- દેશી દારૂ પીવાથી 3 લોકોના મો*ત
- મુખ્ય મથક નડિયાદમાં દેશી દારૂ પીવાના કારણે મો*ત થયા
- જવાહરનગર વિસ્તારમાં બનેલી ઘટના બાદ પોલીસ બેડામાં દોડધામ : મો*તનું કારણ જાણવા ધમધમાટ
નડિયાદ: લો બોલો દારૂબંધીની વાતો વચ્ચે નડિયાદમાં લઠ્ઠાકાંડ થયુ છે. જેમાં નડિયાદ શહેર પોલીસની બંધ આંખોને લઈ ત્રણના મો*ત થયા છે. મુખ્ય મથક નડિયાદમાં દેશી દારૂ પીવાના કારણે ત્રણ લોકોના મો*તથી ચકચાર મચી છે. નડિયાદના જવાહર નગરની આ ઘટના છે.
નડિયાદમાં કથિત લઠ્ઠાકાંડ સર્જાયાંના અહેવાલ મળી રહ્યા છે. જેના કારણે 3 લોકોના મોત નિપજ્યા છે. જવાહરનગર વિસ્તારમાં વેચાતો દેશી દારૂ પીધા પછી આ ત્રણેયના મૃત્યુ થયા હતા. દારૂનો અડ્ડો ગલિયા નામના બુટલેગરનો હોવાનો મૃતકના પરિવારના સભ્યો અને અન્ય લોકોનો આક્ષેપ છે. મૃતકોમાં પાણીપૂરીનો વ્યવસાય કરતા યોગેશ કુશવાહ, કલરકામ કરતાં રવિન્દ્ર રાઠોડ અને કનુ ચૌહાણનું મૃત્યુ થયું છે.
લઠ્ઠાકાંડના અહેવાલ આવતા પોલીસની ટુકડીઓ દોડી આવી હતી અને વધુ તપાસ શરૂ કરી હતી. મૃતકોને પોસ્ટમોર્ટમ માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. દેશી દારૂમાં કયા કેમિકલ ભેળવવામાં આવ્યા હતા તેની તપાસ ચાલી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, દારૂનો આ અડ્ડો ઘણા સમયથી ચાલે છે છતાં આંખ આડા કાન કરવામાં આવતા હતા. બુટલેગર ઘણા સમયથી દેશી દારૂનો વેપાર કરે છે.
નડિયાદના બિલોદરામાં 2023ના વર્ષમાં જ સીરપકાંડ થયું હતું, ત્યારબાદ હવે શહેરમાં લઠ્ઠાકાંડની ઘટના થતા ચકચાર મચી છે. હાલમાં પોલીસ દ્વારા સ્થળ તપાસ કરવાની સાથે સાથે સમગ્ર ઘટનાની વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે.
એક મૃતકના પરિવારના સભ્યે કહ્યું, અમે નોકરી ધંધા પર જતા હતા ત્યારે ઘટનાની જાણ થઈ હતી. જવાહરનગર ફાટક પાસે વેચાતો દેશી દારૂ પીધો હતો. અન્ય અસરગ્રસ્ત છે કે નહીં તેની જાણ નથી. ઘટનાની ગંભીરતાને જોઈ એલસીબીની ટીમ સિવિલ હોસ્પિટલે પહોંચી ગઈ હતી.
નડિયાદ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહને લાવવામાં આવ્યા બાદ તબીબ દ્વારા ત્રણેયના બ્લડ સેમ્પલ લઈને તેને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. પીએમ બાદ વિસેરા પણ પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવશે. પીએમ બાદ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે.
બીજી તરફ મૃતકોનાં પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યાં છે. તેમનું કહેવુ છે કે, દારૂ પીધા બાદ આ ત્રણેયની તબિયત લથડી હતી. થોડા જ સમયમાં ત્રણેય મોતને ભેટ્યા હતા. આ બનાવમાં લઠ્ઠાકાંડની પણ શક્યતા સેવાઈ છે. શંકાસ્પદ મૃતકોનાં નામ યોગેશ કુશવાહ, રવિન્દ્ર રાઠોડ તથા કનુભાઈ ચૌહાણ છે. આ મામલે પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. નડિયાદ ટાઉન પોલીસ પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવે તેવી વકી છે.
અગાઉ સર્જાયેલા લઠ્ઠાકાંડ
2022માં બોટાદ જિલ્લાના બરવાળામાં લઠ્ઠાકાંડમાં 42થીવધુના મોત
2024 માં દહેગામનાં લીહોડા ગામે ઝેરી દારૂ પીતા 2 લોકોના મૃત્યુ
2023 માં ખેડાના સિરપકાંડમાં એક જ ગામના 7ના મોત
2016માં સુરતના કડોદરામાં 19ના મોત થયા હતા