- “કરૂણા અભિયાન–2025” અંતર્ગત ઉત્તરાયણ દરમિયાન રાજ્યમાં રેસ્ક્યુ કરાયેલા 91 ટકા પશુ-પક્ષીઓને જીવનદાન અપાયું
- ચાલુ વર્ષે ઘાયલ થયેલા પક્ષીઓમાંથી 15,572 જેટલા પક્ષીઓને યોગ્ય સારવાર આપી બચાવી લેવાયા
- ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘાયલ કબૂતર, સમડી, કાગડો, પોપટ, બગલો જેવા 51 થી વધુ પશુ-પક્ષીઓની સારવાર
- વર્ષ 2017 2017-2025 દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર થકી 1.03 લાખથી વધુ પક્ષીઓને જીવનદાન
ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થયેલા પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને તુરંત સારવાર આપી નવજીવન આપી શકાય તેવા ઉમદા હેતુથી દર વર્ષે રાજ્ય સરકાર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી “કરૂણા અભિયાન”નું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે રાજ્યભરમાં અંદાજે કુલ 17,065 જેટલા પક્ષીઓને રેસ્ક્યુ કરી સમયસર સારવાર આપીને 15,572 જેટલા પક્ષીઓને જીવનદાન આપવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને દિશા-દર્શનમાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ કરુણાસભર પહેલના પરિણામે આ વર્ષે ઉત્તરાયણ દરમિયાન રેસ્ક્યુ કરવામાં આવેલા અબોલ પશુ-પક્ષીઓ પૈકી 91 ટકા જેટલા પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા તેમજ પશુપાલન મંત્રી રાઘવજી પટેલના નેતૃત્વમાં કાર્યરત “કરૂણા અભિયાન-2025”માં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં આશરે 6695, સુરતમાં 5178, રાજકોટમાં 920, વડોદરા જિલ્લામાં 894 સહિત વિવિધ જિલ્લાઓમાંથી અનેક પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને સારવાર પૂરી પાડવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે કબૂતર, સમડી, કાગડો, પોપટ, બગલા જેવા 51 થી વધુ પશુ-પક્ષીઓનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વર્ષ-2017થી ઉત્તરાયણ પર્વ દરમિયાન પ્રતિ વર્ષ તા. 10 થી 20 જાન્યુઆરી સુધી પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા માટે અને ઘાયલ પક્ષીઓને સારવાર આપવા માટે કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 1.12 લાખથી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. જેમાંથી 92 ટકા સાથે 1.3 લાખ જેટલા પક્ષીઓને જીવનદાન આપવામાં આવ્યું છે. ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમિયાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજત માટે યોજતું કરૂણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. ગત વર્ષ 2024માં કરૂણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 13,800થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા, જેમાં 4,400 થી વધુ પશુઓ અને 9,300થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે. આમ, ગુજરાતે સૌપ્રથમવાર શરૂ કરેલું “કરૂણા અભિયાન”નું આદર્શ મોડલ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું છે.
ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે તા. 10 થી 20 જાન્યુઆરી, 2025 દરમિયાન રાજ્યવ્યાપી કરૂણા અભિયાન યોજાયું હતું. આ અભિયાન અંતર્ગત રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સઅપ નંબર 8320002000 અને 1926 હેલ્પલાઇન પણ જાહેર કરવામાં આવ્યો હતો. “કરૂણા અભિયાન-2025”માં આશરે 600થી વધુ વેટરનિટી તબીબો તેમજ 8000થી વધુ સેવાભાવી સ્વયંસેવકો જોડાયા હતા. આ સાથે જ, પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ 1,000થી વધુ સારવાર કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા હતા. આ અભિયાન દરમિયાન રાજ્યભરના 865પશુ દવાખાના, 34 વેટરનરી પોલિક્લિનિક, 27 શાખા પશુ દવાખાના ઉપરાંત 587 જેટલા ફરતા પશુદવાખાના અને 37 કરુણા એનીમલ એમ્બ્યુલન્સ રજાના દિવસે પણ કાર્યરત રાખવામાં આવ્યા હતા. જ્યાં ઘાયલ પશુ-પક્ષીની સારવાર માટે જરૂરી તમામ સાધનો અને દાવાઓનો સ્ટોક પણ સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો, એમ અગ્ર મુખ્ય વન સંરક્ષક- વન્યજીવ કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.