- દેશમાં આધાર ફેસ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન 100 કરોડને પાર : પાંચ મહિનામાં આંકડો બમણો થયો
- UIDAIના ઉપક્રમે ફિનટેક અને ટેલિકોમ ક્ષેત્રની અવિરત સેવા
- વિતરણને વધુ શ્રેષ્ઠ બનાવવા મુંબઈ ખાતે ‘આધાર સંવાદ’ યોજાયો
- આ સંવાદમાં ગુજરાત સહિત અંદાજે 500થી વધુ ઉદ્યોગકારો સહભાગી થયા
UIDAIના ચેરમેન, નીલકંઠ મિશ્રાએ જણાવ્યું હતું કે, UIDAI-આધાર દ્વારા વિકસાવવામાં આવેલ એઆઈ/એમએલ આધારિત ફેસ ઓથેન્ટિકેશન સોલ્યુશન, જે વર્ષ 2021 ના ઓક્ટોબરમાં પ્રથમવાર શરૂ કરવામાં આવ્યું હતું તે હાલ 100 કરોડ ટ્રાન્ઝેક્શનો પાર કરી ચુક્યું છે. ફેસ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન અકડા પર નજર કરીએ તો છેલ્લા ૫ મહિનામાં 50 કરોડથી વધીને 100 કરોડ સુધી પહોંચ્યો છે. આ સિદ્ધિ આધારની ભૂમિકા અને મહત્વને પુનઃપ્રતિષ્ઠિત કરે છે.
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ.કૃષ્ણ અને UIDAIના સીઈઓ ભુવનેશ કુમારે તેમના સંબોધનમાં આધારની સ્વીકૃતિ અને ઉપયોગને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે, આધાર ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું મહત્વનો સ્તંભ છે. આધાર ફેસ ઓથેન્ટિકેશન માટે સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં 92 એન્ટિટીઓ દ્વારા ઉપયોગમાં લેવાઈ રહી છે.
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા- UIDAIના ઉપક્રમે ગુજરાત સહિત તમામ રાજ્યોના BFSI, ફિનટેક અને ટેલિકોમ ક્ષેત્રોના ઉદ્યોગકારો સાથે મુંબઈ ખાતે ‘આધાર સંવાદ’ યોજાયો હતો. જેમાં આધારનો ઉપયોગ કરીને સેવાનો વધુ સારો અને ઝડપી વિતરણ કેવી રીતે શક્ય બની શકે છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને મહારાષ્ટ્ર સરકારના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં બેંકો, વીમા કંપનીઓ, એનપીસીઆઈ, બજાર મધ્યસ્થો, ટેલિકોમ સેવા પ્રદાતાઓ અને ફિનટેક સહિતના 500 જેટલા ઉધોગકારો, નિષ્ણાતો અને ટેક્નોક્રેટ્સે ભાગ લીધો હતો. આ પહેલા આધાર સંવાદ નવેમ્બરમાં બેંગ્લોરમાં યોજાયો હતો.