Abtak Media Google News

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્યનું સૌભાગ્ય જે સ્થાનને પ્રાપ્ત થયું તે છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું ચાણસદ ગામ. પિતા મોતીભાઈ, માતા દિવાળીબાના જીવનમાં ખેતી અને પ્રભુભક્તિ સિવાય બીજું કોઈ લક્ષ્ય નહોતું. આ નાના એવા પરિવારમાં માગશર સુદ ૮, સંવત ૧૯૭૮, તા. ૭-૧૨-૧૯૨૧ના રોજ, પ્રગટ્યા એ મહાપુરુષ. સામાન્ય વાતાવરણમાં અવતરેલા એ અસામાન્ય બાળભક્ત શાંતિલાલની આંખોમાં ભક્તિની, અધ્યાત્મની કંઈક અનેરી ચમક હતી. બાળભક્ત શાંતિલાલનું મન બદરી-કેદારની તપોભૂમિમાં અધ્યાત્મ આરાધના કરવા માટે પહોંચી જતું. આખરે એક દિવસ એવો આવ્યો. અઢાર વર્ષની ઉંમરે ગામને પાદર ક્રિકેટનાં સાધનોની ખરીદી માટે નીકળતા શાંતિલાલને ગુરુ શાસ્ત્રીજી મહારાજ સ્વામીશ્રી યજ્ઞપુરુષદાસજીની ચિઠ્ઠી મળી : ‘સાધુ થવા આવી જાઓ!’ અને એ જ ક્ષણે ગૃહત્યાગ! નિર્વેદના પથ પર મંડાયેલા આ પ્રથમ ચરણ વિશ્વના દરેક ખંડોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિનાં ઉત્તુંગ શિખર સર કરાવવાના હતાં.

તારીખ ૨૨-૧૧-૧૯૩૯ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના ભક્તરાજ શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી, તારીખ ૧૦-૦૧-૧૯૪૮ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા આપી અને તેમાંથી સૌને મળ્યા શ્રી નારાયણસ્વરૂપદાસ સ્વામી. ભગવન્નિષ્ઠા તપ, ત્યાગ, તિતિક્ષા, સહિષ્ણુતા, સાધુતા, શુદ્ધ પંચવર્તમાન અને અનન્ય ગુરુભક્તિનો પ્રભાવ નારાયણસ્વરૂપદાસજીના ભાલપ્રદેશમાં ઝળહળવા લાગ્યો. માત્ર દશ જ વર્ષમાં ગુરુ શાસ્ત્રીજી મહારાજના હૈયાનું રત્ન બની ગયા. સને ૧૯૫૦માં શાસ્ત્રીજી મહારાજે દીર્ઘદૃષ્ટિથી સ્થાપેલી વિકસતી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે તેઓને નિયુક્ત કર્યા ત્યારે કદાચ કોઈને કલ્પના પણ નહીં હોય કે આ નાના સરખા સાધુ પોતાની ભક્તિનિષ્ઠાથી જગતભરની આધ્યાત્મિક પ્રતિભાઓમાં પણ પ્રમુખ ઠરશે.

એક નાનકડા બિંદુમાંથી બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાને વિશ્વવ્યાપી સિંધુ સુધી પહોંચાડનાર પ્રમુખસ્વામી મહારાજનાં કાર્યોની સમીક્ષા શબ્દોમાં કરવાનું અશક્ય છે.

પ્રમુખસ્વામી મહારાજ વૈદિક સંસ્કૃતિ અને ભગવાન સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ સંદેશનો જગતમાં ૫૫ કરતાંય વધુ દેશોમાં સર્વાધિક ફેલાવો કરનાર ધર્મગુરુ હતા. તેઓએ યુગો સુધી સંસ્કૃતિની ભાગીરથીને વહાવનારા ૧૨૦૦ ભવ્ય મંદિરો, ન્યુજર્સી(અમેરિકા), રાજધાની દિલ્હી અને ગાંધીનગરમાં ભવ્ય સંસ્કૃતિધામ ‘અક્ષરધામ’ લંડનનું વિશ્વવિખ્યાત અજાયબી સમું સ્વામિનારાયણ મંદિર કે દેશવિદેશના એવાં સેંકડો સંસ્કારભવનોના નિર્માતા છે. તેઓ દેશવિદેશના ૧૦૦૦થી પણ વધુ સુશિક્ષિત નવયુવાનોને ત્યાગાશ્રમના પંથે વાળી, તેમને આજીવન સમાજ-ઉદ્ધારમાં જોડનાર, સમર્પણનો અજોડ કરિશ્મા બતાવનાર વિક્રમસર્જક મહાપુરુષ હતા.

સાડા સાત લાખ કરતાંય વધુ પત્રો દ્વારા કે અઢી લાખ કરતાંય વધુ ઘરોની મુલાકાતો દ્વારા કે લાખો લોકોને વ્યક્તિગત મળી મળીને તેમના જીવનની ગૂંચો ઉકેલનારા અદ્વિતીય સ્વજન હતા. એ ઘણું બધું હતું પણ સૌથી વધુ આકર્ષક હતું – સૌના સ્વજનસમું પરાભક્તિથી છલકતું એમનું અહંશૂન્ય ભક્તહૃદયી વ્યક્તિત્વ.

તેમની આંખોમાં માનવમાત્ર માટે કરુણા ભરેલી હતી. જ્યારે જ્યારે વિશ્વ કુદરતી પ્રકોપનો ભોગ બને છે ત્યારે ત્યારે તેઓ ભેદભાવ વગર સૌની પડખે ઊભા રહી મદદ કરે છે. ભલે તે ભૂજનો ભૂંકપ હોય કે ઉત્તરાખંડનું પૂર હોય, આ નિર્મલ સંતે દરેક માનવીનાં અશ્રુ લૂક્યાં હતા છતાં ઉપકાર કર્યાનો લાગરેક પણ અણસાર તેમના મુખ પર જોવા નહોતો મળ્યો.

‘બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાનાં સુખમાં જ આપણું સુખ છે.’ આ જીવનસૂત્ર સાથે શ્વાસે શ્વાસે પરહિતની જ રટના કરતાં સ્વામીશ્રીએ તારીખ ૧૩/૦૮/૨૦૧૬ના રોજ સાંજે ૬.૦૦ વાગ્યે અક્ષરધામ તરફ પ્રયાણ કર્યું. માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં શોકની લાગણી પ્રસરી ગઈ. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હોય કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદ માટેના ઉમેદવાર હિલેરી કલીન્ટન હોય, બાબા રામદેવજી મહારાજ હોય કે મોરારિ બાપૂ હોય, બધાએ કોઈ સ્વજન ગુમાવ્યાની લાગણી વ્યક્ત કરી હતી. લાખો ભાવિકોનો પ્રવાહ સારંગપુરમાં સ્વામીશ્રીની અંતિમ ઝલક મેળવવા ઉમટી પડ્યો હતો. આ વખતે સૌને એવી અનુભૂતિ થઈ કે આવા મહામાનવ ક્યારેક જ આ પૃથ્વીની તળે અવતરે છે. આજે સ્વામીશ્રી આપણી વચ્ચે નથી પણ એમની દિવ્યતા, એમની નિષ્ઠા, એમનો જીવન સંદેશ એમના આધ્યાત્મિક વારસદાર પ.પૂ. મહંતસ્વામી મહારાજ દ્વારા સદેવ મળતો રહેશે. તો આવો આપણે સાથે મળીને યુગપુરુષ પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ ઉજવીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.