરોજ કરતા આજે ફોજદાર જયદેવ મોડો ઉઠેલ હતો આથી ઓર્ડરલી મામદને એ વાતની ચિંતા અને બહુ જ દુ:ખ લાગ્યું કે ના પાડવા છતાં જમાદાર પાટીલે ફોજદાર જયદેવને ફોજદારી કવાર્ટરની અગાઉની વાતો કરી દીધી. તેને ચિંતા હતી કે ચૌધરી જેવા અનુભવી અને પીઢ ફોજદાર પણ ડરી ગયેલા. તો આ જયદેવતો સાવ નાની ઉંમરના ફોજદાર છે. જો કવાર્ટરમાં કાંઈક થશે અથવા ડરી જશે તો તે પણ લોધિકાથી ચાલી જશે. તેથી હવે મામદ જયદેવને સારું લગાડવા સતત પ્રયત્ન કરતો સારી: . સારી વાતો કરતો. સતત સેવામાં હાજર રહેતો. હવે તે પોલીસ સ્ટેશને પણ જયદેવ સાથે જ હાજર રહેવા લાગ્યો.

એક દિવસ રાઇટર મહેન્દ્રસિંહે જયદેવને કહ્યું; કે મામદ કહેતો હતો જમાદાર પાટીલે ફોજદારી કવાર્ટર વાળી રાવ સાહેબ અને ચૌધરી સાહેબવાળી વાતો તમને કરી દીધી એ વાત સાચી? જયદેવે હા પાડી એટલે મહેન્દ્રસિંહ જયદેવ સામે તાકી રહ્યો. જયદેવના હાવભાવનું નિરીક્ષણ કરતો હોય તેવું લાગ્યું. ફરીથી પૂછયું; ’કેટલા દિવસ પહેલાં વાત કરી?’

જયદેવે કહ્યું કે દસ પંદર દિવસ પહેલાં કરેલી પરંતુ પાટીલે સામેથી વાત નથી કરી. મેં તેની પાસેથી પરાણે વાત કઢાવેલ છે. મહેન્દ્રસિંહે કહ્યું; ’આવું તમે માનો છો?’ જયદેવે કહ્યું કે હજુ સુધી કયારેય આવું જોયું નથી પરંતુ આ રાવ સાહેબ અને ચૌધરી સાહેબ’ ની વાતો અતિ ગંભીર લાગે છે અને વલીચાચા જેવા પીઢ અને નિવૃત્ત અધિકારીએ જે મને અરધી પરધી વાતો કરેલી તે પણ હવે પ્રાસ મળતો હોય તેમ શંકા અને ડર ઉત્પન્ન કરતી જણાય છે. પરંતુ જુઓ તો ખરા પાટીલે વાત કર્યાને દસ પંદર દિવસ થઈ ગયા આપણને કાંઈ થયું? અને મહેન્દ્રસિંહને રાહત થઈ.

અગાઉ મામદે જયદેવને કવાર્ટરના બંને રૂમ વચ્ચેનો દરવાજો રાત્રે સૂતી વખતે બંધ કરવાનું કહેલું જેથી જયદેવ તે દરવાજા બંધ જ રાખતો. અરધી રાત્રે તરસ લાગે ત્યારે પાણી પીવા માટે તે દરવાજો ખોલીને રૂમમાં જતો અને બાથરૂમ જવું હોય તો આ વચલો દરવાજો ખોલી રૂમમાં થઈ પાછળ ફળિયાનો દરવાજો ખોલીને બાથરૂમમાં જતો.

આમને આમ ફરી દસ પંદર દિવસ પસાર થઈ ગયા. એક રાત્રીના જયદેવને તરસ લાગી એટલે ઊઠીને વચલા રૂમનો દરવાજો ખોલી તેમાં જઈને પાણી પીવા લાગ્યો પરંતુ સાથે એ પણ અનુભવ કર્યો કે રૂમમાં અદ્ભૂત અલૌકિક ધૂપની મીઠી આહ્લાદક અને નશો ચડે તેવી ધી… મી… ધી…મી સુગંધ આવતી હતી. જયદેવે પાણી પી લીધું અને પાછળ બારીમાંથી જોયું તો બહાર તો ઉજજડ વેરાન ખેતર પડેલું હતું અને દૂર જમણી બાજુ ગામના પાદરમાં ઈલેક્ટ્રિક થાંભલાનો લેમ્પ ટમટમતો હતો. જયદેવને થયું કે દિવસના સમયે મામદે કાંઈક ‘બાદ’નિવારણ માટે ધૂપ કયો હશે કેમ કે તે બહુ ચિંતા કરતો હતો. જયદેવ વચલો રૂમ બંધ કરી ફરી પથારીમાં સૂઈ ગયો. સવારે રાબેતા મુજબ મામદ આવી ગયો. હોટલમાંથી ચા લઈ આવ્યો. ચા પીને જયદેવે મામદને પૂછ્યું; ’તમે મકાનમાં કાંઈ વિધિ, ધૂપ-બૂપ, ટુચકા કરતા નથી ને?’

મામદ કહે; ’ના સાહેબ, અલ્લાતાલા ખ્યાલ રાખે. મને તેવી કોઈ ખબર જ પડતી નથી,’ અને જયદેવ આ વાત ભૂલી ગયો. બે ચાર દિવસ પછી અરધી રાત્રે ફરીથી જયદેવ પાણી પીવા વચલા રૂમમાં દરવાજો ખોલીને ગયો અને સીધી જ પેલી અલૌકિક સુગંધ આખા રૂમને સુગંધથી તરબોળ કરતી અને ખૂબ જ પ્રમાણમાં આવતી હતી. જયદેવે પાણી પીધું અને બારીમાંથી જોયું કે બારીમાંથી તો કોઈ ધૂપ કે સુગંધને રૂમમાં દાખલ કરતા નથી ને? જેથી તે ખાતરી કરવા બારી પાસે ગયો તો બારી પાસે કોઈ જ સુગંધ આવતી ન હતી બારી બહાર એ જ ઉજજડ ખેતર, દૂર ઈલેક્ટ્રિકનો થાંભલો અને લેમ્પ અને થોડી જગ્યામાં અજવાળું જોયું. જયદેવે આજુબાજુમાંથી કાંઈક હશે તેમ માની વચલો રૂમ બંધ કરી ફરીથી સૂઈ ગયો.

સવારે રાબેતા મુજબની દિનચર્યા પૂરી કરી પણ જયદેવને હવે રાત્રીની સુગંધ મગજમાંથી જતી નહોતી. તેનો ઉકેલ શોધવો હતો. ફોજદારી કવાર્ટરમાં વચલા રૂમ પછી લાંબું મોટુ ફળિયું અને તે પછી પોલીસ લાઈન ચાલુ થતી હતી. પોલીસ લાઈનના છેડે પોલીસ સ્ટેશન અને તે પછી લોધિકાનો મુખ્ય રસ્તો અને ચોક તથા બસ સ્ટેન્ડ આવેલાં હતાં. એટલે કે ફોજદારી કવાર્ટરનાં દરવાજાથી ઊભાઊભા પોલીસ લાઇનના જે છ-સાત કવાર્ટર હતા તેની ઓસરી, પોલીસ સ્ટેશનની ઓસરી તથા રોડ અને તે પછી આખું બસ સ્ટેન્ડ જોઈ શકાતું હતું. ફોજદારી કવાર્ટરના ફળિયા પછી લાઈનમાં પહેલું મકાન પ્રવીણદાન ગઢવીનું હતું. આ પ્રવીણદાન અતિ નમ્ર,
વિવેકી અને માતાજીનો ચાહક ભકત હતો. જયદેવને મનમાં ચમકારો થયો કે માતાજીનો ભકત રાત્રે ધુપ કરતો હશે. તેથી તુરત પ્રવીણદાનને બોલાવ્યો અને તેને એકલાને જ ખાનગીમાં પૂછ્યું કે ઘરમાં ધૂપ કરો છો? પ્રવીણદાને કહ્યું; ’ધૂપ તો નવરાત્રીમાં કરીએ. અત્યારે તો માતાજીને દીવા જ કરીએ છીએ.’

ચતુર ગઢવી સમજી ગયો. પોતાની શંકાનું નિવારણ કરવા જયદેવને બીજી રીતે પૂછ્યું, ’સાહેબ, ધૂપની જરૂર છે?’ જયદેવને આ પ્રશ્નની અપેક્ષા ન હતી. તાત્કાલિક શો જવાબ દેવો તે નક્કી કરી શકયો નહિ. એટલે સાચી વાત કરી દીધી કે આ તો રાત્રે ધૂપની સુગંધ આવી હતી એટલે પૂછ્યું. તેથી ગઢવીએ કહ્યું; ’સાહેબ, ધૂપ હોય તો સંધ્યા ટાણે હોય, અરધી રાત્રે ન હોય અને માનો કે કદાચ હોય તો પણ હું નથી માનતો કે આવડું મોટું ફળિયું પસાર કર્યા પછી તમારા રૂમ સુધી હવામાં ધૂપની સુગંધ રહે. હવે સુગંધ આવે તો મારું ઘર કયાં દૂર છે ? મને જગાડજો. આપણે બંને તે કયાંથી આવે છે તે શોધી કાઢીશું. જયદેવ કહે; ’ભલે, પણ આ બાબતની કાંઇ ચર્ચા કરતા નહિ.’
પરંતુ તે પછી જયદેવ રાત્રીના બાજુના રૂમમાં પાણી પીવા જતો ત્યારે જે સુગંધ આવતી હતી તે બંધ થઈ ગઈ. જયદેવને બંદોબસ્ત માટે બે દિવસ બહારગામ જવાનું થયું. બંદોબસ્ત પૂરો થતાં મોડી સાંજે રીબડા પહોંચ્યો એટલે હાઇવેની હોટલ ઉપર જમ્યો અને જમીને લોધિકા આવ્યો. ત્યાં રાત્રીના મોડું થઈ ગયું હતું જેથી કવાર્ટર ઉપર આવીને થાકયોપાકયો સીધો સૂઈ ગયો.

અરધી રાત્રે જયદેવ બાજુના રૂમમાં પાણી પીવા ગયો. પાણી પીતાં પીતાં તેની નજર બારીમાં ગઈ અને બારીમાંથી અદ્ભૂત દૃશ્યનો નજારો જોયો જયદેવ કાંઈ બીજું વિચારી જ ન શકયો. તે આ અદ્ભૂત દૃશ્યને જોવા જ લાગ્યો. સમગ્ર બારી જાણે ચલચિત્રનો પડદો હોય તેમ તેમાં દૂર ઈલેક્ટ્રિકનો થાંભલો તો ખરો જ, પરંતુ બાજુમાં નયનરમ્ય વૃક્ષ, વૃક્ષ નીચે સુંદર રમતાં પક્ષીઓ, પાસેથી પાણીનું એક સુંદર ઝરણું પસાર થતું હતું. આજુબાજુમાં બીજા જુદા જુદા રંગબેરંગી ફૂલોવાળા છોડવા હતા અને તેની ઉપર પતંગિયાં અને ભમરા પણ ઊડતાં હતાં. જયદેવે અચંબો પામીને લગભગ પાંચેક મિનિટ આ અદ્ભૂત દૃશ્ય રસપૂર્વક નિહાળ્યું. પછી તેને વાસ્તવિકતાનો એટલે કે લોધિકાના તે ઉજજડ ખેતર અને કવાર્ટરની યાદ આવતાં જ તેણે નજર પોતાના શરીર ઉપર ફેરવી, પોતે પૂરો જાગૃત છે કે કેમ તે ખાતરી કરવા જાતે જ ચીંટયો ભર્યો તો જાગૃત જ હતો અને પેલું અદ્ભૂત દૃશ્ય તો તેવું જ સુંદર વૃક્ષો, ફૂલવાળા છોડ, પક્ષીઓ અને ઝરણું જાણે કાશ્મીર હોય તેમ જોઈ લ્યો. તેથી જયદેવ તે રૂમમાંથી નીકળી તે રૂમનો દરવાજો બંધ કરી પથારીવાળા રૂમમાં આવી પથારી ઉપર લંબાવી દીધું.

થોડીવાર જયદેવે પથારીમાં પડખાં ફેરવ્યાં. નિંદર આવી નહિ, પરંતુ બંદોબસ્ત કરીને થાકેલો હોઈ ફરીથી સૂઈ ગયો. સવારે નિયત સમયે ઊઠી ગયો અને ઊઠીને પહેલું કામ બાજુના રૂમનો દરવાજો ખોલી તેમાં જઈ બારીમાંથી જોયું તો તે જ ઉજજડ ખેતર, દૂર ધૂળિયો રસ્તો, રસ્તાના સામા કિનારે ઈલેક્ટ્રિકનો થાંભલો અને થોરની વાડ ઊભી હતી. જયદેવે તર્ક કર્યો કે રાત્રીની તંદ્રા અવસ્થામાં -આ થોરનાં ઝાડ સુંદર વૃક્ષ કલ્પી શકાય કે કેમ ? પરંતુ તેનો કોઈ તાલમેળ પડ્યો નહિ. તે જ પ્રમાણે સુંદર રંગબેરંગી ફૂલોવાળા છોડ કલ્પી શકાય કે કેમ ? તે પણ મેચ થતું ન હતું, પરંતુ પક્ષીઓ પતંગિયાં અને પાણીના ઝરણાની કલ્પના કોઈ હિસાબે તંદ્રા અવસ્થામાં હોય તો પણ મેળ પડતો ન હતો. વળી પોતાની જાતને ચોંટિયો ભરી ખાતરી પણ કરેલ હતી. બીજુ અગાઉ રાત્રીના નિયમિત રીતે પાણી પીવા આ રૂમમાં આવતો ત્યારે બારીમાંથી બહાર નજર નાખતો ત્યારે કોઈ દિવસ આવો અણસાર પણ આવેલ નહિ.

જયદેવે બચપણમાં પોતાના ગામમાં સંત દુ:ખીશ્યામ બાપુને ભૂત અને તેના ડર અંગે પ્રશ્ર્ન પૂછેલ અને બાપુએ જવાબ આપેલ કે મનુષ્યને બે શરીર હોય છે. એક પંચમહાભૂતનું આ સ્થૂળ શરીર અને બીજું સૂક્ષ્મ શરીર મન, બુદ્ધિ અને અહંકાર (વાસના)નું બનેલું હોય છે, પરંતુ ભૂત અને પ્રેત પાસે ફકત એક શરીર સૂક્ષ્મ શરીર એટલે કે મન બુદ્ધિ અને અહંકારનું જ હોય છે. સ્થૂળ દેહ તેમને હોતો નથી તેથી ભૂત કે પ્રેત મનુષ્યને કાંઈ કરી શકે નહિ, પરંતુ આભાસ પેદા કરી શકે છે, જો વ્યકિત નબળા મનની હોય તો ડરી જાય.
મનુષ્યના જીવન દરમિયાન જેવાં કર્મો અને કૃત્યો હોય તેવી તેના આત્માની ગતિ થાય છે. પાપી કર્મો નીચ કાર્યો અને શાસ્ત્રમાં મનાઈ કરેલ કર્મો કરે તો આવી ભૂત-પ્રેત પાપ યોનિમાં આત્માની ગતિ થાય. તેમાં પણ જેટલા પ્રમાણમાં પાપ કર્મો હોય તેવા પ્રેતાત્મા જેવા કે પીચાસ, ખવીસ, મામો, બાબરો, બોડિયો વગેરે અને મહિલાઓમાં ડાકણ, પિશાચિની, ચુડેલ, ઝાપડી, શિકોતેર વગેરે રૂપે આત્મા ગતિ કરે છે અને પોતાના પાપ કર્મોનાં પરિણામ ભોગવે છે. અને જો થોડાં ઘણાં સત્કર્મો કર્યાં હોય તો પૂણ્ય કર્યા હોય તો ઈશ્વર ફરી થી સદ્ગતિની તક આપી મનુષ્ય યોનિમાં જન્મ આપે છે.

જો કામનાઓ, ઈચ્છાઓ સાથે પુણ્ય કર્મો, શાસ્ત્રવિદિત કર્મો, ધર્મકાર્યો કર્યાં હોય તો દેવયોનિ મળે છે. પરંતુ પુણ્ય પૂરો થતાં ફરી દેવયોનિમાંથી મનુષ્ય યોનિમાં આવવું જ પડે છે. મનુષ્ય યોની જ સારા કે ખરાબ કર્મો કરવા એટલે કે પાપ કે પુણ્ય કમાવવાની યોનિ છે.

આ જન્મમરણ રૂપી ચક્રમાંથી કોઈએ છૂટવું હોય તો એટલે કે મોક્ષ મેળવવો હોય તો મનુષ્ય જીવન દરમિયાન ’કર્મયોગ’ એટલે કે શાસ્ત્રોમાં કરવાનાં કહેલ નિત્યકર્મો ઈચ્છા અને કામના વગર, પરોપકાર સેવા રૂપે ઈશ્વર અર્પણ કરી દેવામાં આવે તો આત્માની ગતિ ઈશ્વર તરફ એટલે કે મોક્ષ તરફ થાય છે આવું જ્ઞાન મળેલું.

ફોજદાર જયદેવે આ જ્ઞાન રૂપી સમીકરણ પોતે કવાર્ટરમાં જોયેલ અદ્ભૂત નજારામાં લાગુ કરવા કોશિશ કરી તો એટલું નક્કી થયું કે સુગંધ અને દૃશ્ય સાચાં ન પણ હોય તો અનુભવ તો હતો જ અને આભાસ તો હતા અને તે આભાસ પણ કોઈ પ્રેતાત્મા કે બાદ કે કારણને હિસાબે જ થયો હોય. જયદેવ મનમાં ડર્યો પણ સાથે સાથે પોતાને ગૌરવ પણ થયું કે આ કારણ કે બાદ કે જે કાંઈ હોય, પોતાને કાંઈ કરી શકતું નથી અને તેથી જયદેવનો આત્મવિશ્વાસ પણ મજબૂત થયો. પણ મનમાં સંશય તો રહ્યો જ.

લોધિકામાં એક નિવૃત્ત મોટી ઉમરના ડોકટર રજબઅલી સાયાણી કે જેઓ મુંબઈની એલ.એમ.પી.ની ડિગ્રી ધરાવતા હતા અને મેડીકલ પ્રેક્ટિસ પણ કરતા હતા. પોતે એકલા જ લોધિકામાં રહેતા. ઘર અને દવાખાનું બજારમાં સાથે જ હતાં. જયદેવ અને ડો સાયાણીને મનમેળ સારો હતો. તેથી ક્યારેક જયદેવ ડો. સાયાણી પાસે જઈ ને બેસતો અને ડો. સાયાણી પણ સાંજના સમયે પોલીસ સ્ટેશને આવતા. બંને રોડ ઉપર ચાલવા સાથે જતા.

એક દિવસ સાંજના ચાલતાં ચાલતા જયદેવે ડોકટરને ફોજદારી કવાર્ટરની કાંઈ વાતો સાંભળેલી કે કેમ તેમ પૂછતાં ડોક્ટર હસીને બોલ્યા; ’આટલા મહિને તમને ખબર પડી?

જયદેવે પૂછવું; ’સાચુ શું?’ ડોકટરે કહ્યું કે દરેકને મોઢે જુદી જુદી વાતો છે. જેને અનુભવ થયા તે કડવા જ અને ખતરનાક અનુભવ જ થયા છે. સામેથી જયદેવને પૂછ્યું; ’તમને કાંઈ અનુભવ થયો ખરો?’

એટલે જયદેવે પોતાને થયેલ સુગંધના અનુભવ અને જોયેલ અદ્ભૂત નજારાની વાત કરી. આ સાંભળીને ડોક્ટર સાયાણી ખુશ થઈ ગયા અને બોલ્યા; ’તમે યાર, લક્કી છો. બીજાને ખરાબ અનુભવો થયા. તમને તો અલૌકિક સુગંધ આપીને કાશ્મીરનો પ્રવાસ કરાવી દીધો. કોઈ ’પાક’ જીન કે વસ્તુ લાગે છે અને ’પાક’ ચીજ કોઈની ઉપર રીઝી જાય તો મલામલ કરી દે! સાહેબ, તમે ડરતા નહિ. તમારી ઉપર આ પાક વસ્તુ કુરબાન છે.”

જયદેવને આ વાત સાંભળી વધુ ડર લાગ્યો કેમ કે ગમે તેમ તોય તે પ્રેત યોનિ તો હતી જ. પ્રેત સાથે દોસ્તી કે પ્રેમ કરાય? જયદેવ હવે જ ખૂબ મૂંઝાયો પરંતુ હવે કવાર્ટર ખાલી કરે તો કાયદેસર નક્કી થઈ જાય કે તે ડરી ગયો. હવે તો ડર લાગે તો પણ સ્વમાન ખાતર પણ મકાન બદલી શકાય તેમ ન હતું.

જેથી હવેથી જયદેવ રાત્રે સૂતાં પહેલાં જ પીવાનું પાણી વચલા રૂમમાંથી પોતાના રૂમમાં જ લઈ લેતો. અને વચલા રૂમને સાંકળ મારી દરવાજો બંધ કરી દેતો. રાત્રે પેશાબપાણી જવા માટે ઓસરીનો દરવાજો ખોલી ઘર બહાર ખુલ્લામાં જઈ આવતો અને રાત્રે વચલા રૂમમાં કોઈપણ સંજોગોમાં જવાનું બંધ કર્યું.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.