- જુનાગઢ: મહાકુંભ જેવું શાહી સ્નાન
- શિવરાત્રીની રાતે મૃગીકુંડમાં થાય છે રાત્રિના સ્નાન
મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ નાગાસાધુઓ અહિં શાહી સ્નાન કરે છે. આ પવિત્ર મૃગીકુંડમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી અવશ્ય મુકિત પ્રાપ્ત થાય છે. એક લોકવાયકા મુજબ નાગા સાધુઓના શાહી સ્નાન વખતે પાર્વતીજી સાથે શિવજી કોઈને કોઈ રૂપમાં પ્રથમ સ્નાન કરે છે. તેમજ માતા કુંતા, અશ્વત્થામા, રાજા ભરથરી, રાજા ભૃતુહરી, રાજા ગોપીચંદ સહિતના નવનાથ ચોર્યાસી સિધ્ધો, ચોસઠ જોગણીઓ, સતી જતીઓ વગેરે દેવી-દેવતાઓ અહી સ્નાન કરે છે. જેનાં ભાગ્યમાં હોય તેને જ આ દર્શન થાય છે. સાધુઓના શાહી સ્નાન વખતે વાતાવરણ એકદમ ભક્તિરસથી તરબોળ બની જાય છે.
ભવનાથમાં આવેલા મૃગીકુંડમાં શિવરાત્રીની મધ્યરાત્રીએ સ્નાન પૂર્વે તમામ અખાડાઓના ઈષ્ટદેવને પ્રથમ સ્નાન કરાવ્યા બાદ નાગા સન્યાસીઓ શાહી સ્નાન માટે ડુબકી લગાવે છે.
સનાતન ધર્મની પરંપરામાં કુંભ અને મહાકુંભ મેળાને ધર્મની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે, કુંભ અને મહાકુંભમાં દિવસ દરમિયાન શાહી સ્નાન થતું હોય છે, પરંતુ ભવનાથમાં આવેલા મૃગીકુંડમાં મધ્યરાત્રીએ 12:00 વાગે શાહી સ્નાન થાય છે, આ સ્નાન પૂર્વે તમામ અખાડાઓના ઇષ્ટદેવને પ્રથમ સ્નાન કરાવ્યા બાદ નાગા સન્યાસીઓ દ્વારા મૃગીકુંડમાં શાહી સ્નાન માટે ડુબકી લગાવવામાં આવે છે, જેમાંથી કોઈ એક શિવ તત્ત્વરૂપી સાધુ મૃગીકુંડ માંથી પાતાળલોક પ્રવેશ કરે છે.
કુંભ અને મહાકુંભમાં શાહી સ્નાનનું મહત્વ
સનાતન સનાતન ધર્મની પરંપરા અનુસાર વર્ષમાં એક વખત આયોજિત થતા મેળામાં શાહી સ્નાનનું ખૂબ ધાર્મિક મહત્વ છે. કુંભ અને મહાકુંભમાં શાહી સ્નાન દિવસ દરમિયાન થતું હોય છે. પરંતુ મહાશિવરાત્રીના દિવસે ભવનાથની ગીરી તળેટીમાં આવેલા મૃગીકુંડમાં મધ્યરાત્રીના 12:00 કલાકે શાહી સ્નાન કરવામાં આવે છે. જેને લઈને મહાશિવરાત્રીના દિવસે મૃગીકુંડનું સ્થાન સૌથી વિશેષ અને અલગ માનવામાં આવે છે. પાંચ દિવસ સુધી ભવનાથની ગીરી તળેટીમાં ધૂણો ધખાવ્યા બાદ શિવના સૈનિક એવા નાગા સન્યાસીઓ દ્વારા શિવરાત્રીના દિવસે ભવનાથ પરીક્ષેત્રમાં રવેડી કાઢવામાં આવે છે. જે પૂર્ણ થયા બાદ તમામ સાધુ સંતો અને નાગાસન્યાસીઓ મૃગીકુંડમાં શાહી સ્નાન કરીને શિવરાત્રીના આ મહાપર્વને સંપન્ન કરતા હોય છે.
શિવના તત્વ સમાન નાગાસન્યાસીઓ
મહાશિવરાત્રીના દિવસને ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહના પ્રસંગ તરીકે પણ ઉજવવામાં આવે છે. જેમાં નાગા સન્યાસીઓ જાનૈયા તરીકે જોડાયા હતા, તે પરંપરા અનુસાર શિવરાત્રીના દિવસે એકમાત્ર ભવનાથમાં નાગા સન્યાસીઓની રવેડી નીકળે છે, જેમાં મેળામાં સામેલ તમામ સન્યાસીઓ રવેડીનો ભાગ બને છે. જે મધ્યરાત્રીએ 12:00 કલાકે મૃગીકુંડમાં સ્નાન કરીને શિવરાત્રીના તહેવારની ઉજવણી કરે છે. તે પૂર્વે ભગવાન શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર અખાડાના ઇષ્ટ દેવોને પ્રથમ મૃગીકુંડમાં વિધિ વિધાન સાથે પૂજન કરીને તેમને સ્નાન કરાવવામાં આવે છે.
ત્યારબાદ રવેડીમાં સામેલ નાગા સન્યાસીઓ શાહી સ્નાન માટે જતા હોય છે. સનાતન ધર્મની પરંપરા અનુસાર ભગવાન શિવ અને અનેક દૈવીય તત્વ નાગા સન્યાસીઓના રૂપમાં ભવનાથની ગીરી તળેટીમાં હાજર હોય છે, જે કુંડમાં સ્નાન કરવા માટે ડૂબકી લગાવ્યા બાદ અહીંથી સીધા પાતાળ લોક જતા હોય છે આવી માન્યતા પણ મૃગીકુંડ અને તેના શાહી સ્નાન સાથે આદિ અનાદિ કાળથી જોડાયેલી જોવા મળે છે.
અસ્વીકરણ : ‘આ લેખમાં આપવામાં આવેલી માહિતી/સામગ્રી/ગણતરીઓની અધિકૃતતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી માહિતી/જ્યોતિષીઓ/પંચાંગ/ઉપદેશ/ધાર્મિક માન્યતાઓ/શાસ્ત્રોના વિવિધ માધ્યમોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, વાચક અથવા વપરાશકર્તાએ તેને માત્ર માહિતી તરીકે જ લેવી જોઈએ.