• સોલાર ક્રાંતિથી દેશભરમાં પ્રકાશિત થયું ગુજરાત
  • રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનના વધી રહેલા વ્યાપને કારણે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો: મંત્રી કનુભાઈ દેસાઈ
  • રાજ્યના 6.94 લાખથી વધુ રહેણાંક મકાનો પર કુલ 2744 મેગાવોટ ક્ષમતા ધરાવતી રૂફટોપ સોલાર પેનલ સ્થાપિત કરાઈ

પરંપરાગત ઇંધણ પરથી ભારણ હટાવીને વર્ષ 2030 સુધીમાં ભારતની 50 ટકા વીજ આપૂર્તિ વિવિધ પુન:પ્રાપ્ય ઊર્જા સ્ત્રોત દ્વારા થાય, તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું મિશન છે. જળવાયુ પરિવર્તનના પડકારોને પહોંચી વળવા પુન:પ્રાપ્ય ઊર્જાના સ્ત્રોત વધારવા માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે અનેક સફળ પ્રયાસો હાથ ધર્યા છે. પરિણામે આજે ગુજરાત રાજ્ય પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાતની વીજ માંગને પહોંચી વળવા ઉપરાંત કાર્બન ઉત્સર્જનને ઘટાડવા રાજ્ય સરકારે સૌર ઊર્જા પર ભાર મૂક્યો છે.

રહેણાંક મકાનો પર સોલાર પેનલ લગાવીને નાગરીકો પોતાનું વીજબીલ ઘટાડી શકે તેમજ રાજ્યની વીજમાંગને પહોંચી વળવામાં પણ ફાળો આપી શકે, તે માટે ગુજરાત સરકારે વર્ષ 2019માં ‘સૂર્ય ગુજરાત’ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આજે ગુજરાત રહેણાંક શ્રેણીમાં સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ છે. સૂર્ય ગુજરાત યોજનાના (સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના) અમલીકરણથી રાજ્યના રહેણાંક મકાનો માટે સરળ પ્રક્રિયાથી સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલેશન શક્ય બન્યું, સાથે જ તેમાં સહાય પણ મળતી થઇ.

લાભાર્થીઓને રૂ.3155 કરોડ સબસીડી ચૂકવાઈ

ગુજરાતના ઊર્જા મંત્રી  કનુભાઈ દેસાઈએ સૂર્ય ગુજરાત યોજનાની સિદ્ધિ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. આ યોજના અમલમાં મૂકાઈ ત્યારથી અત્યાર સુધીમાં આશરે 6.94 લાખથી વધુ રહેણાંક મકાનો પર કુલ 2744 મેગાવોટ ક્ષમતા ધરાવતી રૂફટોપ સોલાર પેનલનું ઇન્સ્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સોલાર પેનલ ઇન્સ્સ્ટોલેશન માટે આ ગ્રાહકોને કુલ રૂ. 3155 કરોડથી વધુની સબસીડી આપવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ ગ્રાહકોને રૂ. 3260 કરોડની વીજ બીલમાં બચત થઈ છે તેમજ સૌર ઊર્જાના વેચાણથી રૂ. 330 કરોડની આવક પણ થઈ છે. રાજ્યમાં સોલાર રૂફટોપનો વ્યાપ વધારવા રાજ્ય સરકારે ચાલુ વર્ષના બજેટમાં પણ સોલર રૂફ્ટોપ યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા માટે રૂ. 993 કરોડની માતબર જોગવાઈ કરી છે.

પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજનામાં ગુજરાતનું 52% યોગદાન

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા રૂ. 75,000 કરોડ કિંમતની મહત્વકાંક્ષી પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના જાહેર કરી છે, જેનો ઉદ્દેશ્ય 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને એક કરોડ પરિવારોને લાભ આપવાનો છે. આ યોજના હેઠળ ગુજરાતમાં કુલ 2.49 લાખથી વધુ અરજીઓ નોંધાઈ હતી. આ અરજીઓ પૈકી અત્યાર સુધીમાં કુલ 532 મેગાવોટ ક્ષમતાની 1.45 લાખથી વધુ સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. પીએમ સૂર્ય ઘર યોજનાના અમલીકરણમાં સમગ્ર રાષ્ટ્રમાં ગુજરાત 52 ટકાના યોગદાન સાથે મોખરે છે. સિંગલ વિન્ડો સિસ્ટમથી નાગરીકો આ યોજનાનો સરળતાથી લાભ લઇ રહ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.