- અમદાવાદ – રાજકોટ નેશનલ હાઇવે સિક્સ લેનનું કામ 98 ટકા પૂર્ણ
- સિક્સલેન બનશે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે,જાણો કેટલે પહોંચી કામગીરી
38 ફ્લાય ઓવર – અન્ડરપાસ સ્ટ્રક્ચર 34ની કામગીરી પૂર્ણ: હાઇવેનું કામ પૂર્ણ થતા મુસાફરીનો સમય 30થી 45 મિનિટ ઘટી જશે
અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીયકરણ કરવા માટે કુલ રૂ.3,350 કરોડનો ખર્ચ કરાશે. આ છ માર્ગીયકરણ બાદ મુસાફરી સમયમાં અંદાજે 30 થી 45 મિનિટ જેટલા સમયની તેમજ વાહનોના ઇંધણમાં 10 થી 15 ટકા સુધી બચત થશે.
વિધાનસભામાં અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિશે મુખ્યમંત્રી વતી વિગતો આપતા સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્ર્વકર્માએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીયકરણ કરવા માટે કુલ રૂ.3,350 કરોડનો ખર્ચ કરવામાં આવશે. કુલ 201.33 કિ.મી. લાંબા આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પૈકી પ્રથમ તબક્કામાં હાથ ધરવામાં આવેલ 197 કિ.મી.માંથી 193 કિ.મી. એટલે કે 98 ટકા કામગીરી ભૌતિક રીતે પૂર્ણ કરવામાં આવી છે.
મંત્રીએ જણાવ્યું કે, અમદાવાદ-રાજકોટના છ માર્ગીયકરણ બાદ નાગરિકોના મુસાફરી સમયમાં અંદાજે 30 થી 45 મિનિટ સુધીની બચત સાથે કુલ મુસાફરી સમય ઘટીને 2.32 કલાકનો થવાનો અંદાજ છે. જેના પરિણામે વાહનોના ઇંધણમાં અંદાજિત 10 થી 15 ટકા સુધીની બચત થશે.
આ પ્રોજેકટ વિશે વધુ માહિતી આપતા મંત્રીએ કહ્યું કે અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કુલ 38 ફ્લાયઓવર-અન્ડરપાસના સ્ટ્રક્ચરની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પૈકી 34 ફ્લાયઓવર-અન્ડરપાસ સ્ટ્રક્ચરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમજ 4 સ્ટ્રકચરની કામગીરી પ્રગતિ હેઠળ છે.
આ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીયકરણ કરતા વારંવાર અકસ્માત થતા હોય તેવા બ્લેક સ્પોટના સ્થળે વર્ષ ર019ની સાપેક્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ અકસ્માતમાં આશરે 41 ટકાનો ઘટાડો થયો છે. આ રસ્તા પર કુલ 34 બ્લેક સ્પોટ હતા. જે પૈકી હાલમાં કુલ 31 બ્લેક સ્પોટનો નિકાલ કરવામાં આવ્યો છે અને બાકી 3 જેટલા બ્લેક સ્પોટનો ઝડપથી નિકાલ કરાવમાં આવશે.