Abtak Media Google News

આધેડનું ઢીમ ઢાળી દેનાર હત્યારાની શોધખોળ

ભાવનગર પાસેના અલંગ શીપ બ્રેકીંગ યાર્ડના પ્લોટ નં.૨૪ બીની પાસે આવેલ જાહેર શૌચાલયની સામે આજે વહેલી સવારે માથાના ભાગે લોહીલુહાણ ઈજાગ્રસ્ત હાલતમાં અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

આ બનાવ અંગે પોલીસને જાણ થતા સ્થળ પંચનામું કરીને મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરેલ છે. મૃત આધેડની પ્રાથમિક ઓળખ અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે મરણ જનાર પ્લોટ નં.૭૬માં બતીનું કામ કરતો વિનોદ યાદવ (ઉ.વ.૫૫, રહે.મુળ લોસી, યુ.પી.નો) છે.

ગત મોડીરાત્રી બાદ બનેલી ઘટનાની વિગતો મુજબ અલંગ શીપયાર્ડથી મથાવડા તરફ જવાના રસ્તે રામગુફા વિસ્તાર નજીક પ્લોટ નંબર ૨૪ બી પાસે બનેલી હત્યાની ઘટનામાં મૃતકના માથાના ભાગે બોથડ પદાર્શ વડે હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.

હત્યા કરાયા બાદ લોહીલુહાણ ઈજા પર કાળા રંગ જેવું પ્રવાહી નાખીને તેની ઓળખ છુપાવવા પ્રયાસ થયો હોય તેવી આશંકા સાથે આ ગુના અંગે અલંગ પોલીસ મથકમાં અલંગ પ્લોટ નંબર ૨૪ સામે રહેતા ડો.સુદામા રમાશંકર શર્માએ કોઈ અજાણ્યા શખ્સને અગમ્ય કારણસર મરનાર વિનોદ રામચંદ્ર યાદવને માથાના ભાગે તિક્ષ્ણ હથિયારથી ગંભીર ઈજા કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અલંગ પોલીસ મથકના પી.આઈ વી.પટેલીયાએ આગળની તપાસ હાથધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.