Abtak Media Google News
  • પરિણામ પહેલા બુથ લેવલની નબળાઈનો સ્વીકાર કરતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ
  • મતગણતરી પહેલા કોંગ્રેસે ગણતરી શરૂ કરી દીધી, પ્રદેશ પ્રમુખે રાજકોટ બેઠક ઉપર કાર્યકર્તાઓની પીઠ થાબડવાની સાથે શીખ પણ આપી

કોંગ્રેસની બુથ લેવલની નબળાઈના કારણે ભાજપની ઝોળીમાં 26 26 બેઠક આવી જશે ? તેના ઉપર અત્યારે ચર્ચાઓનો દૌર ચાલી રહ્યો છે. બીજી તરફ અત્યારે પરિણામ પહેલા બુથ લેવલની નબળાઈનો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સ્વીકાર કર્યો છે

રાજકોટમાં ગઈકાલે  પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો માટે આયોજિત સંવાદ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં પાર્ટી માટે વિપરીત સંજોગોમાં મહેનત કરનાર કાર્યકરો અને આગેવાનોને બિરદાવ્યા હતા અને ચૂંટણી પૂર્ણ થઇ ગઇ હોવા છતાં લોકો વચ્ચે સતત રહી કોંગ્રેસની વિચારધારા સાથે લોકોને જોડવા અપીલ કરી હતી.

સંવાદ કાર્યક્રમ બાદ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે સમગ્ર ગુજરાતમાં લોકો વખતે કોંગ્રેસને ભારે સંખ્યામાં મત આપવા થનગનતા હતા, પરંતુ હું સ્વીકારું છું કે અમારી ક્યાંક નબળાઇ બૂથ મેનેજમેન્ટ પર રહી હતી. તેઓએ વધુમાં ઉમેર્યું કે  વર્ષો સુધી દેશની જનતાના આશીર્વાદ કોંગ્રેસને મળતા રહ્યા છે. સત્તા હતી ત્યારે અહંકાર નથી આવ્યો અને સત્તાથી દૂર રહેવાની વેળા આવી ત્યારે હતાશા કે નિરાશા નથી આવી હતી. અંગ્રેજોને ભારતમાંથી કાઢ્યા અને લોકશાહીનો પ્રારંભ થયો ત્યારે કોંગ્રેસે સત્તાની ધૂરા સંભાળી, તે વખતે દેશમાં સોય પણ બનતી નહોતી. અનાજની અછત હતી છતાં અંગ્રેજોએ કંઇ કર્યું નથી તેવી વાતો કરવાને બદલે કોંગ્રેસે વિકાસના કામો કર્યા હતા. ભાજપના શાસનના 10 વર્ષ વીતી ગયા છે છતાં કામના નામે મત માગી શકે તેમ નથી એટલે રાહુલ ગાંધી, પાકિસ્તાન અને હિન્દુ મુસલમાનના નામે મત માગ્યા હતા.

ભાજપને 10 વર્ષ થયા કામના બદલામાં મત નથી માંગ્યા, રાહુલ ગાંધી અને પાકિસ્તાન જેવા મુદ્દાથી ડરાવી મત માંગ્યા છે. લોકશાહીમાં લોકોનો અવાજ સાંભળવો જોઈએ. પરંતુ આજે કેટલાક અંધ ભક્તોને કારણે ભાજપનો અહંકાર સાતમા આસમાને પહોંચ્યો છે.

તો બીજી તરફ સહકારી ક્ષેત્રમાં મેન્ડેડ પ્રથાને લઈને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ગોહિલે નિવેદન આપ્યું હતું. સહકારી ક્ષેત્રમાં ક્યારેય મેન્ડેડ પ્રથા હતી. ભાજપના પ્રદેશ પ્રમુખે રાજકીય દંડો ચલાવ્યો છે. આપણી સહકારી પ્રવૃત્તિ તો વખણાતી હતી આજે કલંકિત થઈ છે. હું પણ સહકાર મંત્રી હતો આવી કોઈ પ્રથા હતી. લોકશાહીમાં તો જનમત વિજેતા નક્કી કરે છે.

રાજકોટ બેઠક ઉપર રૂપાલા 3 લાખની લીડ લઈ શકશે?

રાજકોટ બેઠકના ભાજપના પરસોત્તમ રૂપાલાએ અનેક વિવાદોનો સામનો કર્યો છે. ખાસ કરીને ક્ષત્રિય સમાજનો વિવાદ અને બીજી તરફ ઓછું મતદાન તેઓ માટે પડકારરૂપ હતું. તેવું કહેવામાં આવી રહ્યું હતું. જો કે રાજકીય પંડિતો એવું જણાવી રહ્યા છે કે મતદાનની ટકાવારી ભલે ઘટી હોય પણ મતદારોની સંખ્યા તો વધી છે. ગત લોકસભા ચૂંટણી કરતા લોકસભા ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. વધુમાં વિશ્લેષકો એમ પણ જણાવે છે કે રૂપાલા 3 લાખની લીડ સુધી પહોંચી શકે છે.

જામનગર અને સુરેન્દ્રનગરમાં કાંટે કી ટક્કર

જામનગર લોકસભા સીટમાં ભાજપ તરફથી આહિર નેતા પૂનમ માડમ તો કોંગ્રેસ તરફથી લેઉવા પાટીદાર જે પી મારવિયા મેદાનમાં હતાં. સુરેન્દ્રનગર બેઠક માટે ભાજપે ચુવાળીયા કોળી સમાજના ચંદુ શિહોરાને મેદાનમાં ઉતર્યા હતા. તો કોંગ્રેસે પણ ઋત્વિક મકવાણાને ઉતાર્યા હતા. બન્ને બેઠકમાં રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો વિરોધ વધારે હતો. જેને પરિણામે રાજકીય પંડિતો જણાવે છે કે બન્ને બેઠકોમાં કાંટે કી ટક્કર છે. બન્ને બેઠકોમાં રસાકસી થશે મોટી લીડથી હાર જીત થવાની સંભાવના ઓછી છે.

અમરેલી બેઠક ભરેલા નાળીયેર જેવી

લોકસભા ચૂંટણીમાં અમરેલી સૌરાષ્ટ્રના રાજકારણમાં એપિસેન્ટર બન્યું હતું. અમરેલી બેઠક લેઉવા પાટીદાર સમાજની બહુમતીવાળી બેઠક છે. ત્યારે અમરેલી લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ લેઉવા પાટીદારને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપે ભરત સુતરિયાને અને કોંગ્રેસે મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મરને ટિકિટ આપી હતી. ત્યારે અમરેલી બેઠક પર ઉમેદવારની પસંદગી પહેલા અને પછી ડખો જોવા મળ્યો છે. બીજી તરફ સહકારી ક્ષેત્રમાં પણ વિવાદમાં અમરેલી બેઠક ચર્ચાનો વિષય બની હતી. હાલ રાજકીય પંડિતો જણાવી રહ્યા છે કે અમરેલી બેઠક ભરેલા નાળિયેર જેવી છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.