• અમારા ન્યાયાધીશ બસ એક દ્વારકાધીશ
  • 20 થી 27 ઓગસ્ટ દરમિયાનના વિવિધ ધાર્મિક  કાર્યક્રમોની વિગત આપવા આયોજકોએ લીધી અબતકની મુલાકાત

આનંદનગરના આંગણે આફતને અવસરમાં પલટતો પ્રસંગ એટલે શ્રી કૃષ્ણ નીતિ મહોત્સવ જેમાં છતીસકોમ સંગઠિત થઇ કૃષ્ણભાવ પ્રગટ કરવા જઈ રહયું છે. જેમાં ગોકુળદ્વારથી કનૈયાની સાથે આવતા ભોળા ભરવાડ સમાજને આવકારવા દ્વારિકાદ્રરથી આહિર સમાજની આગેવાનીમાં આનંદ વિભોર છતીસે કોમ જુમશે: રબારી સમાજ ધર્મધજા સાથે રંગત જમાવશે. ચારણ સમાજના અષાઢી કંઠે ગવાયેલ દુહા, છંદ સાથે, ભૂદેવોના વૈદિક મંત્રોચાર સાથે કાળીયા ઠાકરને આહવાન કરાશે. નાગરની કરતાલ ગુંજશે તો કુંભાર ભગતની તુલસી માળા ફરશે, ક્ષત્રિયાણી મીરાની મધુરતા, મોહનને મંત્રમુગ્ધ કરશે તો ક્ષત્રિયો ધર્મદંડ કેશવને અર્પણ કરશે. રાવળના ડાક વાગશે ને જૈન સમાજ અગમ શાસ્ત્ર આવનારા તીર્થંકરને આપશે ને બારોટ સમાજ સંજયના સ્વરે શ્યામ નિહાળશે. છતીએ કોમ ઠાકરના નાદ સાથે જૂમી ઉઠશે.

શહેરના આનંદનગર 144 ફ્લેટ ઓનર્સ એસોસિએશન આનંદનગર કોલોની આયોજીત શ્રી કૃષ્ણ નીતિ મહોત્સવનું 144, ગાયત્રી મંદિરવાળો બગીચો ખાતે તા.20/08થી 27/8 દરરોજ સાંજે 7 થી 11 કલાક સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગમાં મહારાજા માંધાતાસિંહ જાડેજા ઓફ રાજકોટ તથા રાજ પરિવાર ખાસ ઉપસ્થિત રહેશે.

તા.20/8ને મંગળવારે નગરચર્યા સાંજે 4:30 કલાકે, કૃષ્ણભાવ આહવાન સાંજે 7 કલાકે (આહીરાણીઓ દ્વારા રાસરંગ/ભુદેવો દ્વારા મંત્રોચ્ચાર), સ્થાપન પૂજન સાંજે 7:30 કલાકે (છતીસ કોમ દ્વારા), આનંદ અર્પણ સાંજે 7:45 કલાકે, તા.20/8ને સાંજે 8:15 કલાકે ’અમિયલ આશિષ’ આઇ શ્રી દેવલમાં(બળિયાવડ-જૂનાગઢ), ચારણ સંત શ્રી પાલુ ભગત (કાળીપાટ-રાજકોટ), સ્વામી નિખિલેશ્વરાનંદજી (રામકૃષ્ણ આશ્રમ -રાજકોટ) અને ટિટા ભગત (પાળના ઠાકરની જગ્યા) આર્શિવચન પાઠવશે.

અનંત ઉર આરતી દરરોજ સાંજે 7 કલાકે (છતીસકોમ દ્વારા) કરાશે. તા.21/8 ના રોજ જયભાઈ વસાવડા(કટાર લેખક), ધવલભાઈ દવે (પ્રભારી જીલ્લા ભાજપ),   અનવરભાઈ મીર (લોકસાહિત્યકાર), તા.22/7ના રોજ સાંઈરામ દવે (લોકસાહિત્યકાર, હાસ્યકાર), ડો.યોગરાજસિંહ જી.જાડેજા (પ્રમુખ ), ડો.હેમાંગ વસાવડા (કોંગ્રેરા પ્રદેશ અગ્રણી), તા.23/8ના રોજ મેરાણ ગઢવી (લોક સાહિત્યકાર), બળવંત જાની (પૂર્વ કુલપતિ, પાટણ યુનિ), ઇશુદાન ગઢવી (પ્રદેશ પ્રમુખ આપ – ગુજરાત),  તા.24/8મીએ યશવંત લાંબા (પ્રખર લોકસાહિત્યકાર), ગોપાલ ઇટાલીયા (રાષ્ટ્રીય અગ્રણી આપ),  અંબાદાન રોહડિયા (પૂર્વ પ્રોફેસર અધ્યક્ષ ગુજરાતી વિભાગ સૌ.યુનિ), તા. 25મીએ પરસોતમ રૂપાલા (પૂર્વ કેન્દ્રીય મંત્રી, સાંસદ), અશોક ગઢવી (તંત્રી સૌરાષ્ટ્ર ક્રાંતિ), રવિ આહિર (ગજડી) લોકસાહિત્યકાર, અને મેહુલ રવાણી (અરહંત ઇનવેસ્ટમેન્ટ) ઉપસ્થિત રહેશે. તા.25મીએ સત્યનારાયણની કથા, બાળ ગોપી કૃષ્ણ ફેશન ઉત્સવ (ઉ.7 વર્ષ સુધીના, તલવારા રાસ, આનંદનગરનો આંતર્નાદ અને તા. 27મીએ આનંદનગરનો આંતર્નાદ, મહાપ્રસાદ અન્નકોટ, મહારાસ અને મટકીફોડ કાર્યક્રમમાં ભાવેશ આહિર (લોકગાયક), શકિતદાન -ગઢવી (લોકગાયક), ખુશાલી ભરવાડ (લોકગાયક), કીર્તિદાન ગઢવી (લોકગાયક), ગણેશ રબારી (લોકગાયક), ભકિતદાન ગઢવી (લોકગાયક) ઉપસ્થિત રહી શ્રી કૃષ્ણ નીતિ મહોત્સવમાં શોભા વધારશે.

કાર્યક્રમ અંગે  વિગત આપવા અગ્રણીઓ અશોકભાઈ ગઢવી, હેમત લોખીલ, જગાભાઈ રબારી, ભીખાભાઈ ભરવાડ, ભોપાલ બોરાણા, દર્શનભાઈ ભીલ, રાજેશ બારોટ, કેતન જરીયા, નરેન્દ્રસિંહ જાડેજા,  માણસુરભાઈ વાળા દિનેશ ચાવડા, દિગેશ વાઘેલાએ અબતકની મુલાકાત લીધી હતી.

અબતકની મુલાકાત દરમિયાન હેમત લોખીલએ જણાવ્યું હતુ કે આ વખતે  કોઠારયા રોડ પર આવેલ આનંદનગર  144 એસઆઈટી ફલેટઓનર્સ  એસો. દ્વારા તા.20 થી 27 ઓગસ્ટ દરમિયાન  શ્રી કૃષ્ણ નીતિ  મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.20ના રોજ ભગવાન કૃષ્ણ નગરચર્યાએ નીકળશે. આહીરાણી દ્વારા   રાસરંગ તથા ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર  કરવામાં આવશે. તથા ક્ષત્રીયો દ્વારા ધર્મદંડ, સોની દ્વારા મુકુટ, દરજી દ્વારા વાઘા એમ કુલ  36 વરણ દ્વારા કૃષ્ણ ભગવાનને અલગ અલગ વસ્તુઓ અર્પણ કરવામાં આવશે. દરરોજ વિવિધ  ધાર્મિક  કાર્યક્રમ યોજાશે. ધર્મપ્રેમી જનતાને  ઉપસ્થિત રહેવા અનુરોધ કરીએ છીએ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.