• રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને કરાયું આયોજન  
  • ચાલો, આત્મનિર્ભર ગામડાઓના નિર્માણથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીએ :  આચાર્ય દેવવ્રત

બનાસકાંઠા: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લુણાલ ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો. ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ, નકળંગ ધામ લુણાલ અને ક્રિષ્ના હોસ્પિટલ થરાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં સફાઈ અભિયાન અને પદયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

બનાસકાંઠા ખાતે ખેડૂતોને સંબોધન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિની તાતી જરૂરિયાત છે. દેશભરમાં પ્રાકૃતિક કૃષિને અપનાવવા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે પ્રાકૃતિક કૃષિના ફાયદા અંગે રાજ્યપાલએ જણાવ્યું કે, આ એકમાત્ર ખેતી છે જેનાથી જમીન ફળદ્રુપ અને નરમ બને છે. વરસાદી પાણી વધુ માત્રામાં જમીનમાં ઉતરે છે. ખેતીમાં વરસાદી પાણીથી થતું વ્યાપક નુકસાન અટકે છે. ખેતીના ખર્ચમાં ઘટાડો થાય છે જ્યારે આવકમાં વધારો થાય છે.

02 43

તેમણે કુરુક્ષેત્ર સ્થિત પોતાના ખેતરમાં કરવામાં આવતી પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માહિતી આપતાં કહ્યું કે, તેમણે પોતે આ ખેતી 200 એકર જમીનમાં અપનાવીને ધરતી માતાને ફળદ્રુપ બનાવી છે. ઉત્પાદનમાં વધારાની સાથે દેશને પોષણયુક્ત અનાજ-પાક મળે, ખેડૂતોની આવક વધે, લોકો તંદુરસ્ત બને તે માટેના પ્રયત્નો અને અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે, તેઓ પ્રથમ ખેડૂત છે અને પછી રાજ્યપાલ છે. થરાદની ધરતી પર ખેડૂતો સાથે પોતાનાપણું અનુભવી રહ્યો છું. તેમણે જણાવ્યું કે, જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનો વાસ રહેલો છે. થરાદ પંથકની સ્વચ્છતા અને સુઘડતા જોઈને ધન્યતા અનુભવી રહ્યો છું. તેમણે ખેડૂતોને રાસાયણિક, જૈવિક અને પ્રાકૃતિક ખેતીનો ભેદ અને ફાયદાઓ વિશે માહિતી આપી હતી. રાસાયણિક એટલે કે ખાતર થકી થતી ખેતી, જૈવિક એટલે વિદેશી અળસિયા થકી કરવામાં આવતી ખેતી તથા પ્રાકૃતિક ખેતી એટલે દેશી ગાય આધારિત ખેતીનો ભેદ ખેડૂતોને સમજાવ્યો હતો. આત્મનિર્ભર ગામડાઓના નિર્માણથી આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સહયોગ આપવા તેમણે જણાવ્યું હતું.

રાસાયણિક ખેતી, જૈવિક ખેતી અને જંતુનાશક દવાઓના ઉપયોગથી ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો અંગે વાત કરતાં રાજ્યપાલએ કહ્યું કે, આજે ધરતીના તાપમાનમાં વધારો નોંધાયો છે. રાસાયણિક ખાતર 24 ટકા ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણાય છે. જંતુનાશક દવાઓના ઉપયોગથી વાદળોમાં પાણી સંગ્રહ કરવાની શક્તિ ઓછી થઈ છે, જેના કારણે ક્યાંક અચાનક ભારે વરસાદ તો ક્યાંક નહિવત્ વરસાદ વરસે છે. તાપમાન વધારા સાથે વાવાઝોડા,  તોફાન, અનાવૃષ્ટિ વગેરેમાં પણ વધારો નોંધાયો છે. ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય હોવાનું રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.

04m

તેમણે બનાસ ડેરીના સફળ નેતૃત્વમાં જિલ્લાના ખેડૂતો ખેતી અને પશુપાલનના માધ્યમ થકી દૂધ ક્રાંતિ સર્જીને આર્થિક સધ્ધર બન્યા હોવાનું જણાવ્યું હતું. સરકાર અને બનાસ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં અનેક નિર્ણયો કરાયા છે જેમાં ઓલાદ સુધારણા, કુત્રિમ બીજદાન ટેકનોલોજી સહિતનો સમાવેશ થાય છે. તેમણે ગુજરાત અને થરાદની ભૂમિને રાસાયણિક ખાતરો અને દવાઓમાંથી હંમેશા મુક્તિ મળે તે દિશામાં કામ કરવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગૂજરાત વિદ્યાપીઠના 1800 વિદ્યાર્થીઓ આજથી રાજ્યના 18000 ગામડાઓમાં પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર માટે જશે, જ્યાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી પૂરી પડાશે.

તેમણે ઉમેર્યું કે, જે રીતે જંગલનાં વૃક્ષોને કુદરતી રીતે જ પોષણ મળે છે, ત્યાં કોઈ પ્રકારના ખાતર વિના જ આપોઆપ ફળ આવી જાય છે. પ્રાકૃતિક ખેતીમાં પણ જીવામૃત અને ઘન જીવામૃત આધારિત કુદરતી પદ્ધતિઓ દ્વારા ખેતી પોષણક્ષમ તો બને જ છે, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થઈ જાય છે. તેમણે જણાવ્યું કે, દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં 300 કરોડ સુક્ષ્મ જીવાણું હોય છે. ગાયના ગોબર અને ગોમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ વર્ષથી જ પૂરેપૂરું ઉત્પાદન ખેડૂતોને મળે છે. એટલું જ નહીં, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થવાથી તેમની આવક બમણી થાય છે. તેમણે જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન વિશે પણ  ખેડૂતોને વિગતવાર સમજણ આપી હતી. પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતરમાં અળસિયાનો વ્યાપ વધે છે જેનાથી નેચરલ હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ ઊભી થાય છે.

પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, સરહદી વિસ્તાર સુધી આજે પ્રાકૃતિક કૃષિ પહોંચી છે તેનો શ્રેય હું રાજ્યપાલને આપું છું. દેશની નામાંકિત સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠે પણ પ્રાકૃતિક ખેતીની કામગીરીને ઉપાડી છે, જે અભિનંદનને પાત્ર છે. મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના સંકલ્પને ગૂજરાત વિદ્યાપીઠે અક્ષરસઃ સાર્થક કરી છે. ગાંધીજીના વિચારોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના તમામ ક્ષેત્રે અમલમાં મુક્યા છે. પ્રાકૃતિક ખેતી ગામડાની સંસ્કૃતિ સાથેનું સીધું જોડાણ છે.

રાજ્યપાલના માર્ગદર્શનમાં આજે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે.

તેમણે કહ્યું કે, મારા ખેતરમાં પણ રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી માટે આપેલા સૂચનો અપનાવતાં ખૂબ સારા પરીણામો મળ્યા છે. તેમની વાતમાં વિજ્ઞાન સાથે ભવિષ્યની વાત છે. થરાદ વિસ્તાર પ્રાકૃતિક ખેતીમાં મોડલરૂપ બને તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે. આજે થરાદ પંથકમાં 100 થી વધુ ગૌશાળાઓ આવેલી છે જેનું ગૌરવ છે. આવનાર પેઢીને સ્વસ્થ બનાવવા માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ હોવાનું અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું.

રાજ્યપાલ સાથે વિધાનસભાના અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ લુણાલ સ્થિત પ્રાથમિક શાળામાં સફાઈ અભિયાનમાં ભાગ લઈને પદયાત્રા યોજી હતી. આ સાથે રાજ્યપાલએ બનાસ ડેરી સંચાલિત જમીન ચકાસણી પ્રયોગશાળાની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.

આ કૃષિ સંવાદ કાર્યક્રમમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉ. હર્ષદ પટેલ, પૂર્વ સાંસદ પરબત પટેલ, જિલ્લા અગ્રણી માવજી પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.