Abtak Media Google News
  • વિશ્ર્વભરમાંથી લોકો યોગ શીખવા માટે ભારતમાં આવી રહ્યા છે, યોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે, વિશ્ર્વમાં જ્યાં જાવ છું ત્યાં તમામ લોકો યોગ વિશે જ વાતો કરે છે: વડાપ્રધાનનું સંબોધન
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં કરી વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી

10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશ અને દુનિયામાં યોગને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં એક વિશેષ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં યોગના વિસ્તરણ સાથે તમામ જૂની માન્યતાઓ બદલાઈ ગઈ છે.  યોગ હવે તેના મર્યાદિત અવકાશમાંથી બહાર આવી રહ્યો છે.

યોગ દિવસના કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે મને કાશ્મીરની મુલાકાત લેવાનું સૌભાગ્ય મળ્યું છે.  યોગથી આપણને જે શક્તિ મળે છે, તે હું શ્રીનગરમાં અનુભવી રહ્યો છું.  હું કાશ્મીરની ધરતી પરથી યોગ દિવસ પર દેશના તમામ લોકોને અને વિશ્વના ખૂણે ખૂણે યોગ કરી રહેલા લોકોને અભિનંદન આપું છું.  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ 10 વર્ષની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરી છે.

તેમણે કહ્યું કે હું વિશ્વમાં જ્યાં પણ જાઉં છું ત્યાં વૈશ્વિક નેતાઓ હવે યોગ વિશે વાત કરે છે. જેને પણ તક મળે છે તે યોગની ચર્ચા કરવા લાગે છે.  વિશ્વભરમાંથી લોકો યોગ શીખવા માટે ભારતમાં આવે છે.  આજે સમગ્ર વિશ્વમાં યોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે.  લોકોમાં યોગ પ્રત્યે આકર્ષણ વધ્યું છે.  યોગ હવે સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે.

10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર યોગ અને ધ્યાનની ભૂમિ છે.  તેનાથી ઉત્પાદકતા અને સહનશક્તિ વધે છે.  યોગ દ્વારા નવી તકો ઊભી થઈ છે.  યોગ એ માત્ર શિક્ષણ નથી પણ એક વિજ્ઞાન છે.  યોગથી એકાગ્રતા વધે છે.  હવે યોગ પર સંશોધન થઈ રહ્યું છે.  પર્યટનમાં યોગ એક નવો ટ્રેન્ડ બની ગયો છે.

યોગ માત્ર જ્ઞાન નથી પણ વિજ્ઞાન પણ છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે યોગ આજે લોકોને ઘણી સમસ્યાઓનું સમાધાન આપે છે. યોગ માત્ર જ્ઞાન જ નથી પણ એક વિજ્ઞાન પણ છે.  માહિતી ક્રાંતિના આ યુગમાં માહિતી સ્ત્રોતોનો પૂર છે અને માનવ મન માટે એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવું એક પડકાર છે.  તેનો ઉકેલ પણ યોગમાં રહેલો છે કારણ કે તે મનને એકાગ્ર કરવામાં મદદ કરે છે.

ઋષિકેશથી કેરળ સુધી યોગ ટુરિઝમનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે

વડા પ્રધાન મોદીએ કહ્યું કે વિશ્વભરમાંથી લોકો માત્ર એટલા માટે ભારત આવે છે કારણ કે તેઓ અધિકૃત યોગ શીખવા માગે છે. હાલમાં જર્મનીમાં 1.5 કરોડ યોગ ટ્રેનર્સ છે. આજે દુનિયા એક નવીયોગ ઇકોનોમી તરફ આગળ વધી રહી છે.  ઋષિકેશથી કેરળ સુધી યોગ ટુરિઝમનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આજે એરપોર્ટથી લઈને હોટલ સુધી યોગ માટે વિશેષ સુવિધાઓ આપવામાં આવી રહી છે.  યોગ સંબંધિત વસ્ત્રો અને સાધનો બજારોમાં મોટા પાયે ઉપલબ્ધ છે.  લોકો તેમની ફિટનેસ માટે અંગત યોગા ટ્રેનર્સ પણ હાયર કરી રહ્યા છે.  કંપનીઓ તેમના કર્મચારીઓ માટે યોગ અને માઇન્ડફુલનેસ પ્રોગ્રામ પણ શરૂ કરી રહી છે.  તેનાથી રોજગારીની નવી તકો મળી રહી છે

જમ્મુ-કાશ્મીરમાં યોગ લોકપ્રિય બની રહ્યો છે

તેમણે કહ્યું કે ઘણી જેલોમાં કેદીઓને યોગ પણ શીખવવામાં આવે છે જેથી તેઓ સકારાત્મક વિચાર કરી શકે.  પીએમ મોદીએ સંતોષ વ્યક્ત કર્યો કે જમ્મુ અને કાશ્મીરના લોકો પણ યોગ અપનાવી રહ્યા છે, જે કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રવાસન ક્ષેત્રને મદદ કરશે.  તેમણે કહ્યું, “ગઈકાલથી મેં જોયું છે કે શ્રીનગર અને બાકીના જમ્મુ અને કાશ્મીરમાંયોગ લોકપ્રિય થઈ રહ્યો છે. તે મોટી વાત છે કે 50,000 થી 60,000 લોકો યોગમાં સામેલ છે. તેનાથી અહીં વધુ પ્રવાસીઓ આવશે.”

દુનિયાની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ યોગ પર સંશોધન થઈ રહ્યું છે

તેમણે કહ્યું કે આ વર્ષે ફ્રાન્સની 101 વર્ષની મહિલા યોગ શિક્ષકને ભારતમાં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી છે.  તે ક્યારેય ભારત આવી ન હતી પરંતુ તેણે પોતાનું આખું જીવન યોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત કર્યું હતું.  આજે દેશ અને દુનિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં યોગ પર સંશોધન થઈ રહ્યું છે.  યોગ પર સંશોધન પત્રો પ્રકાશિત થઈ રહ્યા છે

વરસાદનું વિધ્ન આવતા દલ લેકના કિનારે ન થઈ શક્યો યોગનો કાર્યક્રમ

આજે 10માં વિશ્વ યોગ દિવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં યોગ કર્યા. અગાઉ આ કાર્યક્રમ સવારે સાડા છ વાગ્યે દલ લેકના કિનારે યોજાવાનો હતો, પરંતુ વરસાદને કારણે તેને હોલમાં ખસેડવામાં આવ્યો હતો.  તે લગભગ 8 વાગ્યાની આસપાસ શરૂ થયો હતો.  તેમાં 7 હજાર લોકો ભાગ લેવાના હતા, પરંતુ હોલ શિફ્ટ થવાના કારણે માત્ર 50 લોકોએ ભાગ લીધો હતો.

યોગ સેનાથી લઈને રમતગમતની દુનિયાનો એક ભાગ બની ગયો છે

તેમણે કહ્યું કે તેથી જ સેનાથી લઈને રમત જગત સુધી દરેક વ્યક્તિએ પોતાની દિનચર્યામાં યોગનો સમાવેશ કર્યો છે.  વડાપ્રધાને કહ્યું કે અવકાશયાત્રીઓ અને અવકાશ પ્રોજેક્ટ્સ પર કામ કરતા લોકોને પણ યોગની તાલીમ આપવામાં આવે છે કારણ કે તેનાથી ઉત્પાદકતા તેમજ સહનશક્તિ વધે છે.

ભારત-પાક સરહદ પાસે નડાબેટમાં મુખ્યમંત્રીએ કર્યા યોગ

યોગના પ્રસાર પ્રચાર માટે રાજ્યમાં 51 યોગ સ્ટુડિયો સ્થપાયા, છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા રાજ્ય સરકાર કટિબધ્ધ: ભુપેન્દ્ર પટેલ

ઇતિહાસમાં પ્રથમવાર ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરના ઝીરો પોઇન્ટ, નડાબેટ, બનાસકાંઠા ખાતે યોગ દિવસની રાજયકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલીવાર આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા યોગ દિવસની ઉજવણી નિમિત્તે  શ્રીનગરથી કરાયેલા સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવતાં યોગને દૈનિક જીવનમાં અપનાવવા આહવાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપણી પ્રાચીન પરંપરા સમા યોગને વૈશ્વિક ઓળખ અપાવી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં સવા કરોડ કરતાં વધુ લોકો આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા છે, એ આનંદની વાત છે. છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં યોગના પ્રચાર-પ્રસાર માટે 51 યોગ સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ યોગના માહાત્મ્ય વિશે વધુ વાત કરતાં જણાવ્યું હતું કે યોગ આરોગ્ય સુખાકારીનું સબળ માધ્યમ બન્યું છે. તણાવમુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે. યોગ આત્મવિશ્વાસ નહિ, આત્મસંયમ છે. સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગ સર્વોત્તમ છે. કોરોના કાળમાં યોગ ઘર ઘરમાં સ્વીકૃતિ પામ્યો હતો, એવું તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને પગલે યુનો દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આજે વિશ્વના ખૂણે ખૂણે યોગ પહોંચ્યો છે. યોગ લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલીની પ્રેરણા પૂરી પાડે છે. આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ બનીએ એવું જણાવી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ નાગરિકોને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવી હતી.

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સીમાવર્તી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

અધ્યક્ષએ યોગ દિવસની શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, આજે આખી દુનિયા યોગના મહત્ત્વને સમજવા લાગી છે, જ્યાં માનવતા છે ત્યાં યોગ છે. શરીરના સુખ માટે નહીં, પરંતુ સંપૂર્ણ સુખની અનુભૂતિ યોગ દ્વારા થાય છે. મનની શાંતિ, ચિત્તની શુદ્ધિ અને બુદ્ધિના વિકાસ સહિત આત્માના શાશ્વત સુખ માટે યોગ જરૂરી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનેલા તમામનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા. તેમણે આંતરરાષ્ટ્રીય યોગ પ્રોટોકોલ અનુસાર વિવિધ આસનો અને પ્રાણાયામનું નિદર્શન કરી યોગ કરાવ્યા હતા. રોજિંદા જીવનમાં યોગ અપનાવવામાં આવે તો યોગી, નિરોગી બનવાની સાથે સમાજમાં સહયોગી અને ઉપયોગી બનવાની પ્રેરણાત્મક ઊર્જા મળતી હોવાનું, તેમણે જણાવ્યું હતું.

21 મી જૂનને વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ’સ્વયં અને સમાજ માટે યોગ’ થીમ પર રાજ્યમાં પણ વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યકક્ષાની ઉજવણીનું જીવંત પ્રસારણ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું હતું.

રાજ્યકક્ષાની ઉજવણીમાં યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતો વિભાગના અગ્ર સચિવ  અશ્વિની કુમાર, બીએસએફ આઈ.જી. અભિષેક પાઠક, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ધારાસભ્યો સર્વ કેશાજી ચૌહાણ, પ્રવીણભાઈ માળી, અનિકેત ઠાકર, લવિંગજી સોલંકી, બનાસકાંઠાના કલેકટર  વરુણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, સુઇગામ પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી સહિત અધિકારી ગણ,  કર્મચારી ગણ, યોગ ટ્રેનરો, યોગ પ્રેમીઓ, યોગાભ્યાસુઓ સહિત 3000 જેટલા લોકો સહભાગી બન્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.