• રાષ્ટ્રીય પોષણ માહ – 2024
  • પોષણક્ષમ આહાર નહીં આરોગો તો મુશ્કેલી થશે : સ્વાદ અને પોષણમાં પોષણ જ જીતે

વ્યક્તિના સર્વાંગી વિકાસમાં પોષણ ક્ષમ આહાર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પોષણક્ષમ આહારની અનિવાર્યતા કોઈ પણ ઉંમરે જરૂરી હોય છે. વિશેષમાં જો બાળપણથી જ પોષણ ક્ષમ આહારનું યોગ્ય ઘ્યાન રાખવામાં આવે તો વ્યક્તિના સર્વાંગી વિકાસમાં કોઈ અડચણ આવતી નથી.  પોષણયુક્ત આહારને વધુ મહત્વ આપવાના ઉદ્દેશથી દેશભરમાં દર વર્ષે સપ્ટેમ્બર માસને ‘રાષ્ટ્રીય પોષણ માહ’ તરીકે ઉજવવામાં આવે છે.

યુવાનો સ્વાદના ચસ્કાના કારણે પોષણયુક્ત આહારથી વંચિત રહે છે. જેથી આજની પેઢી સશક્ત નહીં પણ દુર્બળ જરૂર બનતી જાય છે. સ્વાદ અને પોષણ વચ્ચે ઘણો તફાવત છે. પોષણ કેવા પ્રકારના ભોજનમાંથી પ્રાપ્ત થાય છે? સ્વાદના ચટકાવાળા ભોજનમાંથી શું પોષણ પ્રાપ્ત થાય છે? કેવા સમયે કેવા પ્રકારનું ભોજન લેવું જોઈએ જેવી તમામ બાબતો વિશે જાણવા અમદાવાદ સિવિલ હોસ્પિટલના ન્યુટ્રિશિયન ડો. તર્લિકા ખિમસુરીયા સાથે ખાસ વાતચીત કરી હતી. સ્વાદ સાથે પોષણ કેટલું જરૂરી છે, ચાલો જાણીએ.

ડો. તર્લિકા ખિમસુરીયાએ જણાવ્યું હતું કે, જે ખોરાકમાંથી શરીરને આવશ્યક તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે તેવો ખોરાક એટલે કે, સમતોલ આહાર આરોગવો જોઈએ. સમતોલ આહારને ત્રણ ખાદ્ય જૂથમાં વર્ગીકૃત કરી શકાય છે જેમ કે, શક્તિ આપતા ખાદ્યપદાર્થો કે જેમાં અનાજ, કંદમૂળ, ઘી, તેલ, ખાંડ, ગોળનો સમાવેશ થાય છે. વૃદ્ધિ વિકાસ અને ઘડતર કરતાં ખાદ્યપદાર્થો જેમાં દૂધ અને દૂધની બનાવટો, કઠોળ જેવા ખોરાક લઈ શકાય. આ ઉપરાંત  લીલા પાંદડા વાળા શાકભાજી, પીળા અને નારંગી રંગના શાકભાજી, ખાટા ફળો, પીડા અને નારંગી રંગના ફળો કે જે રક્ષણ અને નિયમન કરતા ખાદ્ય પદાર્થો છે તેનો આહાર લઈ શકાય.

તેમણે જણાવ્યું હતું કે, સ્વાસ્થ્ય જીવન માટે દેરેક નાગરીકે ઋતુ અનુસાર ભોજન લેવું જોઈએ. મોસમી ખોરાક વધુ પોષક મૂલ્ય પ્રદાન કરે છે. ફળો અને શાકભાજી કે જે કુદરતી રીતે પાકે છે તેનો સ્વાદ વધુ સારો હોય છે, તે તાજા હોય છે અને પ્રિઝર્વ્ડ ફળોની તુલનામાં સૌથી વધુ પોષક તત્વો આપે છે. શિયાળામાં જામફળ, દાડમ અને આમળા જેવા ફળો ત્વચાની ગુણવત્તા સુધારી શકે છે.  અખરોટ હૃદય અને માનસિક સ્વાસ્થ્યમાં મદદ કરી શકે છે.  શાકભાજી, કઠોળ અને જવથી બનેલા સૂપ ઠંડીમાં શરીરને ગરમ રાખી શકે છે અને પોષણ મેળવી શકાય છે. બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ અને સાઇટ્રસ ફળો વિટામિન સી અને આયર્નના શોષણમાં મદદ કરી શકે છે.

તે જ રીતે ઉનાળામાં ટામેટાં, કાકડીઓ અને લીલા પાંદડાવાળા શાકભાજી લઈ શકાય છે. બેરી, ટેટી અને તરબૂચ જેવા ફળો પણ આ ઋતુમાં લઈ શકાય છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે. નારિયેળ, ખાટાં ફળો, કાકડી, ડુંગળી, દહીં, કેળાં જેવા ઠંડકયુક્ત ખોરાક લેવાથી ભારતમાં ઉનાળા દરમિયાન શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. લસણ એ પોષક તત્વોથી ભરપૂર ખોરાક છે જે ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરદી-ફ્લૂ સામે લડવામાં મદદ કરે આપણા શરીર માટે સૌથી વધુ ગરમ શાકભાજીઓ જેવી કે, ગાજર, બટેટા, ડુંગળી, લસણ, મૂળો, રતાળું, શક્કરિયા, બીટ, સલગમ વગેરે જેવા કંદમૂળ અને પાલક, મેથી, સરસોન, મૂળી, ફૂદીના જેવા લીલા તાજા ભાજી ચોમાસામાં લઈ શકો છો તેમ પણ ડોક્ટરે ઉમેર્યું હતું.

પોષણક્ષમ આહાર વિશે વધુ માહિતી આપતા ડો. ખિમસુરીયાએ જણાવ્યું હતું કે, ભોજનને વય જૂથ અનુસાર અલગ પાડવામાં આવે છે. વય જૂથને આધારે દરેક લોકોના શરીરમાં પોષણની અલગ અલગ આવશ્યકતા હોય છે. માનવ શરીરને એનર્જી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામીન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વોની સૌથી વધારે આવશ્યકતા હોય છે. આ તમામ પ્રકારના પોષક તત્વો અનાજ, કંદમૂળ, કઠોળ, લીલા પાંદડા વાળા શાકભાજી, દાળ, દૂધ અને દૂધની બનાવટો, ખાટા ફળો, ઘી-તેલ, ખાંડ,ગોળમાંથી સારા પ્રમાણમાં શરીરને મળી રહે છે.

પોષણક્ષમ આહાર નહીં આરોગો તો મુશ્કેલી થશે : સ્વાદ અને પોષણની જુગલબંદીમાં કોણ આગળ છે તે પ્રશ્નોનો જવાબ આપતા તર્લિકા ખિમસુરીયાએ જણાવ્યું હતું કે, બંને એકબીજાના પૂરક છે, આજની જનરેશનમાં જોઈએ તો, આજની પેઢી સ્વાદ પારખનારી છે અને ચટાકુ છે. ત્યારે ક્યારેક બહારનો ખોરાક ખાવો જોઈએ, પરંતુ આજીવન આ ખોરાક શરીર માટે હાનિકારક છે. ખોરાક બાબતે સલાહ આપતા તેમણે જણાવ્યું કે, આપણા વડીલો જે પોષણયુક્ત ઘરનો ખોરાક આરોગે છે તે જ પ્રકારનો ખોરાક આજની યુવાપેઢી અપનાવશે તો પોતાના જીવનને નિરોગી અને સ્વાસ્થ્ય બનાવી શકશે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.