- જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર પાછળના વિશાળ મેદાનમાં ઓક્સિજન પાર્કના નિર્માણનું આયોજન
- રાજકોટના રેન્જ આઈ જી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં મોટા પાયે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
- જામનગરના એસ.પી. તથા જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓ તેમજ એચડીએફસી બેન્કના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
- 25000 વૃક્ષોનું વાવેતર કર્યા બાદ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ- રાજકોટ દ્વારા ત્રણ વર્ષ સુધી નિભાવ કરવામાં આવશે
Jamnagar News : જામનગરના પોલીસ વિભાગ દ્વારા એચડીએફસી બેન્કના સહયોગથી ગો-ગ્રીન એક્ટિવિટી ફેબ્રુઆરી -2025 અંતર્ગત ઓક્સિજન પાર્કનું જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર પાછળના વિસ્તારમાં આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. અને તેના ભાગરૂપે 25,000 જેટલા અલગ અલગ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. જેનો આજથી પ્રારંભ કરાયો હતો, અને રાજકોટ રેન્જના આઈ જી અશોકકુમાર યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા સૌ પ્રથમ રાજકોટ રેન્જ આઈ જી અશોકકુમાર યાદવને ગાર્ડ ઓફ ઑનર અપાયા બાદ સ્વાગત કર્યું હતું.
આ વેળાએ જામનગરના એસ.પી.ની સાથે પોલીસ બેડામાં ફરજ બજાવતા પોલીસ હેડ ક્વાર્ટરના ડીવાયએસપી વિ.કે. પંડ્યા જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા આ ઉપરાંત જામનગર શહેર જિલ્લામાં ફરજ બજાવતા અન્ય તમામ પોલીસ અધિકારીઓ, એલસીબી, એસઓજી શાખાની ટુકડી વગેરે જોડાયા હતા.
એચડીએફસી બેન્કના સહયોગથી સમગ્ર ઓક્સિજન પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે અને આજે સૌ પ્રથમ રાજકોટ રેન્જ આઈ જી અશોકકુમાર યાદવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, આ વેળાએ એચડીએફસી બેન્કના અધિકારી નીરજ દત્તાણી તથા અન્ય બેંકના અધિકારીઓ અને સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા, અને વૃક્ષારોપણ કરાયું હતું.
આશરે 25,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. જેમાં તમામ પ્રકારના ફૂલ ઝાડ ફળ ફ્રૂટના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, અને રાજકોટના સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેની ત્રણ વર્ષ સુધી માવજત કરવામાં આવશે.
જામનગર શહેરમાં પર્યાવરણની જાળવણીના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા એચડીએફસી બેન્કના સહયોગથી આ એક મોટું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.
અહેવાલ : સાગર સંઘાણી