• કાયદાના શબ્દો સરળ હોવા જોઈએ, જેથી સામાન્ય માણસ પણ તેને સમજી શકે: અધ્યક્ષ શંકર ચૌધરી
  • કાયદાનું ડ્રાફ્ટ કરનાર એક્સપર્ટ ઇનોવેટિવ, ડાયનેમિક્સ, રિયલિસ્ટિક અને રીસર્ચફૂલ હોવા જોઈએ: એડવોકેટ જનરલ  કમલ ત્રિવેદી

આજ રોજ ગુજરાત વિધાનસભા ખાતે ગ.વા.માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો તથા I.CP.S અને G.N.L.U ના સંયુક્ત ઉપક્રમે “લેજિસ્લેટીવ ડ્રાફ્ટીંગ તાલીમ કાર્યક્રમ”નો શુભારંભ થયો હતો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં મુલ્કી સેવા વર્ગ-1 ના વિવિધ અધિકારીઓ સહભાગી બની તાલીમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કાયદા નિષ્ણાતો દ્વારા વિવિધ ક્ષતિરહિત કાયદાઓની રચના કરવા માટેના મૂળભૂત સિદ્ધાંતો તથા ભારતીય બંધારણમાં કરવામાં આવેલ કાયદાકીય જોગવાઈઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમને સંબોધતા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે જાહેર જીવનમાં મેં ઘણી બધી ઘટનાઓમાં કાયદાની અગત્યતા સમજી છે. કાયદાના ડ્રાફટીંગમાં ઉભી થયેલી ગૂંચવણ તેના અમલીકરણમાં મુશ્કેલી ઉભી કરે છે. જેથી ડ્રાફટીંગમાં તેની સ્પષ્ટતા જરૂરી છે. કાયદો બનાવવા ઉપયોગમાં લેવાતા શબ્દો સરળ હોવા જોઈએ. જેથી કાયદો સામાન્ય માણસ પણ સરળતાથી સમજી તેનું પાલન કરી શકે. અંગ્રેજોના સમયમાં કાયદાનું ઘડતર પ્રજાને નિયંત્રિત રાખવાના ઉદેશ્ય સાથે કરવામાં આવતું હતું. આજે લોકશાહી તંત્રમાં કાયદો લોકોની સુખાકારી તેમજ તેમને રક્ષણ આપવાના ઉદેશ્યથી ઘડવામાં આવે છે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે કોઈપણ કાયદો બનાવતા પહેલા પ્રજાના પ્રતિનિધિઓને પણ તેના ડેટા આધારિત જાણકારી આપવી જોઈએ. જેથી ગૃહમાં ધારાસભ્યો તેના ડેટા આધારિત ચર્ચા કરી શકે. કોઈપણ કાયદો અમલમાં આવે તે પહેલા તેનું અર્થઘટન પ્રજા માટે કેવું હશે તેને પણ ચકાસવું જોઈએ. આજે ગુજરાત વિધાનસભા ખાતે આયોજિત આ તાલીમ ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટે જનરલથી લઈ નિવૃત ન્યાયાધીશ આ તાલીમમાં અધિકારીઓને ડ્રાફટીંગ બાબતે માર્ગદર્શન કરશે. જે આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે. તેમનું માર્ગદર્શન આગામી સમયમાં કાયદો ડ્રાફટીંગ કરતાં અધિકારીઓ માટે ખુબ ઉપયોગી થશે.

આ કાર્યક્રમમાં રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, લેજિસ્લેટીવ ડ્રાફ્ટીંગની આજના સમયમાં તાતી જરૂરિયાત છે, તેમણે કોઈ પણ કાયદાકીય ડ્રાફ્ટ તૈયાર કરતા પહેલા તેની સમાજ પર કેવી અસર થશે તે અંગે કેટલાક ઉદાહરણ દ્વારા તાલીમાર્થીઓને ડ્રાફ્ટના લખાણ અંગે ખ્યાલ આપ્યો હતો. કાયદાનું ડ્રાફ્ટ કરનાર એક્સપર્ટ ઇનોવેટિવ, ડાયનેમિક્સ, રિયલિસ્ટિક અને રીસર્ચફૂલ હોવા જોઈએ. સાથોસાથ પહેલાના સમયમાં કાયદાનું ઘડતર કયા હેતુથી થતું હતું અને હાલના સમયમાં નવા કાયદાઓમાં કેવા સુધારા કરવામાં આવ્યા છે, તે અંગે તાલીમાર્થી અધિકારીઓને કેટલાક વિશેષ ઉદાહરણ આપી ખ્યાલ આપ્યો હતો. આજના આધુનિક યુગમાં કાયદાની પરિભાષા બદલાઈ રહી છે, જેથી સમયાંતરે એમાં સુધારા કરવો એ આજના સમયની માંગ છે. જેથી આ કાર્યક્રમ અધિકારીઓને ખૂબ ઉપયોગી સાબિત થશે એમ ત્રિવેદીએ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ રવિ ત્રિપાઠી, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, ગુજરાત વિધાનસભાના સભ્ય અમિત ચાવડા, વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડ્યા તથા વિધાનસભાની કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ, કર્મચારીઓ સહિત મુલ્કી સેવાના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.