Abtak Media Google News

ભાજપ સરકાર વિરુધ્ધ વિવિધ વાક પ્રહારો સાથે આક્ષેપો કરતા વિરોધ પક્ષના નેતા

વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને ભાજપ વિરોધી આકરા વાક પ્રહારો કર્યા છે જેમાં રેશનકાર્ડના લાભાર્થીઓને પ્રધાનમંત્રીના  ફોટા અને ભાજપના પ્રતીકવાળી થેલીના  વિતરણને લઇને રાજકારણ ગરમાયુ. 25 -25 વર્ષ પેટી ભર્યાની હવે”પીડા” સૌ કોઈને થાય છે.  ભૂખ્યાને  ‘અન્નના અધીકાર’ ઉપર કમળ છાપેલી ઠેલીનો ભાર  લદાય છે.!

ભાજપના શાસકોને ખોટી અને  લોકવિરોધી નીતિઓને કારણે મંદી, મોંઘવારી અને મહામારીમાં ધકેલાયેલા ગયેલા નાગરિકોની સસ્તુ અનાજ આપવાના નામે મશ્કરી  થઈ રહી છે.  વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ રાજકોટના આજીડેમ નજીકની એક દુકાને ગરીબ અને મધ્યમવર્ગના લોકોને પ્રધાનમંત્રી અન્ન યોજના અંતર્ગત ખાલી થેલીઓ વિતરણ કરીને ક્રૂર મજાક કરી હોવાની ઘટના ટાંકીને ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢતાં જણાવ્યું છે કે,ભાજપ સરકાર ગરીબી દૂર કરી શકી નથી અને હવે ગરીબો જ દૂર થાય તેવો કારસો ઘડી રહી છે.

કોરોનાની મહામારીને કારણે અનેક લોકોની નોકરી જતી રહી છે અને બેરોજગારીના ખપ્પરમાં હોમાઈ ગયા છે. મોંઘવારી અને બેરોજગારી વચ્ચે લોકો ઝોલા ખાઇ રહ્યા છે. લોકો રોજગારી  માટે ભટકી રહ્યા છે. ભાજપના રાજમાં સરકારી ગોડાઉનમાં અનાજ સડી રખાયું છે અને બીજી તરફ લાખો બાળકો કુપોષણનો ભોગ બની રહ્યા છે. બજારીયાઓ બેફામ બની ગયા છે અને ગરીબોના  મુખેથી કોળિયો છીનવી રહ્યા છે.

ગરીબી દૂર ન કરી શકનારી ભાજપ સરકાર ગરીબોના બીપીએલ કાર્ડ દૂર કરીને ગરીબો ઘટ્યા હોવાનો દેખાડો કરી રહી છે. ગરીબોના હિસ્સાનો રેશનિંગમાં જથ્થો કાળાબજારમાં વેચાઇ રહ્યો છે. સસ્તા અનાજની દુકાનેથી લોકોને  અનાજ, કેરોસીન,ખાંડ અને તેલ સહિત જીવનજરૂરી  ચીજો મળતી નથી.

બીજી તરફ નકલી ફિંગર પ્રિન્ટથી કાળાબજારીયાઓ  આ માલ બારોબાર બજારમાં વેચીને મલાઇ તારી રહ્યા હોવાનો આક્ષેપ વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ કરેલો હતો. સરકાર ગરીબોને બે ટંકનો રોટલો આપી શકે નહીં તો કાંઈ નહીં, પરંતુ પ્રસિદ્ધિ ભૂખી આ સરકાર વડાપ્રધાનના નામે સાથેની ખાલી થેલીઓ વહેચીને ગરીબોના સ્વમાન પર વજ્રઘાત કરવાનું સત્તામાં બેઠેલા લોકો બંધ કરે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.