- છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ
- 25 લાખનું ઈનામ ધરાવતા નક્સલી સહિત 3 ઠાર
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓ સાથે અથડામણમાં સુરક્ષાદળોએ 3 નક્સલીને ઠાર માર્યા હતા. આ ત્રણેય માઓવાદીમાં તેમનો ટોપ કમાન્ડર સુધીર ઉર્ફ સુધાકર ઉર્ફ મુરલી પણ સામેલ છે. જેના માથે રૂ. 25 લાખનું ઈનામ જાહેર કરાયુ હતું. સુરક્ષા કર્મીઓએ ઘટનાસ્થળ પરથી ઈન્સાસ રાઈફલ, 303 રાઈફલ સહિત મોટા પ્રમાણમાં વિસ્ફોટક જપ્ત કર્યો હતો. તેમજ સુરક્ષાદળો આ વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન કરી રહ્યા છે.
પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, દંતેવાડા અને બીજાપુર જિલ્લાની સરહદો પર સ્થિત ગિરસાપારા, નેલગોડા, બોડગા, અને ઈકેલી વિસ્તારોમાં નક્સલવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ ડીઆરજી અને બસ્તર ફાઈટર્સની ટીમે માઓવાદી વિરોધી અભિયાન હાથ ધર્યું હતું. જેમાં 3 નક્સલીને ઠાર કરવામાં આવ્યા હતા.
નક્સલીઓ ગોળીબાર કર્યો
સુરક્ષાદળોને જોતાં જ નક્સલીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. જેના જવાબી ફાયરિંગમાં 3 નક્સલી ઠાર થયા હતા. જેમાં એકની ઓળખ સુધીર ઉર્ફ સુધાકર ઉર્ફ મુરલી રૂપે થઈ હતી. જેના માથે રૂ. 25 લાખનું ઈનામ હતું. અન્ય બે નક્સલીની ઓળખ થઈ રહી છે. ત્રણેયના શબ પર સુરક્ષાદળોએ કબજો લીધો છે.’
100થી વધુ નક્સલી ઠાર
પોલીસ મહાનિરિક્ષક બસ્તર રેન્જના સુંદરરાજ પી.એ જણાવ્યું કે, સરકારના નિર્દેશ પર લોકોની સુરક્ષા માટે DRG, એસટીએફ, બસ્તર ફાઈટર્સ, કોબરા, સીઆરપીએફ, બીએસએફ, આઈડીબીપી અને સીએએફની સંયુક્ત ટીમે સંપૂર્ણ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઉપરાંત છેલ્લા 83 દિવસમાં 100થી વધુ નક્સલીને ઠાર માર્યા છે. ગત સપ્તાહે જ બે જુદા-જુદા ઓપરેશનમાં 22 નક્સલીના ઠાર માર્યા ગયા હતા. તેમજ આ કાર્યવાહીમાં એક જવાન પણ શહીદ થયો હતો.