• નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં પદયાત્રાનું આયોજન શ્રી ખોડલધામ મંદિરે ધ્વજારોહણ પણ કરાશે

દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ નવરાત્રિના પ્રથમ દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ પદયાત્રામાં દર વર્ષની જેમ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે અને શ્રી ખોડલધામ મંદિરે પહોંચી મા ખોડલના દર્શન કરી, આશીર્વાદ લેશે. કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિરે પદયાત્રા થકી પહોંચ્યા બાદ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે. નવરાત્રિના નવે-નવ દિવસ માતાજીને અવનવા શણગાર, હવન અને ધ્વજારોહણ કરી શ્રદ્ધાળુઓ આરાધના કરશે. નવરાત્રિ દરમિયાન શ્રી ખોડલધામ મંદિર પરિસર લાઇટિંગથી ઝગમગી ઉઠશે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા દર વર્ષે આસો મહિનાની નવરાત્રિના પ્રથમ નોરતે શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જે ક્રમ આ વર્ષે પણ ચાલુ રાખી પ્રથમ નોરતે 3 ઓક્ટોબર ને ગુરુવારના રોજ સવારે 7-00 કલાકે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની યોજાનાર પરંપરાગત પદયાત્રામાં શ્રદ્ધાળુઓ જોડાશે અને મા ખોડલના જય જયકાર સાથે શ્રી ખોડલધામ મંદિર પહોંચશે અને મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી ધ્વજારોહણ કરવામાં આવશે. પ્રથમ નોરતે ખોડલધામ પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં યજ્ઞ પણ કરવામાં આવશે.

પદયાત્રાના રૂટ પર સ્વયંસેવકો વ્યવસ્થા જાળવવા ખડેપગે રહેશે. શ્રી ખોડલધામ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ માટે ફરાળ અને અલ્પાહારની વ્યવસ્થા કરાઈ છે. પ્રથમ નોરતે સવારે 7-00 કલાકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનો પ્રારંભ થશે. મા ખોડલના રથની આગેવાનીમાં ગરબે રમતાં રમતાં શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જોડાઈને ખોડલધામ મંદિરે પહોંચશે. પદયાત્રાનું સમાપન શ્રી ખોડલધામ મંદિરે થશે. મંદિરે પહોંચીને મા ખોડલની મહાઆરતી કરી મંદિરના શિખર પર ધ્વજારોહણ કરી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે.નવરાત્રિ દરમિયાન દરરોજ શ્રી ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરાશે અને મા ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી શ્રદ્ધાળુઓ દ્વારા મા ખોડલની આરાધના કરવામાં આવશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.