• કાલે હિરાસર એરપોર્ટ પર રાજકોટ શહેર ભાજપના નેતાઓ સાથે બેઠક બાદ મોટી ઉથલ પાથલની સંભાવના

લોકસભાની ચુંટણીના સાતમા તબકકાના મતદાન માટે આજે સાંજે પ્રચાર-પ્રસાર શાંત થતાની સાથે જ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઇ શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ આકરા એકશન ભાજપ દ્વારા લેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

રાજકોટમાં ગત શનિવારે ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલી અગ્નિકાંડની ઘટનામાં ર7 લોકોના કરૂણ મોત નિપજયા છે. આ ઘટનાથી દેશભરમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ભાજપના નેતાઓના પેટનું પાણી પણ હલતું નથી અગ્નિકાંડની ઘટના અનેક નેતાઓના તપેલા ચડાવી દેશે તે ફાઇનલ છે. પાંચ-પાંચ દિવસ થયા બાદ પણ મામલો હજી સળગી રહ્યો છે. સ્થાનીક નેતાગીરી નમાલી સાબિત થઇ રહી છે. જનતાનો રોષ ભભૂકી રહ્યો છે. અગ્નિકાંડ માટે જવાબદાર કોણ છે તે બધા જાણે છે છતાં માત્ર દેખાવ પુરતી કામગીરી કરવામાં આવે છે. હવે મામલો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પોતાના હાથમાં લઇ લ્યે તેવું લાગી રહ્યું છે.

આવતીકાલે અમિત શાહ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે.

તેઓ સોમનાથ મહાદેવના દર્શને જતા પહેલા હિરાસર એરપોર્ટ ખાતે ભાજપના 16 આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે જેમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ડો. ભરત બોધરા, મંત્રી બિનાબેન આચાર્ય, પૂર્વ પ્રમુખ સહિત 16 સભ્યોને એરપોર્ટ ખાતે બોલાવવામાં આવ્યા છે. તમામ સાથે બેઠક યોજાશે. અગ્નિ કાંડ અંગે રજે રજની માહીતી મેળવશે.

સીટની પ્રાથમિક તપાસમાં જે સરકારી વિભાગ  અને અધિકારીઓના નામો ખુલ્યા છે તે અંગે પણ માહીતી મેળવવામાં આવશે.

અગ્નિ કાંડની ઝાળ શહેર ભાજપના કહેવાતા કેટલાક નેતાઓને ભસ્મીભૂત કરી નાખશે તે ફાઇનલ છે. અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ મોટા કડાકા ભડાકાના એંધાણ વર્તાય રહ્યા છે. આવતા સપ્તાહે ભાજપ મોટા નિર્ણયો લે તેવી પ્રબળ સંભાવના જણાય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.