- 28 માર્ચ સુધીના 38 દિવસના સત્રમાં 10 દિવસ રજા બાદ એક ડબલ બેઠક સાથે કુલ 27 બેઠકો યોજાશે: કાલે રજુ થનારા બજેટનું કદ રૂ.3.72 લાખ કરોડ રહેવાનો અંદાજ
આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યપાલના અભિભાષણ સાથે બજેટ સત્રનો આરંભ થયો હતો. રાજ્યપાલના ભાષણ પર આભાર પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરાયો હતો. આવતીકાલે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ રજૂ કરશે. આ વર્ષે બજેટનું કુલ કદ રૂ.3.72 લાખ કરોડ રહેવાનો અંદાજ છે. 20 મી ફેબ્રુઆરી ગુરુવારના રોજ વર્ષ 2009-10 અને 2010-11 માટેના વધારાના ખર્ચના પત્રકો રજૂ કરવામાં આવશે. સાથે સાથે વર્ષ 2024-25 માટેના ખર્ચના પૂરક પત્રકો તેમજ વર્ષ 2025-26 માટેના અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. ત્યારબાદ 21, 24, 25, 27 ફેબ્રુઆરીએ સરકારી કામકાજ તેમજ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થશે.28 ફેબ્રુઆરીએ પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે.માર્ચ મહિનામાં ગોઠવવામાં આવેલી બેઠકોમાં અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા થશે.28 માર્ચના રોજ છેલ્લા દિવસાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે અને વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થશે. વિધાનસભાના બજેટ સત્રને ધ્યાનમાં રાખી ગાંધીનગર પોલીસ દ્વારા શહેરમાં સઘન સલામતી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવનાર છે. પાટનગરના પ્રવેશદ્વારો ઉપર સતત વાહન ચેકિંગની સાથે સત્યાગ્રહ છાવણી સહિત મુખ્ય સર્કલો ઉપર સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ખાસ કરીને રેલી ધરણા ઉપર તંત્રની ચાંપતી નજર રાખવામાં આવશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આ વખતે 19 ફેબ્રુઆરીથી 28માર્ચ સુધી મળવાનું છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ ગાંધીનગર પોલીસ દ્વારા સત્ર દરમિયાન ગાંધીનગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિધાનસભા ગૃહની અંદર ગાંધીનગર પોલીસના જવાનો સાર્જન્ટની ભૂમિકામાં ફરજ બજાવશે તો સચિવાલય સંકુલમાં પણ સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અહીં પ્રવેશ વગર કોઈને પણ મંજૂરી આપવામાં આવશે નહીં. સત્રને લઈ શહેરના પ્રવેશદ્વારો ઉપર પણ સઘન વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. ગાંધીનગરમાં સત્ર દરમિયાન સ્વૈચ્છિક સામાજિક સંગઠનોની સાથે સરકારી કર્મચારીઓ પણ પોતાની માંગણી લઈને ગાંધીનગરમાં રેલી ધરણા ના કરે તે માટે પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવનાર છે. જે માટે સત્યાગ્રહ છાવણીની સાથે શહેરના મુખ્ય સર્કલો ઉપર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
બજેટસત્રમાં ચાર વિધેયક લવાશે
રાજ્ય વિધાનસભાનું સત્ર આજથી શરૂ થયું છે. જેમાં ચાર જેટલા વિધેયક લાવવાનું સરકારે નક્કી કર્યું છે. જેમાં ક્લિનિકલ એસ્ટ્રાબ્લિશ એક્ટ હેઠળ હોસ્પીટલોનું રજીસ્ટ્રેશન અને નિયમન, રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સીલ રદ કરવા બાબતનું, જીએસટી સુધારા અને ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર રદ કરવા વિધેયક લવાશે.