• મોરબી વાંકાનેર હાઇવે પર આખલો આડો ઉતરતા ડમ્પર ડિવાઈડર કૂદી કાર પર ખાબકી : ત્રણ લોકો કાળનો કોળિયો બન્યા
  • મેંદરડાના મોટી ખોડિયાર ગામે રીક્ષા પુલ પરથી નીચે પડતા બે લોકો મોતને ભેંટ્યા

રાજ્યમાં ગત રવિવાર કાળમુખો સાબિત થયો છે. અલગ અલગ પાંચ અકસ્માતમાં 9 લોકો કાળનો કોળિયો બન્યા છે જયારે એક દંપત્તિ સારવાર હેઠળ છે. રવિવારે મોરબી, જૂનાગઢ, ભાવનગર, ગાંધીનગર અને વિજાપુરમાં અકસ્માત બન્યાની માહિતી સામે આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વિવિધ સ્થળોએ થયેલા અકસ્માતોમાં અનેક લોકોના મૃત્યુ થયા છે અને કેટલાક ઘાયલ થયા છે. આ ઘટનાઓએ રાજ્યભરમાં ચિંતા ઉભી કરી છે. ગાંધીનગરમાં થયેલી દુર્ઘટનામાં, એક મર્સિડીઝ કારે ત્રણ અન્ય વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે મહિલાઓના મૃત્યુ થયા છે. વિજાપુર તરફ જતા રસ્તા પર ઉનાવા પાટિયા નજીક, કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કારે એક પિકઅપ વાન, એક અન્ય કાર અને એક મોટરસાયકલને ટક્કર મારી હતી. રસ્તાની બાજુમાં ઉભેલી બે મહિલાઓ જે દેરાણી જેઠાણી હતી તેમને કારે અડફેટે લીધી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. કારના માલિક ગાંધીનગરના એક ક્ધસ્ટ્રક્શન ગ્રુપ સાથે સંકળાયેલા દિલીપ પટેલ છે, અને તેમનો ડ્રાઈવર આનંદ રબારી કાર ચલાવી રહ્યો હતો.

જૂનાગઢમાં મોટી ખોડિયાર ગામ નજીક એક રિક્ષા પુલ પરથી નીચે પડી હતી, જેમાં બે લોકોના મૃત્યુ થયા છે.મોરબી વાંકાનેર હાઈવે પર, એક કાર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે.ભાવનગર રાજકોટ હાઈવે પર એક હિટ એન્ડ રન કેસ નોંધાયો છે, જ્યાં એક તેજ ગતિએ જતી કારે એક મોટરસાયકલ પર સવાર દંપતીને અડફેટે લીધું હતું. ઘાયલ દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત કર્યા બાદ કારચાલક ફરાર થઈ ગયો છે.

આ તમામ ઘટનાઓએ રાજ્યમાં રોડ સેફ્ટી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને લોકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરી છે.

નોંધનીય છે કે, ભારતમાં અકસ્માતોનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે દેશમાં દર કલાકે 53 માર્ગ અકસ્માતો થઈ રહ્યા છે. અકસ્માતમાં દરરોજ 19 મોત થઈ રહ્યા છે. અકસ્માતનો ભોગ બનેલા મોટાભાગના, 45 ટકા, બાઇક સવારો છે.

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માત અંગેના 2022ના અહેવાલ મુજબ ભારતમાં 4,61,312 માર્ગ અકસ્માતો થયા છે. જેમાં 1,68,491 લોકોના મોત થયા હતા જ્યારે 4,43,366 લોકો ઘાયલ થયા હતા. ગયા વર્ષની સરખામણીમાં, તે અકસ્માતોમાં 11.9 ટકા, મૃત્યુમાં 9.4 ટકા અને ઇજાઓમાં 15.3 ટકાનો વધારો દર્શાવે છે. આપણે સાવચેતી રાખીને અકસ્માતોની સંખ્યા ઘટાડી શકીએ છીએ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.