- બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા તાલુકામાં અત્યાર સુધીમાં અંદાજે રૂ. 1393 કરોડના રસ્તાના કામો પૂર્ણ: સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા
- જિલ્લામાં વધતી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોને નિવારવા પાલનપુર શહેરમાં 24.53 કિ.મી. લંબાઈ અને 60 મીટર પહોળાઈના નવા ચાર માર્ગીય બાયપાસની મંજુરી અપાઈ
- વર્ષ 2025-26ના બજેટમાં નમો શક્તિ એકસ્પ્રેસ-વે “ડીસા-પીપાવાવ રોડ” માટે અંદાજિત રૂ. 36,120 કરોડની જોગવાઈ કરાઈ
આજે વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર મુખ્યમંત્રી વતી સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ આપતા જણાવ્યું કે બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા તાલુકામાં વર્ષ 2012થી અત્યાર સુધીમાં અંદાજે રૂ. 1,393 કરોડના કુલ 1,295.30 કિ.મી. રસ્તાના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
રાજ્ય મંત્રીએ જણાવ્યું કે બનાસકાંઠામાં રાજ્યની મોટી એવી બનાસ ડેરી તેમજ બનાસ મેડિકલ કોલેજ આવેલી છે. આ ઉપરાંત ગુજરાતના 1,600 કિ.મી. લાંબા દરિયા કિનારાના બંદરો સુધી માલ પરિવહન માટે રાજસ્થાન અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોના કન્ટેનર્સ અને ભારે વાહનો પાલનપુરમાંથી પસાર થતા હોય છે. દેશમાં સારામાં સારો સફેદ આરસ પહાણ અંબાજીમાંથી મળે છે. જે મંદિરો તથા જૈન દેરાસરમાં વિશાળ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેમજ તેની મોટા પ્રાણમાં નિકાસ પણ કરવામાં આવે છે. તેથી આ વિસ્તારમાં મોટા અને ભારે વાહનોની સતત અવર જવર રહે છે. જેથી દિન પ્રતિદિન વધતી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોને ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા પાલનપુર શહેરમાં 24.53 કિ.મી. લંબાઈ અને 60 મીટર પહોળાઈના નવા ચાર માર્ગીય બાયપાસ રસ્તાની મંજુરી આપવામાં આવી છે, જે માટે રૂ. 1,075 કરોડના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નાણામંત્રી કનુ દેસાઈએ નમો શક્તિ એકસ્પ્રેસ-વે “ડીસા-પીપાવાવ રોડ’ ની 430 કિ.મી. લંબાઈ માટે અંદાજીત રૂ. 36,120 કરોડની વર્ષ 2025-26 ના બજેટમાં જોગવાઈ કરી છે. આ નમો શક્તિ એકસ્પ્રેસ-વે થી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લામાં સમૃદ્ધ કોરીડોરનું નિર્માણ થશે.
આ ઉપરાંત અંબાજીના વિકાસ માટે રાજય સરકાર દ્વારા કુલ 66.15 હેકટર જમીનમાં અંદાજે રૂ. 1,405 કરોડના ખર્ચે અંબાજી કોરિડોર પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યાત્રાધામ અંબાજીના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા તારંગા હીલ અંબાજી આબુ રોડ કુલ 116.65 કિ.મી. લાંબી રેલ્વે લાઈનનું રૂ. 2798.16 કરોડની કિંમતે વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.