Abtak Media Google News

સેગમેન્ટલ અને નોન સેગમેન્ટલ જેવા બે પ્રકાર સફેદ ડાઘના જોવા મળે છે, સેગમેન્ટલ ઝડપથી વિકસે અને શરીરના મર્યાદિત વિસ્તારને અસર કરે છે, જ્યારે નોન સેગમેન્ટલ ધીમે-ધીમે વિકસે અને શરીરના મોટા વિસ્તારને અસર કરે છે વર્લ્ડ વીટીલીગો ડે

સફેદ ડાઘ સામાન્ય રીતે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતા વિસ્તારોને અસર કરે છે, જેમ કે ચહેરો, હાથ, પગ અને જનનાંગોની આસપાસ વધુ જોવા મળે છે. વધુમાં તે મોંની અંદર અને આંખો સહિત મ્યુકોસ મેમ્બ્રેનને અસર કરી શકે છે: ભારતીય ઉપખંડમાં તેનો વ્યાપ સૌથી વધુ 8.8 ટકા જોવા મળે છે

વૈશ્ર્વિક વસ્તીના દોઢ ટકા લોકોને અસર કરતા સફેદ ડાઘ (વીટીલીગો)ની સમસ્યામાં તેને કારણે સગાઇ-લગ્નમાં મુખ્ય બાધારૂપ બને છે. આજે વર્લ્ડ વીટીલીગો ડે સમગ્ર વિશ્ર્વમાં ઉજવાય છે, ત્યારે તે વિષયક જનજાગૃત્તિ લાવવાની ખૂબ જ જરૂરિયાત છે, કારણ કે તે સ્થિતિને કારણે વ્યક્તિની મુંઝવણ અને સામાજીક કલંકનું કારણ બને છે. તે એક દિર્ઘકાલીન સ્વયં પ્રતિરક્ષા સ્થિતિ છે, જે ત્વચાના રંગદ્રવ્યના નુકશાનનું કારણ બને છે. 2011થી આ દિવસ ઉજવાય છે. તેની સાથે જીવતી વ્યક્તિ તાણ સાથે જીવન જીવે છે. તે કોઇપણ વય, લિંગ અથવા જાતિના લોકોને અસર કરી શકે છે. વિશ્ર્વની લગભગ 1 ટકો વસ્તીને પ્રભાવિત કરવાનો અંદાજ છે. તે કોઇપણ વંશીય કે વંશીય પૃષ્ઠ ભૂમિની વ્યક્તિઓમાં થઇ શકે છે. કોઇપણ ઉંમરે સફેદ ડાઘ વિકસી શકે છે અને ઘણીવાર 10 થી 30 વર્ષની વય વચ્ચે પણ દેખાય છે. પુરૂષો અને સ્ત્રીઓમાં બંનેમાં સમાન રીતે અસર કરે છે.

આજે બહુ ઓછા લોકો સફેદ ડાઘ વિશે જાણે છે, તેથી તેની જાગૃત્તિ લાવવાની જરૂર છે. આવા લોકો પર નોંધપાત્ર સામાજીક અસરો થઇ શકે છે. જેમાં કલંક, ભેદભાવ અને ઘટાડાનું આત્મ સન્માન સામેલ છે. આજે લોકો તે પરત્વેની નકારાત્મક ધારણાઓનો સામનો કરવાની અને સ્વીકૃત્તિ અને સમજણને પ્રોત્સાહન આપવાની તક પૂરી પાડે છે. આ સમસ્યા સાથે જીવતા લોકોના અનોખો અનુભવ છે, જે ભાવનાત્મક, મનોવિજ્ઞાન અને સામાજીક પાસાઓને સમાવે છે. સફેદ ડાઘના બે પ્રકારોમાં સેગમેન્ટલ અને નોન સેગમેન્ટલ છે. સેગમેન્ટલ ઝડપથી વિકસે છે અને શરીરના મર્યાદિત વિસ્તારને અસર કરે છે. જ્યારે નોન સેગમેન્ટલ જે સામાન્ય પ્રકાર છે, તે ધીમેધીમે વિકસે છે અને શરીરના મોટા વિસ્તારને અસર કરી શકે છે.

શારીરીક રીતે સફેદ ડાઘ ચામડીના રંગદ્રવ્ય માટે જવાબદાર કોશીકાઓ મેલાનો સાઇટ્સના નુકશાનને કારણે ડિપિગ્મેન્ટેડ ત્વચાના પેચ તરીકે રજુ થાય છે. આ સ્થિતિ પીડાદાયક કે જીવલેણ હોતી નથી, પણ મન પર ઊંડી અસર કરે છે. સફેદ ડાઘનો અચાનક દેખાવ સ્વ-ચેતનાની લાગણી તરફ દોરી જાય છે, ખાસ કરીને આજના યુગમાં જ્યાં શારીરિક દેખાવ પર વધુ ભાર મૂકાય છે. રંગદ્રવ્યના નુકશાન દ્વારા વર્ગીકૃત થયેલ ચામડીની સ્થિતિને સફેદ ડાઘ કહેવાય છે. સફેદ ડાઘને ઘણીવાર ડિસઓર્ડરને બદલે રોગ કહેવામાં આવે છે, જે ઘણીવાર દર્દી ઉપર માનસિક અસર કરે છે. જાણીતા કલાકાર માઇકલ જેક્શન આ સમસ્યાથી પીડિત હતા. આ સમસ્યા ગંભીર સામાજીક ગૂંચવણો સાથે સંકળાયેલી હોવાથી સમાજ અને પરિવારનો સારો વ્યવહાર જરૂરી છે. સફેદ ડાઘ વિશે જાણકારીમાં તેની મુખ્ય લાક્ષણિકતાઓ સંપર્કમાં આવતા વિસ્તારોને અસર વધુ કરે છે, જેમાં હાથ-પગ-ચહેરા અને જનનાંગોની આસપાસ વધુ જોવા મળે છે.

સફેદ ડાઘએ ચામડી સાથે જોડાયેલો વિકાર છે. આ વર્ષની ઉજવણી થીમ “ધ ક્વોલીટી ઓફ લાઇફ ઓફ એ વિટીલિગો પેશન્ટ” એટલે આ સમસ્યા સાથે જીવતાં લોકોની જીવનશૈલીમાં સુધાર આવે એવું વાતાવરણ નિર્માણ કરવું. કલા-કવિતા અને સફેદ ડાઘ પર કેન્દ્રીત કરતી એ.આઇ. સંચાલિત વિવિધ સ્પર્ધા-ઇવેન્ટ પણ યોજાય છે. તા.23 થી 26 જૂન વૈશ્ર્વિક સ્તરે જનજાગૃત્તિની ઉજવણી થનાર છે. સફેદ ડાઘ સાથે જીવવાનું શીખવાની પણ મુવમેન્ટ થશે. સફેદ ડાઘ વાળાને આજે પણ હીનતાની નજરે જોવાય છે.

સફેદ ડાઘ (વીટીલીગો) એક એવી સ્થિતી છે. જેના કારણે તમારી ત્વચા તેનો રંગ ગુમાવે છે. આ સમસ્યાની ગેરસમજ અને કલંક દૂર કરવાના છે. સફેદ ડાઘ વાળાથી આજે પણ લોકો અંતર રાખે છે, તેને પાંડુરોગ પણ કહેવામાં આવે છે. આ સમસ્યા શરીરમાં ખંજવાળથી થાય છે અને ધીમેધીમે આખા શરીરમાં નાના-મોટા સફેદ ડાઘ દેખાવા લાગે છે. આ સમસ્યા માત્ર ચામડી ઉપર જ દેખાય છે. તે એક વ્યક્તિમાંથી બીજામાં ફેલાતો નથી. ત્વચાના કેન્સરને તેની સાથે કોઇ સંબંધ નથી, તે એક મીથ છે. સફેદ ડાઘ વાસ્તવમાં એક સ્વયંપ્રતિરોધક રોગ છે. જેમાં કોષો જે મેલાનિન ઉત્પન્ન કરે છે જે ત્વચામાં રંગ લાવે છે તે નબળા પડી જાય કે મૃત્યુ પામે છે. ગમે તેને થઇ શકે પણ પારિવારિક હીસ્ટ્રી હોય તો તેને આવવાની શક્યતા વધારે હોય છે. અત્યારે તેનો ઇલાજ પણ શક્ય છે.

સફેદ ડાઘને પાંડુરોગ કે સફેદ રક્તપિત તરીકે પણ ઓળખાય છે, ઘણીવાર લોકો તેને લેપર્સી કે રક્તપિત્ત તરીકે ઓળખે છે, જે તેની ગેરસમજ છે. આનુવંશિકને કારણે થઇ શકે છે, પણ ઘણીવાર ચામડી પર વધુ સખત સૂર્યપ્રકાશની આડ અસર, ઔદ્યોગીક રસાયણોના સંપર્કમાં આવવાથી, ચામડીની એલર્જી કે ખરજવું, સોરાપિસસ, વર્સિકલર જેવા ચામડીના રોગોને કારણે પણ ચામડીના મેલાનિન કોષો નષ્ટ થાય છે, જેને કારણે સફેદ ડાઘની સમસ્યા થાય છે. શરીરમાં પોષક તત્વોની ઉણપ, ખોરાકમાં બેદરકારી, તણાવ, શરીરમાં હાનીકારક ઝેરી તત્વો જમા થવાને કારણે પણ આ સમસ્યા થાય છે. આપણા દેશમાં પણ સમસ્યા જોવા મળે છે, જેમાં ગુજરાત-રાજસ્થાનમાં વધુ કેસો જોવા મળે છે.

વીટીલીગો પર્પલ ફનડે પોપસ્ટાર માઇકલ જેક્સનને સમર્પિત

25 જૂન 2009ના રોજ પોપસ્ટાર માઇકલ જેક્શનનું અવસાન થયું હોવાથી તેમની યાદમાં આજનો દિવસ ઉજવાય છે. આ દિવસ વિટિલિગો (સફેદ ડાઘ) પર્પલ ફનડે તરીકે તેને સમર્પિત કરાયો છે. તેની જાગૃત્તિ માટે જાંબલી રંગને સત્તાવાર કરાયો છે, અને જાંબલી રિબિન જનજાગૃત્તિનું પ્રતિક છે. આ સમસ્યા સાથે જીવતાં લોકો માનસિક આઘાત સહન કરે છે, અને વિવિધ સમસ્યાનો સામનો કરે છે. આ દિવસનો હેતુ લોકોને સારવારના વિવિધ વિકલ્પો વિશે જાગૃત્તિ કરવાનો છે. ‘ત્વચા દ્વારા સંયુક્ત’ સુત્ર સાથે તેની સુંદરતાને ઓળખીને પ્રશંસા કરવાના મહત્વ પર ભાર મુકે છે. ભારતીય ઉપખંડમાં વિશ્ર્વનો સૌથી વધુ વ્યાપ જોવા મળે છે, જે લગભગ 8.8 ટકા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.