Abtak Media Google News

૧૪મીથી એક સપ્તાહ યોગ અંગે જનજાગૃતિ વધારતા વિવિધ કાર્યક્રમો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી યોજાશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આગામી ર૧મી જૂન વિશ્વ યોગ દિવસને ભારત સરકારના દિશાનિર્દેશો મુજબ યોગ એટ હોમ યોગા વીથ ફેમિલી તરીકે રાજ્યભરમાં ઉજવીને  કોરોના સંક્રમણ સામે હરેક ગુજરાતી આ યોગ-સાધનાથી રોગપ્રતિકારક શકિત વધારી રક્ષણ મેળવે, કોરોનાને યોગથી હરાવે તેવી નેમ દર્શાવી છે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી રાજ્ય યોગ બોર્ડની બેઠકમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના આયોજન સંબંધે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રમત-ગમત રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવે, યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજી સહિત બોર્ડના સભ્યો આ બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ આ બેઠકમાં કહ્યું કે, કોરોના સંક્રમણથી બચવા રોગપ્રતિકારક શકિત વધારવી આવશ્યક છે.વિશ્વ આખું હવે એ તરફ સજાગ બન્યું છે અને યોગ-પ્રાણાયામના માધ્યમ થી રોગપ્રતિકારક શકિત વધારવા તરફ વળ્યું છે ત્યારે પ્રાચીન ભારતીય સંસ્કૃતિની વિશ્વને ભેટ એવા યોગ-પ્રાણાયામનું મહત્વ રાજ્યમાં જન જન જસુધી વિસ્તરે તે માટે વિશ્વ યોગ દિવસ મહત્વનો બનશે એવો સ્પષ્ટ મત મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.

આ સંદર્ભમાં તેમણે યોગ બોર્ડ દ્વારા ર૧મી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી પૂર્વે એક સપ્તાહ એટલે કે તા.૧૪ જૂનથી યોગ-પ્રાણાયામનો વ્યાપક પ્રચાર-પ્રસાર લોકોમાં થાય જાગૃતિ વધે તે માટે સોશિયલ મીડીયા પ્લેટફોર્મના માધ્યમથી યોગ નિદેશનો-યોગ અંગે જાગૃતિ વ્યાખ્યાનો સહિત  વિવિધ કાર્યક્રમો યોજવાનું માર્ગદર્શન આપ્યું હતું.  મુખ્યમંત્રીએ રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે યોગ પ્રશિક્ષકોને માનદ વેતનથી પસંદ કરવામાં આવ્યા છે તે યોગ પ્રશિક્ષકો આ સપ્તાહ દરમ્યાન અને ર૧મી જૂને પણ યોગ નિદર્શનો-યોગ જનજાગૃતિમાં જોડાય તેવા આયોજનની હિમાયત કરી હતી.  મુખ્યમંત્રીએ યોગ-પ્રાણાયામને પ્રવર્તમાન પરિસ્થિતીમાં વધુ પ્રચલિત બનાવવાના હેતુથી વધુને વધુ લોકો યોગાભ્યાસમાં જોડાય તે માટે સેલ્ફી વીથ યોગાસન, યોગ વીથ  ફેમીલી  જેવા આકર્ષક આયામો પણ આ પ્રચાર-પ્રસાર અભિયાનમાં જોડવાનું પ્રેરક સૂચન કર્યુ હતું. આ બેઠકમાં રાજ્ય યોગ બોર્ડની પ્રવૃત્તિઓનું પ્રેઝન્ટેશન પણ મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.