રાજ્યના ખેડૂતોને પાકમાં થતા રોગના વ્યવસ્થાપન માટે સમયાંતરે ખેતી નિયામકની કચેરી દ્વારા મહત્વપૂર્ણ પગલાઓ દર્શાવતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂતો તેમના પાકનું રક્ષણ કરીને બજારમાં સારા ભાવ મેળવી શકે. તે જ આશયથી શેરડીના પાનમાંથી રસ ચૂસતી જીવાતોનું સંકલિત નિયંત્રણ કરવા માટે ખેતી નિયામકની કચેરીએ કેટલાક મહત્વના પગલા સૂચવ્યા છે.
ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવ્યા અનુસાર પાયરીલા કૂદકૂદીર્યાના જૈવિક નિયંત્રક માટે ખેતરમાં મોટા પ્રમાણમાં એપીરીકેનીયા હોય ત્યાં પાન પર જોવા મળતાં ઈંડાના સમૂહો અને કોશેટોવાળા પાન તોડી લઈ તેને કાતરથી કાપી નાના ટુકડા કરવાથી જીવાતોને ઉત્પન્ન થવાથી અટકાવી શકાય છે. આવા ટુકડાને સામાન્ય હેરફેર માટે વપરાતી પ્લાસ્ટિકની કેસમાં એકત્રિત કરવા જેથી એક સ્થળેથી બીજે સ્થળે લઈ જતી વખતે ઇંડા અને કોશેટાને નુક્સાન ન થાય. આ ઉપરાંત સવારના સમયે પાયરીલાના ઉપદ્રવવાળા ખેતરમાં વચ્ચે જઈ જે પાન પર પાયરીલાના બચ્ચાં તથા પુખ્ત જોવા મળે તે પાન પર એપીરીકેનીયા ઈંડાના સમુહ અથવા કોશેટો બહારની બાજુ રહે તે રીતે સ્ટેપલ કરવો જોઈએ. એક હેક્ટર વિસ્તારમાં એક લાખ ઈંડાં અથવા 2000 કોશેટાઓ અંદાજે 10 કોશેટા પ્રતિ પાન પ્રમાણે 200 પાન છોડવાની ભલામણ આ માર્ગદર્શિકામાં કરી છે.
વધુમાં, સફેદમાખીના નિયંત્રણ માટે વધારાના પાણીના નિતારની વ્યવસ્થા કરવી. સાથોસાથ ઢળી ગયેલી શેરડીમાં ઉપદ્રવ વધુ જોવા મળે તો સમયસર પાળા ચઢાવવાની કામગીરી પૂર્ણ કરવી જોઈએ. જીવાતના યજમાન તરીકે કામ કરતા નીંદણ જેવા કે ધરો -ચીઢો દૂર કરવા, શેઢાપાળા સાફ રાખવા તેમજ ખેતર નીંદામણ મુકત રાખવું જોઈએ. ભલામણ મુજબ રાસાયણિક ખાતરો વાપરવા અને રોપાણ પાક કરતાં લામ પાકમાં ઉપદ્રવ વધુ જોવા મળતો હોવાથી એક કરતાં વધુ લામ પાક લેવા નહીં. ઉપદ્રવાળા ટાલામાં ઉપદ્રવિત પાન તોડી બાળી દેવા જોઈએ. વુલી એફીડના ઉપદ્રવાળી શેરડીની કાપણી તાત્કાલિક કરાવવી અને કાપણીબાદ અવષેશો બાળી દેવા જોઈએ. આ ઉપરાંત સફેદમાખીના જૈવિક નિયંત્રણ માટે બચ્ચાં કોશેટાના પરજીવી એનકાર્સીયા મેક્રોપ્ટેરાની વૃધ્ધિ કરવા 40 મેશના પાંજરાની સંખ્યા 10 થી 20 પ્રતિ હેક્ટર રાખવી અને પાંજરામાં 10 થી 20 દિવસે વધુ ઉપદ્રવિત કોશેટાવાળા પાન કાપીને નાંખવા તેમજ ૧૫ દિવસે પાન બદલતા રહેવા જોઈએ. વધુમાં લીંબોળીનું તેલ 50 મિ.લિ. તથા 200 ગ્રામ યુરિયા તેમજ 01 ચમચી ડિટર્જન્ટ પાવડર 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો જેથી આ રોગને અસરકારક રીતે નિયંત્રણમાં લઇ શકાય છે.
વધુમાં, સફેદમાખીના રાસાયણિક નિયંત્રણ માટે 12 ગ્રામ એસીફેટ 75 એસપી, 3 મિ.લિ. ઈમીડાકલોપ્રીડ 17.8 ટકા એસએલ, 10 મિ.લિ ડાયમીથોએટ 30 ઈસી. પૈકી કોઈપણ એક કીટનાશક દવા 10 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી આ રોગને અટકાવી શકાય છે. કીટનાશક દવાની અસરકારકતા વધારવા માટે આવા પ્રવાહી મિશ્રણમાં 10 મિ.લિ. સ્ટીકર અથવા એક ચમચી ડીટરજન્ટ પાઉડર ભેળવીને છટકાવ કરવુંસ જોઈએ.
પાનકથીરી બરુ ઘાસ જોન્સન ગ્રાસ ઉપર આખા વર્ષ દરમિયાન જોવા મળતી હોઇ આ ઘાસનો ઉખેડીને નાશ કરવો, 500 ગ્રામ લીંબોળીના મીજનું 10 લિટર પાણીમાં દ્રાવણ અથવા 30 મિ.લિ. લીંબોળીના તેલના 10 લિટર પાણીમાં દ્વાવણનો ઉપયોગ કરવો જોઈએ. સીન્થેટીક પાઈરેથ્રોઈડ ગૃપની દવાના વપરાશથી કથીરીનો પુન:પ્રકોપ એટલે કે વસ્તી વિસ્ફોટ થતો હોઈ તો આ ગ્રુપની દવાનો ઉપયોગ ટાળવો. વધુમાં, કથીરીનાશક દવા પ્રોપરગાઈટ 57 ટકા ઈસી 20 મિ.લિ. પ્રતિ 10 લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો તેમજ જરૂર જણાયે 15 દિવસે ફરીથી એકવાર છંટકાવ કરવો હિતાવહ છે. શેરડીના સાંઠામાંથી રસ ચૂસતી જીવાતોનું નિયંત્રણ ચિકટો મિલિબગ અને ભીંગડાવાળી જીવાતના અસરકારક નિયંત્રણ માટે રોપણીના છ માસ બાદ, ચોમાસા પહેલા પાકની નીચેની ચાર થી પાંચ આતરગાંઠોની પતારી કાઢી નાંખવી જોઈએ. શેરડીની ભીંગડાવાળી જીવાત પર નભતા પરભક્ષી કિટકો જેવા કે કાયલોકૉરસ નીગ્રીટસ, ફેરોસીન્સ હોર્નીથી આ જીવાતનું કુદરતી રીતે જૈવિક નિયંત્રણ થતું જોવા મળે છે. આ જીવાતના ઉપદ્રવ વખતે આવા પરભક્ષી દાળીયા જોવા મળે તો કિટનાશક દવાઓનો છંટકાવ મુલતવી રાખવું જોઈએ. દાણાદાર કીટનાશક દવાઓનો ઉપયોગ કરવો પણ વેધકોના નિયંત્રણ માટે દાણાદાર કીટનાશક દવાઓનો ઉપયોગ કરેલ હોઇ તો આ જીવાતોના નિયંત્રણ માટે અલગથી પગલાં લેવાની જરૂર રહેતી નથી તેમ યાદીમાં જણાવાયું છે. ટોચ વેધક, ડુંખ, સાંઠા પિરાઇ, આંતરગાંઠ અને મૂળ વેધકોનુ સંકલિત વ્યવસ્થાપન વેધકોની માદા કૂદી પાખની નીચેની બાજુએ સમૂહમાં ઈંડા મૂકતી હોઇ આ ઈંડાંના સમૂહને હાથથી વીણી લઈને વાંસમાંથી બનાવેલ બુસ્ટરમાં મૂકવા જેથી ઈંડાંઓના પરજીવીઓનુ સંરક્ષણ કરી શકાય. આ સિવાય ઈંડાંઓના સમૂહનો નાશ કરવો. વેધકોથી ઉપદ્રવિત પીલાઓનો ઈયળો સહિત કાપી ખોદીને નાશ કરવો જોઈએ. આ ઉપરાંત રોપણી બાદ 90 દિવસે હલકા પાળીયા અને 140 થી 145 દિવસે ભારે કદના પાળીયા બનાવવા જેથી ડૂંખવેધક અને મૂળવેધકનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. ફેરોમેન ટ્રેપ અને પ્રકાશ પિંજર ગોઠવીને જીવાતોની મોજણી કરવી, ડૂંખવેધકના ઉપદ્રવને કાબૂમાં રાખવા સૂકી પાતરીનું ખેતરમાં મલ્ચીંગ કરવું જોઈએ.
આ ઉપરાંત 33 કિ.ગ્રા. કાર્બોફયુરાન 03 ટકા દાણાદાર દવા પ્રતિ હેકટર, 30 કિ.ગ્રા. ફિપ્રોનિલ 0.30 ટકા જીઆ, 18.75 કિ.ગ્રા. ક્લોરાન્ટાનીલીપ્રોલ 0.404 જીઆર આ પૈકી રોપણી પ્રમાણે બાદ એક મહિને અને પાળા ચઢાવતી વખતે જમીનમાં આપવી હિતાવહ છે. વધુમાં જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા નવસારી ખાતે વેધકોના ઇંડાના પરજીવી ટ્રાયકોગામાનો હાલ વ્યાપારી ધોરણે ઉછેર થાય છે. આ ટ્રાયકોકાર્ડમાંથી નીકળતી માદા ભમરી વેધકોના ઇંડામાં પોતાનું ઇંડુ મુકી વેધકોના ઇંડાનો નાશ કરે છે.
એક ટ્રાયકોકાર્ડના આઠ ભાગ કરી દરેક ભાગને 15-15 મીટરના અંતરે પાનની નીચેની બાજુએ ટ્રાયકોકાર્ડનો ભાગ ખુલ્લો રહે તે રીતે હેક્ટરા દીઠ 2 થી 3 ટ્રાયક્રોકાર્ડ સ્ટેપલ કરવાની ભલામણ છે. દર 15 દિવસના સમયગાળે બે ટ્રાયકોકાર્ડ શેરડીના પાકમાં વૈધકોના ઉપદ્રવને ધ્યાનમાં લઈને છ થી સાત વખત ઉપદ્રવિત ખેતરમાં સવાર અથવા સાંજના સમયે શેરડીના ટોચના પાન પર સ્ટેપલરની મદદથી સ્ટેપલ કરવા. ટ્રાયકોગામાં છોડવાના અઠવાડિયા પહેલા અને છોડ્યાના અઠવાડિયા બાદ ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરવાનો ટાળવો જોઈએ.
વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.