• કલેકટર બી. કે. પંડયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ થકી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું
  • છેલ્લા દાયકામા વિશ્વ સમક્ષ ભારત સશક્ત રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું : કલેકટર
  • હર ઘર તિરંગા અભિયાનની જામનગરવાસીઓએ લોકોત્સવની જેમ ઉજવણી કરી : કલેક્ટર

Jamnagar : જામનગર જિલ્લા કલેકટર બી. કે. પંડયાના અધ્યક્ષ સ્થાને જામજોધપુર તાલુકામાં આવેલ ખાનસરી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની આન.. બાન..શાન.. સાથે ઉજવણી કરવામાં આવી હતી. કલેકટરએ દવજવંદન કરી રાષ્ટ્રદવજને સલામી આપી હતી. ત્યારબાદ રાષ્ટ્રગાન કરી તેઓએ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાથે ૯ પ્લાટુન પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

The 78th Independence Day was celebrated at the district level at Jamjodhpur with pride.

સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવતા કલેકટરએ જણાવ્યું હતું કે, દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર તમામ શહીદોને નમન કરું છું. હર ઘર તિરંગા અભિયાનમા વડાપ્રધાન નરેન્દ્રમોદીએ જન જન ને જોડ્યા. અને નેશન ફર્સ્ટની ભાવના સાથે લોકોએ રાષ્ટ્રીય પર્વને લોકોત્સવ તરીકે ઉજવણી કરી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પડ્યું છે. દેશ અને દુનિયાના નકશામા ગુજરાતે વિશેષ સ્થાન મેળવ્યું છે. તાજેતરમાં રજૂ કરાયેલા દેશના બજેટમાં યુવાઓ અને નારિશક્તિને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે.

ગરીબ, વંચિત અને શોષિત તેમજ આવાસ વિહોણા 3 કરોડ લોકોને ઘરનું ઘર આપી સરકારે તેમનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. જરૂરિયાતમંદ લોકોને સરકારની સીધી યોજનાનો લાભ મળે તે માટે વર્ષ 2009થી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ છે અને સપ્ટેમ્બર 2024મા ગરીબ કલ્યાણ મેળાની 14મી શૃંખલાનું આયોજન કરાશે.

 

રોજ નું રોજ કમાઈને ખાનારા ફેરિયાઓના જામીન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે અને તેઓને લોન અપાવી છે. શ્રમયોગીઓને કામના સ્થળે જ પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે તેઓના કામના સ્થળનની નજીક નજીવા દરે ભોજનની વ્યવસ્થા કરાવવા પીએમ અન્નપૂર્ણા યોજના અમલમાં મૂકી છે.

અનુસુચિત જાતિ અને જનજાતિઓના સર્વાંગી વિકાસ માટે સરકારે વનબંધુ સહિત અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. પર્યાવરણમાં સુધારો લાવવા, જમીનની ફળદ્રુફતા વધારવા તેમજ લોકોના આરોગ્યની ચિંતા કરીને સરકાર દ્વારા જૈવિક, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સરકારે સોલાર રૂફટોપ યોજનાનું અમલીકરણ કરતા લોકોને આર્થિક ફાયદો તેમજ વીજળીનો બચાવ થયો છે.

કાશ્મીર થી કન્યા કુમારી, ઓખાથી આસામ સુધી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. એક પેડ મા કે નામ અભિયાન હેઠળ ગુજરાતમાં માર્ચ 2025 સુધી 17 કરોડ વૃક્ષ વાવવાનું આયોજન છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમને પણ જામનગરવાસીઓએ બહોળો પ્રતિસાદ આપી વધાવી લીધો. સમગ્ર જિલ્લામાં તા.09 થી 15 ઓગષ્ટ સુધી ઠેર ઠેર ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનું આયોજન થયું. જેમાં અબાલવૃદ્ધ સૌએ દેશભક્તિની જ્યોત હૃદયમાં પ્રગટાવી ખૂબ ઉત્સાહ અને આદરભેર સહભાગી થયા અને રાષ્ટ્રધ્વજને ગૌરવભેર માન આપ્યું. તે બદલ સૌને શુભકામનાઓ પાઠવી હતી.

રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીમાં જામજોધપુર તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક તેમજ દેશભક્તિની 7 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ પુરૂષ પોલીસ પ્લાટુન, મહિલા પોલીસ પ્લાટુન, હથિયારધારી અને બિન હથિયારધારી હોમગાર્ડ પ્લાટુન, NCC પ્લાટુન, પુરુષ અને મહિલા SPC કમાન્ડર, ડોગી યુનિટ પ્લાટુન અને બેન્ડ વિભાગની પરેડ યોજાઈ હતી.

The 78th Independence Day was celebrated at the district level at Jamjodhpur with pride.

કલેકટરના હસ્તે જિલ્લાના વિકાસ માટે રૂ.25 લાખનો ચેક નિવાસી અધિક કલેકટર ને તેમજ જિલ્લા આયોજન અધિકારી ને અર્પણ કરવામાં આવ્યો હતો. બાદમાં મહાનુભાવોના હસ્તે 45 જેટલા જામનગર જિલ્લાના વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વ્યક્તિઓ/સંસ્થાઓનું, આરોગ્ય કેન્દ્રોની, હોસ્પિટલની સુંદર સેવાઓ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પર્વમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગલચર, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, નાયબ વન સંરક્ષક આર.ધનપાલ, પ્રાંત અધિકારી ઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, અગ્રણીઓ, મહેમાનો, ૯ પ્લાટુનના પ્લાટુન કમાન્ડર ઓ, હોમગાર્ડ જવાનશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત હતા. કાર્યક્રમનું સફળ સંચાલન હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.