• ડ્રાઇવમાં 565 આરોપીઓ સામે 323 ગુનાઓ દાખલ : 343 આરોપીની અટકાયત કરાઇ

  • સમગ્ર ડ્રાઇવ દરમિયાન યોજાયેલા 1648 લોકદરબારમાં 75 હજાર જેટલા નાગરિકો જોડાયા

  • અનધિકૃત વ્યાજખોર બચે નહિ અને કોઈ નિર્દોષ સામે ખોટો કેસ ન થાય તેની રખાઇ ખાસ તકેદારી

Gujarat news: વ્યાજના ચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને તેમાંથી મુક્ત કરાવવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાત પોલીસ દ્વારા તા.21/06/2024 થી તા.31/07/2024 સુધી રાજ્યભરમાં ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. વ્યાજખોરો સામે ચલાવવામાં આવેલી આ સ્પેશિયલ ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા ૫૬૫ આરોપીઓ સામે કુલ 323 ગુનાઓ દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત 343 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

નાગરિકોને ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી

રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચલાવાયેલી આ સ્પેશિયલ ડ્રાઇવમાં કોઇ અનધિકૃત વ્યાજખોર બચે નહિ અને કોઈ નિર્દોષ સામે ખોટો કેસ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. પોલીસે કરેલી આ કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવન બચ્યાં ઉપરાંત અનેકને પોતાની ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી છે.

ડ્રાઇવ દરમિયાન રાજ્યભરમાં 1648 લોકદરબાર યોજાયા

સમગ્ર ડ્રાઇવ દરમિયાન રાજ્યભરમાં 1648 લોકદરબાર યોજવામાં આવ્યા હતાં. જેમાં 75 હજાર જેટલા નાગરિકો જોડાયા હતાં. આ લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. આ લોકદરબારમાં પોલીસ મહાનિરીક્ષકશ્રી, પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના ઉચ્ચ અધિકારીશ્રીઓએ વ્યાજખોરોના દબાણથી પરેશાન નાગરિકોની વેદના ખૂબ જ ધ્યાનથી સાંભળી અને તેઓ લોકોની વચ્ચે ગયા ને તેમની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.