• અમરેલી ખાતેથી રૂ.292 કરોડના વિવિધ વિકાસકાર્યોનું મુખ્યમંત્રીના હસ્તે  લોકાર્પણ : રૂ. 42.48 કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બસ પોર્ટની ભેટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી શહેર અને જિલ્લાને રૂ.292 કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમૂહુર્ત અને નવીનીકરણના ત્રિવિધ પ્રકલ્પોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ગુજરાતના વિકાસના રોડમેપનો ચિતાર આપતા જણાવ્યુ કે,  વડાપ્રધાનએ એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ ધરાવતા બસપોર્ટ આપીને નાગરિકોનું ઇઝ ઓફ લિવિંગ વધારવાની શરૂઆત કરાવી છે. એ દિશામાં આગળ વધતા આજે અમરેલી ખાતે અત્યાધુનિક બસપોર્ટની શરૂઆત થઈ છે. અમરેલી ખાતે રૂ.42.48 કરોડના ખર્ચે નિર્મિત બસપોર્ટ અમરેલીવાસીઓ સહિત જિલ્લાના નાગરિકોને આવાગમનની આધુનિક સુવિધા ઉપલબ્ધ થઈ છે. આ અત્યાધુનિક એસ.ટી બસ પોર્ટના નિર્માણથી મુસાફરોને આરામદાયક સુવિધાઓ સાથે સગવડતાભરી મુસાફરીનો લાભ મળી રહેશે. એટલુ જ નહિ, આ બસપોર્ટ અમરેલી શહેરની એક નવી ઓળખ બની રહેશે.

આ ઉપરાંત અમરેલીના ઐતિહાસિક રાજમહેલનું રૂ. 25 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે તેની શરૂઆત પણ મુખ્યમંત્રીએ કરાવી હતી. વડાપ્રધાનએ આપેલા ‘વિકાસ ભી, વિરાસત ભી’ મંત્રને સાકાર કરતાં આ રાજમહેલનું નવીનીકરણ કરાશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની એક નવીન કેડી કંડારી છે. ગુજરાતના છેવાડાના અને અંતરિયાલ વિસ્તારોમાં રહેતા નાગરિકોને પણ હવાઈ સફર કરનારા નાગરિકોને જેવી સુવિધાઓ મળે તે પ્રકારની સુવિધાઓ સામાન્ય નાગરિકને પણ મળે તે રીતે વિવિધ વિકાસના આયામો હાથ ધર્યા છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

ભૂપેન્દ્રભાઈએ વડાપ્રધાનના જન્મદિવસે રાજ્યભરમાં શરૂ થયેલા સ્વચ્છતા અભિયાનની રૂપરેખા આપતા જણાવ્યું કે, સ્વચ્છતા એક દિવસ નહીં પરંતુ હરહંમેશ માટે આપણા સ્વભાવનો ભાગ બનવો જોઈએ. સહિયારા પ્રયત્નોથી સ્વચ્છતા કાયમી રીતે જાળવી શકાય તો જ ગામ અને નગર સાથે રાજ્યને સ્વચ્છ અને સુંદર બનાવી શકાશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

વિધાનસભા નાયબ મુખ્ય દંડક  કૌશિકભાઈ વેકરિયાએ જિલ્લામાં થયેલા અને થવાના વિવિધ વિકાસકાર્યોનો ચિતાર આપતા કહ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા જ્યારે-જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે ખુલ્લા હૃદયે અમરેલી જિલ્લાના વિવિધ વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે.

તેમણે આ અંગે જણાવ્યુ કે, જિલ્લામાં આજે થનારા વિવિધ લોકાર્પણને લઈને જિલ્લાના નાગરિકોમાં આનંદ અને હર્ષની હેલી છવાયેલી છે. વિવિધ વિકાસના પ્રકલ્પોને જોવા માટે ગઈકાલે સાંજે મોટી સંખ્યામાં અમરેલીવાસીઓ ઉમટી પડ્યાં હતાં.

વેકરિયાએ વિવિધ વિકાસકાર્યોની ઝલક રજૂ કરતા જણાવ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા રૂ.27 કરોડના ખર્ચે નાવલી નદી પર રિવરફ્રન્ટ, સાંસ બંદર પર રૂ.75 કરોડના ખર્ચે બ્રિજ, આંબરડી પાર્કને વિકસાવવા રૂ.27 કરોડ, લાઠી સિવિલ હોસ્પિટલ માટે રૂ.50 કરોડ, જિલ્લાકક્ષાના સ્પોર્ટ્સ સંકૂલના પ્રથમ તબક્કા માટે રૂ.13 કરોડ, રાજમહેલ માટે રૂ.25 કરોડ, ડીવાયએસપી ઓફિસ માટે રૂ.9 કરોડ, રૂ.9 કરોડના ખર્ચે મોર્ડન ફાયર સ્ટેશન, બાબરા-જેસંગપરા શાળા માટે રૂ.3 કરોડ, ઠેબી ડેમ પર રિવરફ્રન્ટ માટે રૂ.50 કરોડ, જિલ્લા સાયન્સ સેન્ટર માટે રૂ.20 કરોડ, અમરેલી શહેરના રોડ-રસ્તા માટે રૂ.140 કરોડ, ગ્રામ્ય વિસ્તારના રોડ માટે રૂ.100 કરોડ, અમરેલી-લિલિયા ફોરટ્રેક રોડ માટે રૂ.23 કરોડ, સેન્ટર પોઈન્ટથી રાધેશ્યામ સુધીના આર.સી.સી.રોડ માટે રૂ.12 કરોડ, સિવિલ હોસ્પિટલ માટે રૂ.1.5 કરોડના ખર્ચે રસ્તો, કુંકાવાવ તાલુકામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તેમજ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કોલેજ માટે રૂ.36 કરોડના કાર્યોની મંજૂરી આપવામાં આવી છે. આમાંથી અમૂક કાર્યો સંપન્ન થયા છે અને અમુક કાર્યો દિવાળી આસપાસ કાર્યાન્વિત થવાના છે.

મુખ્યમંત્રીદ્વારા ખેડૂતોના વ્યાપક હિતમાં ખેડૂતખરાઈનો નિર્ણય લેવા માટે અમરેલી જિલ્લાના ખેડૂત આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું હતું. આ અવસરે અમરેલી ખાતે આવેલી ઐતિહાસિક ઈમારત રાજમહેલનું રૂ.24.98 કરોડના ખર્ચે  થનાર નવીનીકરણ પામનાર રાજમહેલ, જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ સહિતના વિવિધ વિકાસકાર્યોની દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ શિક્ષકદિને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર  ચંદ્રેશકુમાર ભોળાશંકર બોરીસાગરનું સન્માન કર્યું હતું. જિલ્લા કલેક્ટર અજય દહિયાએ આભારવિધિ કરી હતી.આ તકે, લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, રાજુલા ધારાસભ્ય  હિરાભાઈ સોલંકી, જે.વી.કાકડીયા, નગરપાલિકા પ્રમુખ  બીપીનભાઈ લિંબાણી, જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પી.બી.પંડ્યા, નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.