Abtak Media Google News

બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ખેલાડીઓ ત્રીજા ટેસ્ટએચ દરમિયાન લડાયકતાથી ટેસ્ટએચ બચાવવામાં સફળ રહ્યા હતા પરંતુ મોટાભાગના ખેલાડીઓ ત્રીજા મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થવાના કારણે ચોથા મેચમાં ભારત માટે બારમો પ્લેયર શોધવો પણ પડકારજનક બની રહેશે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાએ ૧૫ જાન્યુઆરીથી બ્રિસ્બેનમાં થનારી ચોથી અને અંતિમ ટેસ્ટ રમવાની છે. એના પ્રથમ પ્લેઈંગ ઇલેવનને લઈને મુશ્કેલી સર્જાઈ છે. જસપ્રીત બુમરાહ ૮મો એવો ખેલાડી છે, જે આ પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થવાથી બહાર થયો છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ બુમરાહને પેટના નીચેના હિસ્સાની માંસપેશી(એબ્ડોમિનલ સ્ટ્રેન)માં ખેંચાણ છે. જ્યારે મયંક અગ્રવાલ પણ ઈજાગ્રસ્ત થઈ ગયો છે. તે પણ બ્રિસબેન ટેસ્ટમાં રમશે કે નહીં તેના પર સસ્પેન્સ છે.

ઓસ્ટ્રેલિયા ટૂર પર અત્યાર સુધીમાં ૯ ખેલાડી ઈન્જર્ડ થઈ ગયા છે. હનુમા વિહારીને હેમસ્ટ્રિંગમાં ખેંચાણ અને રવીન્દ્ર જાડેજાના અંગૂઠામાં ફ્રેકચર છે. વિહારી અને જાડેજા પહેલા જ બ્રિસ્બેન ટેસ્ટમાંથી બહાર થઈ ચૂક્યા છે. બુમરાહની જગ્યાએ ટી. નટરાજન અને જાડેજાની જગ્યાએ શાર્દૂલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. બીજી તરફ, ઋષભ પંતની ડાબી કોણીમાં ઈજા પહોંચી છે. આ કારણે તેને એક સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે સામેલ કરી શકાય છે. ઋદ્ધિમાન સાહા સ્પેશિયાલિસ્ટ વિકેટકીપર તરીકે ટીમમાં આવી શકે છે.

મયંક અગ્રવાલને પ્રેક્ટિસ સેશન દરમિયાન હાથમાં ઈજા થઈ હતી. જે બાદ તેને સ્કેન માટે લઈ જવાયો હતો. તેનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.  ઈજા ગંભીર ન હોવાને કારણે તેને અથવા સાહા બેમાંથી એકને વિહારીના રિપ્લેસમેન્ટ તરીકે લેવામાં આવી શકે છે. ટીમના મુખ્ય ફાસ્ટ બોલર્સ ઇશાંત શર્મા અને ભુવનેશ્વર કુમાર ઇજાને લીધે ટૂર પર આવી શક્યા નહોતા. ઇશાંતને ઇન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન પીઠમાં ઇજા થઇ હતી. જેના કારણે તે આઈપીએલ પણ પૂરી રમી શક્યો નહોતો અને વહેલો વતન પરત થયો હતો. અગાઉ શકયતા હતી કે, ઇશાંત કદાચ અંતિમ બે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયા જઈ શકે છે, પરંતુ તે સમયસર ફિટ ન હોવાને કારણે ટુરમાં જી શક્યો ન હતો. બીજી તરફ ભુવનેશ્વરકુમાર પણ હેમસ્ટ્રિંગની ઇજાને કારણે આખી આઈપીએલ રમી શક્યો ન હતો. તે પણ ઇશાંત માફક સમયસર ફિટ નહિ હોવાને પરિણામરૂપે ઓસ્ટ્રેલિયન ટૂર મિસ કરી હતી. ભુવિ અત્યારે ફિટ છે અને સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે.

લોકેશ રાહુલ પ્રથમ બે ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો ભાગ બની શક્યો નહોતો. ઓપનર્સ પૃથ્વી શો અને મયંક અગ્રવાલ તેમજ મિડલ ઓર્ડરમાં હનુમા વિહારી ફ્લોપ જતાં રાહુલ ત્રીજી મેચમાં રમવા તૈયાર હતો. જોકે તેને નેટ્સમાં કાંડામાં ઈજા થઇ હતી અને ટૂરની બહાર થઇ ગયો હતો. જ્યારે હનુમા વિહારીને બેટિંગ દરમિયાન ઝડપથી એક રન લેવા જતા હેમસ્ટ્રિંગ ખેંચાઈ ગઈ હતી. ત્યાર બાદ તેણે ભાગ્યે જ રન લીધા હતા અને એક તરફથી છેડો સાચવી મેચ ડ્રો કરાવી હતી.વિહારી હેમસ્ટ્રિંગના લીધે સિરીઝની બહાર થઇ ગયો છે અને અંતિમ મેચમાં રમી શકશે નહીં.

રવીન્દ્ર જાડેજાને ત્રીજા ટેસ્ટ મેચમાં બેટિંગ દરમિયાન મિચેલ સ્ટાર્કનો બોલ ડાબા હાથના અંગૂઠામાં વાગ્યો હતો. ત્યારે જાડેજા પેઇનકિલર્સ અને ઇન્જેક્શન લગાવીને બેટિંગ માટે પરંતુ હતો જાડેજાને બેટિંગ માટે મોકલવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ ન હતી. જાડેજા હવે ભારત પરત ફરશે. તે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટમાંથી પણ બહાર થઇ ગયો છે.

ભારતનો જ નહીં, વર્લ્ડનો બેસ્ટ સિમ બોલર મોહમ્મદ શમી ઇજાને લીધે ટૂરની બહાર થઈ ગયો હતો.

ઋષભ પંતને ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં પેટ કમિન્સનો બોલ પુલ કરવા જતાં કોણીમાં ઈજા થઇ હતી. એ પછી તે ફિલ્ડિંગમાં આવ્યો ન હતો. જો કે તેણે બીજી ઇનિંગ્સમાં ધમાકેદાર ૯૭ રન કરીને કાંગારૂનો જીવ ઊંચો કરી દીધો હતો તે ચોથી ટેસ્ટ પહેલાં ફિટ થઇ જશે કે નહીં એ અંગે સત્તાવાર જાહેરાત થઇ નથી. ત્રીજી ટેસ્ટમાં રમેલા રવીન્દ્ર જાડેજા અને હનુમા વિહારી સત્તાવાર રીતે સિરીઝની બહાર થઈ ગયા છે. જ્યારે ઋષભ પંત પણ લગભગ ચોથી ટેસ્ટ નહીં જ રમે એવું નક્કી છે. તેવામાં ભારતે બે મિડલ ઓર્ડર બેટ્સમેન અને એક બોલિંગ ઓલરાઉન્ડરની જગ્યા ભરવાની છે. જે ખેલાડીઓ ત્રીજી મેચ રમ્યા ન હતા અને સિલેક્શન માટે ઉપલબ્ધ છે, એમાં મયંક અગ્રવાલ, પૃથ્વી શો, રિદ્ધિમાન સાહા, કુલદીપ યાદવ અને ટી. નટરાજન છે. સાહા પંતની જગ્યા કીપર તરીકે રમી શકે છે, જ્યારે મયંકનો ટીમમાં સમાવેશ થશે. તે રોહિત સાથે ઓપનિંગ કરશે અને શુભમન ગિલ મિડલ ઓર્ડરમાં વિહારીની જગ્યાએ રમે તેવી સંભાવના પ્રબળ છે. જાડેજાની જગ્યાએ સ્ક્વોડમાં કોઈ ઓલરાઉન્ડર નથી, તેમાં જોવાનું રહેશે કે ભારત કુલદીપ યાદવને તક આપે છે કે પછી શો કે નટરાજનમાંથી એકને સ્થાન મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.