Abtak Media Google News

‘પ્રજા સત્તાક-દિનની પરેડ’ વખતે કવિશ્રી કરસનદાસ માણેકને એમ ગાતાં સાંભળ્યા: એક દિન આંસુભીના રે, હરિના લોચનિયાં મે દીઠાં… એમાં દેશની સવા અબજ જેટલી વસતીનું કલ્પાંત ભીનું રૂદન હતું…

પાકિસ્તાનને પાઠ ભણાવવાના હાકલા-પડકારા હતા ?

દેશનું એક મોંઘેરૂ રાષ્ટ્રીય -પર્વ આવ્યું અને ગયું…; એ શું શું લઈને આવ્યું હતુ અને શું શું લઈને ગયું, એનું પૃથકકરણ કરવા બેસીએ તો એની એક આંખમાં કસુંબલ આનંદ-ઉમંગ હતા અને બીજી આંખમાં ઘેરો વિષાદ હોવાનું દેખાઈ આવતું હતુ. રામ-રાવણની લડાઈ અને કૌરવો-પાંડવોનું મહાયુધ્ધ એમાં પ્રતિબિંબીત થતાં હતા. શ્રીમંતો અને સત્તાધારીઓ રંગબેરંગી બિછાત એમાં દેખાઈ. સત્તાધીશોનો ખૂની ભપકો પણ દેખાયો. દંભી અને પાખંડી પ્રવચનો કાને પડયાં. બનાવટી દેશભકિતનાલેબાસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવતા બહુરૂપીઓ દેખ્યા. એક દમામદાર કેસરી સાફાને નિહાળ્યો. હવે શું? વિતેલા રાષ્ટ્રીય પર્વ વિષે અને તેનાં વિવિધ પાસાંઓ વિષે સાચું -ખોટું ઘણું બધું લખાયું અને વર્ણવાયું.

રાજધાની દિલ્હીના માર્ગો માટે, વૃક્ષો માટે, પ્રજા માટે અને રાજમહેલો શાહીકચેરીઓ માટે આ જાજરમાન દ્રશ્યો, બાદશાહી ઠાઠમાઠ, બેન્ડવાજાંઓની ધમાકેદાર રમઝટ અને રંગ, રૂપ, રોશનીની ઝાકઝમાળ અને સાંસ્કૃતિક ઝલકના કલામય પ્રદર્શનો ખાસ કાંઈ નવા નહોતાં, પરંતુ રાષ્ટ્રીય પર્વનો થનગનાટ અને સરકારી ઠાઠમાઠ અહીં રેલાવીને આ પર્વ કાળના ગર્ભમાં વિલીન થઈ ગયું છે, અને ‘હવે શું’નો પ્રશ્ર્ન આપણા માટે મૂકી ગયું છે !…આ પ્રશ્ર્ન ભલે એક જ સ્વરૂપનો દેખાય છે, પરંતુ આપણા દેશની તેમજ આપણા સમાજની તમામ મુશ્કેલીઓ-મુશીબતોને સ્પર્શે છે. તમામ મુંઝવણોને સ્પર્શે છે.

આપણા સમાજની તમામ બદીઓને, બળત્કારોને, ભ્રષ્ટાચારને, લાંચરૂશ્વતને, ભેળસેળને, લુચ્ચાઈ-લફંગાઈને, નફફટાઈ, નફરતો, કારમી મોંઘવારી, કાળમૂખી ગરીબાઈ, લાગવગશાહી, રાષ્ટ્રદ્રોહ સમી હલકટાઈ, હેવાનિયત, કાળાં નાણાં, કાળાબજાર, કાવતરા ખોરી, સમાજ વિરોધી પ્રપંચો, ગરીબોનાં દીકરા દીકરીઓનાં ભણતરને અવરોધતી મુશ્કેલીઓ, લગ્ન-વેવિશાળ સંબંધી વિકરાળ દેખાદેખી અને સવા અબજ જેટલી વસ્તીના ભવિષ્યને અતિ વિપરીત અસર કરે એવું નિરંકુશ, એકહથ્થુ, આપખુનદ અને મનસ્વી શાસનથી મૂકિત જેવી વિકરાળ મુસીબતો વગેરે અંગે આપણા રાજકારણીઓ, રાજપુરૂષો અને રાજકર્તાઓ કેવાં પગલાં લેશે, એ બધા પ્રશ્ર્નોનો આ એક પ્રશ્ર્નમાં સમાવેશ થાય છે… આપણો આખો દેશ અને માનવસમાજ અવનવી મુસીબતોથી ખદબદે છે.

7537D2F3 16

આ વખતનાં બજેટમાં કેન્દ્ર સરકારની અને દેશવાસીઓની જબરી કસોટીઓ દેખા દેશે એ નિર્વિવાદ છે. આમ આદમીઓની ગરીબોની, શ્રીમંતોની અને ધરમકરમના થાંભલાઓની જબરી કસોટી થશે એવી આગાહી અત્યારની રાષ્ટ્રીય બરબાદી ઉપરથી કરી શકાય તેમ છે.‘કરકસર’ને બદલે બેફામ નિરર્થક ખર્ચ માઝા મૂકી રહ્યો છે. એ સૌથી વધુ અમંગળ એંધાણ છે….વડાપ્રધાનને મન પાકિસ્તાનની સમસ્યા એ સૌથી મોટી અને વિકટ સમસ્યા હોવાનું લાગે છે.

એટલે જ કદાચ તેમણે ૪૮ કલાક પહેલાના પ્રવચનમાં તેમની સરકાર ઐતિહાસીક અન્યાયને સુધારવા માટે અને પડોશી દેશોમાં રહેતા લઘુમતીઓ સાથે કરવામાં આવેલા ભારતના જૂના વચનને પૂર્ણ કરવા માટે નાગરીક સુધારા કાનૂનને લઈને આવી છે. મોદી રાષ્ટ્રીય ક્રેડેટ કોર (એનસીસી)ની વાર્ષિક રેલીને સંબોધતા કહ્યું હતુ કે તેમણે કહ્યું હતુ કે, કેટલાક પરિવારો અને પાર્ટીઓએ મળીને કલમ ૩૭૦ને જીવિત રાખવાના પ્રયાસો કર્યા હતા. મોદીએ વિરોધ પક્ષો ઉપર આકરા પ્રહાર કર્યા હતા. સીએએની સામે કેટલાક શહેરોમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે મોદીએ કેટલીક કઠોર વાત કરી હતી. પડોશી દેશોમાં રહેતા લઘુમતીઓ માટે કરાયેલા વચનો પૂર્ણ કરવામા આવી રહ્યા છે. કલમ ૩૭૦નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતુ કે, સ્વતંત્રતાનાસમયથી જ જમ્મુ કાશ્મીરમાં સમસ્યા હતી બીજી બાજુ મોદીએ પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કર્યા વગર જોરદાર ચેતવણી આપી હતી.

આમ વડાપ્રધાને પડોશી દેશ પાકિસ્તાનને ભારતની હાલની મુખ્ય સમસ્યાઓમાં પાકિસ્તાનને અગ્રતા આપી હતી. કદાચ ભાજપ હવે પછીની ચૂંટણીમાં પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરને (પીઓકેને) મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવે ? જોકે, એનો આધાર ચૂંટણી વખતના સ્થિતિ સંજોગો ઉપર પણ આધારિત બની શકે! વડાપ્રધાન અને તેમના પ્રધાનમંડળના સાથીઓ સામે હાલતૂર્ત ‘બજેટ’ના પ્રત્યાઘાતોનો મુદ્દો અને દેશની આર્થિક હાલતનો મુદો પણ એટલો જ મહત્વનો બનશે !

અભ્યાસીઓનો એવો મત છે કે, મોદી સરકારે આમ આદમીઓની હાલની વિકટ મુસીબતોને સારી પેઠે ધ્યાનમાં લેવી પડશે. દેશમાં કુલ વસ્તીના ૬૫ ટકા લોકો લાંબા વખતથી કારમી ગરીબી કારમી મોંઘવારી, કારમી બેરોજગારીથી ત્રાહિમામ રહ્યા છે. કાશ્મીરના મુદ્દા ઉપર તે બહુઝાઝો મદાર નહિ રાખી શકે ! કેટલાક લોકો એવી માર્મિક ટકોર કરે છે કે, ‘ઈવીએમ’ની વફાદારીમાં ભાજપને અને મોદીને પૂરેપૂરો વિશ્ર્વાસ છે. એમને કોઈ રાજકીય સ્વરૂપના મુદાઓની જરૂર નહિ પડે.

જો કે, ઉપર દર્શાવેલ ‘હવે શું’ પ્રશ્ર્ન મોદી સરકારને અને શાસક પક્ષોના મોરચાએ બધી રીતે વિચારીને અને એમાં ઉંડા ઉતરીને તેના નિષ્કર્ષના આધારે જ આગામી ચૂંટણીઓ લડવી પડશે!‘પ્રજાસત્તાક-દિન’ (રાષ્ટ્રીય પર્વ) તેની સાથો શું લાવ્યું હતુ. અને શું શું મૂકી ગયું’ એ વાત, અને ‘હવે શું-નો પ્રશ્ર્ન’ આગામી સમયમાં સરકાર માટે અને રાજકારણીઓ માટે સૌથી મહત્વનો બનશે, એ નિર્વિવાદ છે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.