- અમદાવાદને મળશે 7 ડબલ ડેકર અને 250 થી વધુ ઇલેક્ટ્રિક બસો
- CMએ ફાળવ્યા ભંડોળ
અમદાવાદના રસ્તાઓ પર વધુ ડબલ-ડેકર બસો દોડશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ભંડોળ ફાળવ્યું છે. અમદાવાદના રસ્તાઓ પર માત્ર ડબલ-ડેકર બસોની સંખ્યા જ નહીં, પણ ઇલેક્ટ્રિક બસોની સંખ્યા પણ વધવાની છે. આ બધાને કારણે, અમદાવાદમાં જાહેર પરિવહન વ્યવસ્થામાં ઘણો સુધારો થવાની શક્યતા છે.
રાજ્ય સરકારે, મહાનગરપાલિકા, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના વિકાસ કામો માટે રૂ. 537.21 કરોડની ફાળવણી કરવા મંજૂરી આપી દીધી છે. આ માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ દરખાસ્ત રજૂ થઈ હતી. જેના અનુસંધાને તેમણે એક જ દિવસમાં આટલી મોટી રકમ મંજૂર કરી દીધી છે. જેમાંથી (1) અમદાવાદ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત 260 ઈલેક્ટ્રિક બસ અને 7 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ માટે અનુદાન તરીકે રૂ. 58.47 કરોડ અને (2) અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગર જેવી 4 મહાનગરપાલિકામાં જન-સુખાકારીના કામો માટે કુલ રૂ. 309.72 કરોડ ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. (3) નવરચિત પોરબંદર મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન અને સફાઈ કામગીરી માટે રૂ. 13.35 કરોડ સહિત રૂ. 25 કરોડ (4) દ્વારકા નગરપાલિકાને બેટ દ્વારકા, નાગેશ્વર, શિવરાજપુર પ્રવાસન-ધામની મુલાકાતે આવનારા પ્રવાસીઓ અને દ્વારકાના નગરજનોને ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ આપવા મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામો માટે રૂ. 131.76 કરોડ અને (5) વિસનગર, પાલનપુર, ટંકારા, કેશોદ, સિદ્ધપુર અને માંડવી નગરપાલિકાઓને કુલ રૂ. 70.48 કરોડ ફાળવવાનો નિર્ણય લેવાયો છે.
મુખ્યમંત્રીએ ગાંધીનગર મનપાને ખાનગી સોસાયટી જનભાગીદારીના 10 કામો માટે રૂ. 3.98 કરોડ, ભાવનગર મહાનગરપાલિકાને ડ્રેનેજ નેટવર્ક, વોટર સપ્લાય, રોડ અને સ્ટ્રીટ લાઈટના કામો અને આંતરમાળખાકીય સુવિધા વૃદ્ધિ માટે રૂ. 35 કરોડ ફાળવાશે. આ ઉપરાંત રાજકોટ મહાનગરમાં રાજકોટ-જેતપુર માર્ગ ફોર લેનથી સિક્સ લેનમાં NHAI દ્વારા રૂપાંતરિત કરવાની ચાલી રહેલી કામગીરીના સંદર્ભમાં પાણી પુરવઠા આધારિત પાઇપલાઇન શિફ્ટ કરવાના કામો માટે રૂ. 212.50 કરોડ ફાળવાયા છે. નવરચિત પોરબંદર મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન તથા સફાઈ માટે રૂ. 13.35 કરોડ અને વહીવટી ક્ષમતા વૃદ્ધિના કામો માટે રૂ. 11.69 કરોડ મળીને કુલ 25 કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે.
દ્વારકા નગરપાલિકાને ~131. 76 કરોડ અપાશે
મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે દ્વારકા નગરપાલિકાને રૂ. 131.76 કરોડ ફાળવાશે. જેમાંથી દ્વારકા શહેરથી આશરે બે કિલોમીટર પૂર્વે નેશનલ હાઈવે પરથી રૂપેણ બંદર એક્ઝિટ આપી નવા ફોર લેન રોડને કનેક્ટ કરાશે. જેમાં વરસાદી પાણીનો નિકાલ, ફૂટપાથ, સાયકલ ટ્રેક વગેરે સુવિધાના કામો હાથ ધરાશે. આ ઉપરાંત દ્વારકા નગરના રુક્ષ્મણી માતા મંદિર પાસેથી માઈનોર બ્રિજ અને અન્ય સુવિધાઓથી બાયપાસ રિંગરોડ બનાવવાનો પણ સમાવેશ કરાશે. દ્વારકાધીશના દર્શન માટે આવતા યાત્રિકો તેમજ શિવરાજપુર પ્રવાસનધામની મુલાકાતે આવનારા પ્રવાસન પ્રેમીઓ અને નાગેશ્વર, બેટ દ્વારકા તથા ઓખા તરફ આવતા-જતા નાગરિકોને વાહનવ્યવહાર માટે વધુ સુવિધા મળશે.
7 નગરપાલિકામાં પણ વિકાસ કામ હાથ ધરાશે
રાજ્યની અન્ય 7 નગરપાલિકાઓમાં વિસનગરને ખાનગી સોસાયટી જનભાગીદારી અંતર્ગત સી.સી. રોડ તથા પેવર બ્લોક લગાવવાના 10 કામો માટે રૂ. 1.52 કરોડ, પાલનપુરમાં ઘરોની ગટર લાઈનને મુખ્ય ગટર લાઈન સાથે જોડવાના 166 કામો માટે રૂ. 11.61 લાખ તથા સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ કામ માટે રૂ. 55.86 કરોડ, સિદ્ધપુરમાં વોટર વર્કસ અને ડ્રેનેજ હાઉસ માટે નવી પમ્પિંગ મશીનરી માટે રૂ. 3.56 કરોડ, ટંકારાને આઉટ ગ્રોથ એરિયા વિકાસ કામો અંતર્ગત સી.સી. રોડ બનાવવા માટે રૂ. 1.91 કરોડ અને કેશોદને રૂ. 5.99 કરોડ ફાળવવાની મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.