Abtak Media Google News

હાલારમાં વરસાદ લંબાતા ખેડૂતો સહિત લોકોમાં ઘેરી ચિંતા પ્રવર્તી રહી છે અને લોકો મેઘરાજાની એન્ટ્રી થાય અને પૂરતો વરસાદ થાય, તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.અધિક માસ (જેઠ) અને જેઠ માસ પૂર્ણ થવામાં છે છતાં હાલાર પંથકમાં વરસાદનું આગમન નહીં થવાથી સમગ્ર પંથકમાં ઘેરી ચિંતાની લાગણી ફેલાઈ છે.

જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી પાણી પર જ ખેતી નિર્ભર છે. કપાસ, મગફળી જેવા મુખ્ય પાકોનું ઉત્પાદન સારા ચોમાસા પર જ અવલંબિત છે. જેઠ મહિનાની સુદ અગિયારસ અર્થતા ભીમ અગિયારસના દિવસે તો વાવણી શરૃ થઈ શકે તેવો વરસાદનો પ્રથમ રાઉન્ડ વરસી ગયો હોય છે, તેના બદલે અષાઢી બીજ નજીક આવી ગઈ છે છતાં વરસાદનું નામોનિશાન નથી.

ખેતી ઉપરાંત પીવાના પાણીની પણ ગંભીર કટોકટી સર્જાઈ છે. વરસાદ ખેંચાતા બન્ને જિલ્લાના પાણીના સ્ત્રોત ખાલીખમ્મ થઈ ગયા છે. નર્મદાના પાણી મેળવવામાં પણ ચોક્કસ મર્યાદાઓ તો છે જ, ઉપરાંત અવારનવાર કેનાલો તૂટી જવાના, પાણી ચોરી, પાવર કટ, ઉપરથી પાણીનો જથ્થો ઓછો આવવા જેવા કારણોસર નર્મદાના પાણી પણ સમગ્ર જિલ્લામાં પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે. તેમજ સ્થાનિક સંસ્થાઓના પણ થૂંકના સાંધા જેવા આયોજનના કારણે પાણી વિતરણ વ્યવસ્થામાં ગાબડાં પડી રહ્યા છે.સમગ્ર રીતે વરસાદની એન્ટ્રી પર જ આવનારા દિવસોમાં સમસ્યાના ઉકેલનો આધાર છે.

જિલ્લા વહીવટી તંત્ર, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓએ એપ્રિલ-મે મહિનાથી દુષ્કાળ જેવી સ્થિતિ અંગે આગોતરા આયોજન માટે બેઠકો કરી હતી. તેમાં શું આયોજન કરવામાં આવ્યું તે તો રામ જાણે? બાકી કોઈપણ જાતનું નક્કર આયોજન થયું હોય તેમ જણાતું નથી.

હવે વરસાદ ખેંચાતા પાણીના ટેન્કરો શરૃ કરવા, નર્મદાનું પાણી વધારે જથ્થામાં મેળવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા જેવું લાગે છે.નર્મદાના પાણીના જથ્થાની વાત કરીએ તો જાણકારોના મતે અમુક એમએલડી પાણીથી વધુ જથ્થો વહન  કરવાની જ વ્યવસ્થા ન હોય તો વધુ જથ્થો કેવી રીતે આવી શકે?

દિવસે દિવસે પાણી સમસ્યા વધુને વધુ ગંભીર બની રહી છે ત્યારે જવાબદાર તંત્રોએ અને રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે યોગ્ય પગલાં લેવા જોઈએ અને પ્રજાને સાચી પરિસ્થિતિની જાણકારી આપવી જોઈએ.અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિની શક્યતા હંમેશાં રહેતી હોય છે, છતાં સુચારૃ આગોતરૃં આયોજન કરવામાં આવ્યું હોય તો  હાલ જેવી સ્થિતિનું નિર્માણ ન જ થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.