• રાજ્ય સ્વાગત સુધી આવવું પડતું નથી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • જિલ્લા કક્ષાએ જ સમસ્યા નિવારણ વ્યવસ્થા હજુ વધુ સુદ્રઢ થાય અને નાગરિકોને રાજ્ય સ્વાગત સુધી આવવું ન પડે તે સુનિશ્ચિત કરીએઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • ઓક્ટોબર-2024માં ગ્રામ-તાલુકા-જિલ્લા સ્વાગત મળી કુલ ૫૫ ટકા પ્રશ્નોનું સમાધાન થયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેકટરો-વિકાસ અધિકારીઓને જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકોની મોટાભાગની રજૂઆતોનું નિરાકરણ તાલુકા-જિલ્લા સ્તરે જ આવી જાય છે એટલે રાજ્ય સ્વાગત સુધી આવવું પડતું નથી. આ વ્યવસ્થા હજુ વધુ સુદ્રઢ થાય તો નાગરિકોને ગાંધીનગર આવવું ન પડે એ સુનિશ્ચિત કરવાની ફરજ પણ આપણી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જમીન અંગેનું ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા, જાહેર રસ્તા પર થયેલ દબાણ હટાવવા જેવા પ્રશ્નોનું નિરાકરણ જિલ્લા સ્વાગતમાં સ્થાનિક વહીવટી તંત્ર જ લાવી દે તો સામાન્ય માનવી, ગ્રામીણ ખેડૂતોને ગાંધીનગર રાજ્ય સ્વાગતમાં આવવાની જરૂરિયાત જ ન ઉભી થાય.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જન ફરિયાદ નિવારણના ઓનલાઇન ઉપક્રમ રાજ્ય સ્વાગતમાં રજૂઆત માટે આવેલા અરજદારોની રજૂઆત સાંભળી તેના ત્વરિત અને યોગ્ય નિવારણ માટે કલેક્ટરો-વિકાસ અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી હતી.

આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિકાસ, મહેસુલ, માર્ગ-મકાન, નર્મદા અસરગ્રસ્તોની જમીન સંપાદન વળતર, ગેરકાયદે બાંધકામ દૂર કરવા જેવા વિષયોને સ્પર્શતા પ્રશ્નો રજૂ થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગેરકાયદે બાંધકામ, જમીન માપણીની ક્ષતિઓ જેવી બાબતોમાં સખતાઈથી કામ લેવા પણ જિલ્લા વહીવટી તંત્રોને તાકીદ કરી હતી.

દર મહિનાના ચોથા ગુરુવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નિયમિતપણે યોજવામાં આવતા સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણની આજની કડીમાં 12 જેટલા પ્રશ્નો રજૂ થયા હતા. ઓક્ટોબર મહિના દરમિયાન રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતમાં કુલ-2,732 રજૂઆતોમાંથી 54.76 ટકા રજૂઆતોનું સુખદ નિવારણ લાવી દેવાયું છે.

આ રાજ્ય સ્વાગતમાં ગાંધીનગરથી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, એમ. કે. દાસ, સચિવ અવંતિકા સિંઘ તથા મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. રાજ્યના જિલ્લાઓના કલેકટર, ડી.ડી.ઓ તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ વિડિયો કોન્ફરન્સથી સહભાગી થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.