- ગુજરાતના 63 જળાશયોમાં જળસ્તર 30 ટકાથી ઓછું નોંધાયું જયારે 20 ટકા જળાશયોમાં જળસ્તર 10 ટકાથી પણ ઓછું જળ: હાલ સંપૂર્ણ 100 ટકા ભરાયેલું હોય તેવું એકમાત્ર જળાશય સુરેન્દ્રનગરનું ચુડા
- ગત વર્ષે સારો વરસાદ થયો હોવા છતાં ઉનાળાની શરુઆત સાથે જ પાણીની અછત જોવા મળી છે. ગુજરાતના 63 જળાશયોમાં જળસ્તર 30 ટકાથી ઓછું નોંધાયું છે.
જેમાં 20 ટકા જળાશયોમાં જળસ્તર 10 ટકાથી પણ ઓછું છે. જળસ્તરનો આ આંકડો મધ્ય ઉનાળામાં જ ગુજરાતના અનેક ગામડાંઓમાં પાણીની અછત ઊભી કરે તેવી ભીતિ સર્જાઈ છે.ગુજરાતના 206 જળાશયોમાં હાલ સરેરાશ 61.16 ટકા જળસ્તર છે.
જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછું 36 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 66 ટકા જળસ્તર છે.
ઉલ્લેખનીય છે, ગુજરાતમાં ગતવર્ષે 25 માર્ચના રોજ 55.81 ટકા, જ્યારે સરદાર સરોવરમાં 58.79 ટકા જળસ્તર નોંધાયું હતું. આમ, ગયા વર્ષની સરખામણીએ આ વખતે જળસ્તરની સ્થિતિ ખૂબ જ સારી છે. ગુજરાતમાં હાલ 25 માર્ચની સ્થિતિએ કચ્છના કાલિયા, દેવભૂમિ દ્વારકાના સૈની અને જૂનાગઢના પ્રેમપરા એમ 3 જળાશય સંપૂર્ણ ખાલીખમ થઈ ગયા છે.
6 જળાશયોમાં 90 ટકાથી વધુ, 11 જળાશયોમાં 80થી 90 ટકા, 8 જળાશયોમાં 70થી 80 ટકા અને 181 જળાશયોમાં 70 ટકાથી ઓછું જળસ્તર છે.
હાલ સંપૂર્ણ 100 ટકા ભરાયેલું હોય તેવું એકમાત્ર જળાશય સુરેન્દ્રનગરનું ચુડા છે. આ સિવાય મહિસાગરનું વણાકબોરી, બોટાદનું ખાંભડા, કચ્છનું કાલાઘોડા-ટપ્પર, રાજકોટનું આજી-1, સુરેન્દ્રનગરનું ધોળી ધજા 90 ટકાથી વધુ જળસ્તર ધરાવે છે. ગુજરાત રાજ્ય દેશમાં ઉપલબ્ધ કુલ જળના બે ટકા અને કુલ વસ્તીના 5 ટકા પાણીનો પુરવઠો ધરાવે છે.
રાજ્યમાં પ્રદેશ મુજબ પાણીના સ્તરની યાદી
પ્રદેશ જળાશયો જળસ્તર
ઉત્તર ગુજરાત 16 36.36 ટકા
મધ્ય ગુજરાત 17 62.06 ટકા
દક્ષિણ ગુજરાત 13 67.56 ટકા
કચ્છ 20 43.71 ટકા
સૌરાષ્ટ્ર 141 49.51 ટકા