Abtak Media Google News
  • 16 કિલોમીટરના યાત્રા રૂટ પર 1400 જેટલાં સીસીટીવી કેમરાથી નજર રખાશે

કરોડો હિંદુઓની આસ્થાના પ્રતીક સમાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે અમદાવાદ પોલીસે અભેદ્ય સુરક્ષા કવચ તૈયાર કર્યો છે. અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ છે. રથયાત્રા રૂટ પર આઇ.જી. કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસ કર્મીઓ સુધી મળી કુલ 18,784 સુરક્ષા કર્મીઓ રથયાત્રામાં ફરજ પર તૈનાત રહેનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રાની 147મી કડી સફળતાથી સાકાર થાય તે માટેના કાર્ય આયોજનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની 147મી કડી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય સહિત અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને વરિષ્ઠ અધિકારીઓ આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જોડાયા હતા.

અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રા 16 કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ રથયાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતું.

રથયાત્રાનું ઉમંગ પર્વ શાંતિ-સલામતીભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તંત્રની પ્રતિબદ્ધતા દર્શાવતાં આ પ્રેઝન્ટેશનમાં પોલીસ કમિશનરએ જણાવ્યું કે, રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને 18,700થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજરત રહેવાના છે. રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં 4500 જેટલા પોલીસકર્મીઓ જોડાવાના છે.

સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં 1931 જવાનો તૈનાત રહેશે. એટલું જ નહિં, 16 જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેમ મલિકે ઉમેર્યું હતું.આ સંદર્ભમાં પોલીસ કમિશનરએ રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન અંગે જણાવ્યું કે, 47 જેટલા લોકેશન્સ પરથી 96 કેમેરા, 20 ડ્રોન, 1733 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે.આ ઉપરાંત 16 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર ખાનગી દુકાન ધારકોની સહભાગીતાથી 1400 જેટલા સી.સી.ટી.વી. કેમેરાથી પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રખાશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.આ રથયાત્રા દરમિયાન શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર 17 જેટલા જન સહાયતા કેન્દ્રો પણ ઊભા કરવામાં આવશે.

47 લોકેશન્સ પરથી 96 કેમેરા, 20 ડ્રોન અને 1733 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે

સમગ્ર રથયાત્રા દરમિયાન મુવિંગ બંદોબસ્ત દ્વારા યાત્રારથ-ટ્રકો-અખાડા-ભજન મંડળીઓની સુરક્ષા માટે 4500થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેનાર છે. ઉપરાંત ટ્રાફિક નિયમન માટે 1931 કર્મીઓ 16 જેટલી ક્રેઇનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથોસાથ 47 લોકેશન્સ પરથી 96 કેમેરા, 20 ડ્રોન અને 1733 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરવામાં આવનાર છે. 16 કિલોમીટરના સમગ્ર યાત્રા રૂટ પર 1400 જેટલા સી.સી.ટી.વી. કેમેરાથી નજર રાખવામાં આવનાર છે.

યાત્રાના દર્શન માટે કોઈ જર્જરિત-ભયજનક ઇમારતોનો સહારો ન લે તે માટે બંદોબસ્ત ગોઠવવા મુખ્યમંત્રીની તાકીદ

મુખ્યમંત્રીએ અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ યોજાતી રથયાત્રા જન ઉમંગ અને ઉલ્લાસનું ધર્મપર્વ છે તે સંદર્ભમાં કહ્યું કે, ભગવાનના દર્શન માટે લોકો જુના, જર્જરીત મકાનો કે ભયજનક ઇમારતોનો સહારો ન લે તે માટે પોલીસ અને સ્થાનિક પાલિકા તંત્ર સતર્ક રહે તે આવશ્યક છે. તેમણે આવા પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોને જાનમાલની સલામતીના કારણોસર ત્યાં જતા અટકાવવા ખાસ તાકીદ કરી હતી.

કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા 170 જેટલાં ઈસમોની અટકાયત

રથયાત્રા દરમિયાન અનિચ્છનીય બનાવ અટકાવવા માટે પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર મલિક દ્વારા જાતે જ રૂટ પર કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. કોમ્બિંગ દરમિયાન પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા 170 જેટલાં ઈસમોના અટકાયતી પગલાં લીધા હતા. સાથોસાથ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે શંકાસ્પદ ઈસમોની ઓળખ કરી અટકાયતી પગલાં લેવા તજવીજ હાથ ધરી દેવામાં આવી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.