• વિકાસ સપ્તાહ: 7 થી 15 ઓક્ટોબર દરમિયાન સમગ્ર ગુજરાતના 23 આઇકોનિક સ્થળોએ યોજાશે ‘વિકાસ પદયાત્રા’
  • ‘વિકાસ પદયાત્રા’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 23 વર્ષની વિકાસ યાત્રાની ઝાંખી કરાવશે

ગાંધીનગર, 8 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના 23 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત સરકારે દર વર્ષે 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. વિકાસ સપ્તાહના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ગુજરાતના 23 આઇકોનિક સ્થળોએ ‘વિકાસ પદયાત્રા’નું આયોજન કરવા સજ્જ છે. આ એ પ્રતિષ્ઠિત સ્થળો છે, જે નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન તેમના વિઝન અને નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે, તેમજ તેમણે લોન્ચ કરેલા કે ઉદ્ઘાટન કરેલા નોંધપાત્ર પ્રોજેક્ટ્સની ઝાંખી કરાવે છે.

ઉલ્લેખનીય છે કે, પ્રવાસન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક વિકાસ, વારસાનું સંરક્ષણ અને શહેરીકરણ જેવા ક્ષેત્રે ગુજરાતના વિકાસમાં ફાળો આપનારા આ દરેક સ્થાનનું આગવું મહત્વ છે. વિકાસ પદયાત્રાનો ઉદ્દેશ ગુજરાતે હાંસલ કરેલી આ સિદ્ધિઓની ઉજવણી કરવાનો અને લોકોને વડાપ્રધાનના વિઝનથી પરિણમેલી વિકાસયાત્રાના ફરી સાક્ષી બનવાની તક આપવાનો છે.

આ આઇકોનિક સ્થળોની યાદીમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા- સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, જે એકતા અને નેતૃત્વના વૈશ્વિક પ્રતિક તરીકે ઊભી છે. અન્ય નોંધપાત્ર સ્થળોની યાદીમાં શહેરી કાયાકલ્પનું શ્રેષ્ઠતમ ઉદાહરણ એવું અમદાવાદ રિવરફ્રન્ટ, વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ- સુરત ડાયમંડ બુર્સ, રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક અને ભારતમાં પ્રીમિયર કન્વેન્શન સેન્ટર- મહાત્મા મંદિર વગેરેનો સમાવેશ થાય છે.

વડાપ્રધાનની પહેલ હેઠળ મોઢેરા સૂર્ય મંદિર, વડનગર મોનેસ્ટરી અને દ્વારકા સુદામા બ્રિજ જેવા હેરિટેજ સ્થળોને પ્રવાસન અને સંસ્કૃતિના અગ્રણી કેન્દ્રોમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ભારતનું ફિનટેક કેપિટલ ગણાતું GIFT સિટી અને દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટે સૂચિત હબ એવું સાબરમતી રેલ્વે સ્ટેશન- જેવા પ્રોજેક્ટ્સ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીકલ એડવાન્સમેન્ટ માટેના તેમના વિઝનને પ્રતિબિંબિત કરે છે.

વિકાસ પદયાત્રામાં 51 શક્તિપીઠો પૈકી એક એવા પાવાગઢ, જ્યાં વડાપ્રધાને 500 વર્ષ પછી ધ્વજ ફરકાવ્યો હતો, કચ્છમાં સ્મૃતિવન- 2001ના ભૂકંપના પીડિતોનું સ્મારક અને નવીનીકરણીય ઊર્જામાં ગુજરાતની અગ્રણી ભૂમિકા દર્શાવતા ચારણકા સોલાર પાર્ક જેવી જગ્યાઓનો પણ સમાવેશ થાય છે. આ દરેક સ્થાનો આધુનિકતાને પરંપરા સાથે જોડવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને સાથે ટકાઉ વિકાસને પણ પ્રોત્સાહન આપે છે.

આ વિકાસ પદયાત્રામાં સહભાગીઓ 23 સ્થળોની મુલાકાત લેશે, એ સ્થળ વિશે જાણકારી મેળવશે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રદર્શની પણ નિહાળશે. સહભાગીઓને એ આઇકોનિક સ્થાનો સાથે જોડાવાની તક મળશે, જે માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે પ્રગતિના માપદંડ બની ગયા છે. આ કાર્યક્રમમાં નાગરિકો, સરકારી અધિકારીઓ અને પ્રવાસીઓ સહિત રાજ્ય અને દેશભરમાંથી સહભાગીઓ જોડાશે.

વિકાસ સપ્તાહ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેના તેમના સમર્પણની ઉજવણી છે, જેમાં વિકાસ પદયાત્રા તેમની 23 વર્ષની લોક સેવા દરમિયાન હાંસલ કરેલી સિદ્ધિઓને અંજલિ આપે છે. આ પદયાત્રા ભારતના વિકાસના ભાવિની ઝલક આપશે, સાથે જ ગુજરાતને વિકાસ અને ઇનોવેશનનું મોડલ બનાવનારા ચાવીરૂપ પ્રયાસોને પણ ઉજાગર કરશે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.