• રાજકોટવાસીઓએ ખોબલા મોઢે મત આપી જન પ્રતિનિધિ બનાવ્યા પણ જયારે પ્રજાના 
  • આંસુ લુંછવાનો વારો આવ્યો ત્યારે બધા છુપાય ગયા: કોંગ્રેસ પ્રજાનો અવાજ બની સાથે રહી
  • રાજકોટ મહાપાલિકાને સુપરસીડ કરે કે ન કરે
  • ભાજપના નગરસેવકોમાં જરા પણ નૈતિકતા હોય તો રાજીનામા આપી
  • દેવા જોઈએ: અથવા પ્રજા ગાળો આપે તો પણ જનતાની વચ્ચે રહો

રાજકોટમાં સર્જાયેલા  દર્દનાક  અગ્નિકાંડમાં 27 નિર્દોષ  વ્યકિતઓનાં જીવ ગયા છે.  આ ઘટનામાં સૌથી   વધુ જો કોઈ દોષિત હોય તો તે છે ભાજપ શાસિક  મહાપાલિકાનું તંત્ર,  ગુજરાત હાઈકોર્ટ કે રાજય સરકાર  દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને   સુપરસીડ કરવામાં આવે કે ન આવે પરંતુ  જનતાની અદાલતમાં  ભાજપના  68 નગરસેવકો ગેરલાયક સાબિત થયા છે.

ગત શનિવારે  ટીઆરપી  ગેમ ઝોનમાં  વિનાશક  અગ્નિકંડની ઘટના બની   આ ઘટના બાદ જનાક્રોશ ફાટી નીકળ્ો છે. પેવીંગ બ્લોકના નાના કામમાં પણ  ફોટા પડાવી વાહ વાહ મેળવતા ભાજપના  68  કોર્પોરેટરોએ હજી સુધી આ  ઘટનામાં  જનતાને  સધિયારો આપવાની તસ્દી  લીધી નથી. ઘરમાં બેસી માત્ર સોશિયલ મીડિયા  પર ઉંડા દુ:ખની લાગણી વ્યકત  કરી રહ્યા છે. જયારે ચૂંટણીમાં  લોકોના મત મેળવવા હોય ત્યારે   ભાજપના નેતા  મોટી મોટી વાતો  કરતા હોય છે. મોટા મોટા વચનો  આપતા હોય છે. એક જન-પ્રતિનિધિની પ્રથમ ફરજ એ છે કે તેને સુખ હોય કે દુ:ખ,  સારો પ્રસંગ હોય કે નરસો પ્રજાની સાથે જ રહેવું   જોઈએ પરંતુ અફસોસ કે  રાજકોટની જનતાએ  જેને ખોબલા મોઢે મત આપી કોર્પોરેટર બનવાનું બહુમાન  પ્રદાન કર્યું તેવા  68 નગરસેવકો  ખરા સમયે પાણીમાં  બેસી ગયા છે.  68માંથી  એક પણ “મા” લાલે”  અગ્નિકાંડના હતભાગીઓ પરિવારજનોને મળી સધિયારો આપવાનો નાનો અમસ્તો પણ પ્રયાસ કર્યો નથી જનતા ભલે ગાળો આપે,  ભગાડે પરંતુ   આ બધુ સહન કરી જનતાની  વચ્ચે રહેનાર વ્યકિતને જ   સાચો રાજનેતા  ગણાવી શકાય મોદી અને કમળના સહારે  કોર્પોરેટર  બની ગયેલા ભાજપના   નેતાઓને આ દુ:ખદ ઘટના બાદ શેરી ગલી કે મહોલ્લાના લીડર બનવાનો  પણ કોઈ  હકક રહ્યો નથી.

અગ્નિકાંડની ઘટનામાં  સીટના  પ્રાથમિક   અહેવાલમાં રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ  તંત્ર જ  જવાબદાર હોવાનું પ્રસ્થાપિત   થયું છે. આગામી 6  જૂનના રોજ સીટના  સંપૂર્ણ અહેવાલ બાદ ગુજરાત હાઈકોર્ટે રાજકોટ મહાપાલિકાને  શા માટે સુપરસીડ  કરવામાં ન આવે તે નોટિસ  ફટકારશે તે ફાઈનલ  છે. પરંતુ  જનતાની અદાલતમાં ભાજપના   તમામ  68 કોર્પોરેટરો  ગેરલાયક ઠર્યા છે.

પ્રદેશ પ્રમુખના  જન્મદિને  સિવિલ હોસ્પિટલે જઈ ગરીબ દર્દીઓને એક એક સફરજન આપી મોટા મોટા ફોટા પડાવત ભાજપના નેતાઓ  આજે જયારે અગ્નિકાંડની ઘટના બાદ સિવિલમાં  પોતાના   સ્વજનોની શોધખોળ કરી રહેલા ચિંતિત  પરિવારોને  મદદરૂપ બનવા  આવ્યા નથી.

આજે પણ અનેક પરિવારના લાડકવાયા કે આધાર સ્થંભ  વ્યકિત ગુમ છે. છ-છ દિવસથી તેનો કોઈ જ અતો પતો નથી પરંતુ ભાજપના કોર્પોરેટરો કે નેતાઓને આવા ચિંતાગ્રસ્ત  પરિવારોને   મદદરૂપ થવામાં  રતીભારનો પણ રસ રહ્યો નથી. ભાજપની એક જ નીતિ રહી છે કે  જશ બધો અમારો અને  ‘અપજશ’ બીજાના માથે ઢોળી દેવાનો

અગ્નિકાંડની દુ:ખની  ઘડીમાં કોંગ્રેસ સતત પ્રજાની  વચ્ચે ઉભી રહી છે. ભલે જનતાનો  મત રૂપી પ્રેમ મળતો નથી છતા દુ:ખની  ઘડીમાં   ‘હાથ’નો  સાથ રાજકોટની જનતાને મળ્યો છે. લાપતા લોકો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

શું અધિકારીઓના જ કાળા હાથ! નેતાઓ દુધે ધોયેલા…??

અગ્નિકાંડની ઘટનામાં  સંપૂર્ણ પણે જો કોઈ જવાબદાર  હોય તો તે  ભાજપ શાસિત   રાજકોટ મહાનગરપાલિકા છે. અધિકારીઓના જ  હાથ કાળા છે. શું ભાજપના  નેતાઓ દુધે ધોયેલા છે. જનતાના નિશાશા અને સળગતા    હૈયા કોઈને  શાંતીથી  રહેવા નહી દે. જો અધિકારીઓ વટાણા  વેરી દેશે તો ભાજપના   એક પણ નેતાએ ખરેખર જનતાના  દરબારમાં રહેવું ભારે   પડી જશે અધિકારીઓ જે કંઈ કામ કરતા હોય છે. તેમાં પદાધિકારીઓનું દબાણ હોય છે તે વાત સૌ કોઈ જાણે છે.  કોલસાના કાળા કારોબારમાં તમામના હાથ કાળા થઈ જાય છે. પરંતુ છુપાવેલા  હાથ કાળા છે તે દેખાતુ નથી  સીટની તપાસમાં  અધિકારીઓના મોઢા ખૂલશે તો  કેટલાય નેતાની રાજકીય કારકીર્દી ‘સ્વાહા’ થઈ જશે.

ભલે જનતાનો મત રૂપી  પ્રેમ ન મળે પરંતુ સંકટ સમયે ‘કોંગ્રેસ’ પ્રજાના પડખે

રાજકોટની જનતાને ભલે ભાજપ  પ્રત્યે અપાર પ્રેમ હોય પરંતુ સંકટના સમયે હંમેશા  શહેરીજનોને ‘હાથ’નો સાથ જ મળે છે.   ટીઆરપી અગ્નીકાંડની ઘટનાના પાંચ-પાંચ દિવસ વિતી ગયા છે. ભાજપના    68 પૈકી એક પણ કોર્પોરેટરો જનતાને   સધીયારો આપવાની તસ્દી  સુધ્ધા  લીધી નથી ત્યારે કોંગ્રેસ આ દુ:ખદ ઘયનાની  બીજી જ મીનીટથી સતત જનતાની  વચ્ચે છે. જે લોકો લાપતા  છે તેના માટે સૌ પ્રથમ  કોંગ્રેસ દ્વારા   હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે. જે નંબર ખૂદ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ  રાજાણીના  છે. પ્રદેશ પ્રમુખ   શકિતસિંહ ગોહિલ સહિતના   ટોચના  નેતાઓ રાજકોટ આવી   પહોચ્યા  હતા. જેની સામે ભાજપના નેતાઓએ ઘરમાં  પૂરાય  રહેવાનું  મુનાસિબ  સમજી લીધુ હોય તેવુ લાગે છે.

નયનાબેન આપ તો પ્રથમ નાગરિક  છો… મોઢે તાળા ન મારો??

રાજકોટના મેયર નયનાબેન  પેઢડિયાએ અગ્નિકાંડની દુ:ખદ  ઘટના બાદ   મોઢે તાળા મારી દીધા છે. કોર્પોરેશનના નિભંર  પદાધિકારીઓએ ઘટનાના પાંચ દિવસ બાદ  મૃતકોને   શ્રધ્ધાંજલી આપવાની   તસ્દી લીધી હતી. બીજી તરફ   ગઈકાલે  જયારે પત્રકારોએ  મેયર નયનાબેનને અગ્નિકાંડ અંગે સવાલો  પૂછયા ત્યારે તેઓ જવાબ આપ્યા વિના જ  સ્કુટર પર ભાગ્યા હતા જો જવાબદારીમાંથી છટકવાની વૃત્તી રાખવાની હોય તો પ્રથમ નાગરિક પદ છોડી દેવું જોઈએ. શહેરમાં  કોઈપણ આફત આવે ત્યારે સૌથી પહેલા આવી આગળ ચાલવું તે મેયરની ફરજ છે. પરંતુ  અફસોસ  ગણો કે રાજકોટવાસીઓના નસીબ  કે તેઓને એવા પ્રથમ નાગરિક મળ્યા છે. જે અગ્નિકાંડ જેવી ઘટનામાં પણ બે શબ્દો  બોલતા  મુંજાય છે. જયારે  રાજા નમાલો હોય  ત્યારે   પ્રથમ એ ભગવાન પર જ ભરોસો રાખવો પડે. જો રાજકોટ મહાનગરપાલિકાને  સુપરસીડ  કરવામાં ન આવે તો હજી આવા નબળા પ્રથમ નાગરિકને 21 મહિના સહન કરવા પડશે.

“ઈવેન્ટ મેનેજર” બની ગયેલા ભાજપના કોર્પોરેટરો જૂના નેતાઓ પાસેથી  બોધ લ્યે

ભાજપના  68 કોર્પોરેટરો પાસે હાલ જો કોઈ સૌથી મોટી આવડત   હોય તો તે છે કોઈપણ  રાજકીય ઈવેન્ટનું સુંદર મેનેજમેન્ટ કરવું જો કે આ નગર સેવકોનું  મુળ કામ નથી. એક નેતા  કેવા હોવા જોઈએ  તેના બોધપાઠ  ભાજપના કોર્પોરેટરોએ  વજુભાઈ વાળા, જનકભાઈ કોટક,  નવલસિંહ ભટ્ટ જેવા  નેતાઓ પાસેથી શીખવું જોઈએ. ‘સુખ કે સબ સાથી દુ:ખમે ના કોઈ’  રાજકોટની જનતા કંઈક આવી સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. પણ ભાજપના નેતાઓ યાદ રાખે હવે જયારે   પ્રજા પાસે તેઓ મત માંગવા  જશે ત્યારે  જનતાનો  મિજાજ   કંઈક અલગ જ હશે.   રાજકોટની જનતા સહિષ્ણુ ચોકકસ છે.  પરંતુ સંવેદનહિન નથી. અગ્નિકાંડની ઘટનાથી જનતાના હૈયા સળગી રહ્યા છે. જે રાજનેતાઓના અભિમાનને ઓગાળી નાંખશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.