Abtak Media Google News

‘અબતક’ દ્વારા વિશ્વમાં સૌપ્રથમ વખત સ્ટુડિયોમાંથી ઓનલાઈન શ્રીમદ્ ભાગવત સપ્તાહ

કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા લાખો લોકોના મોક્ષાર્થે આયોજિત ભાગવત સપ્તાહમાં દ્વિતીય દિવસે વ્યાસ ચરિત્ર, પરિક્ષીત ચરિત્ર અને શુકદેવજીના આગમન સહિતના પ્રસંગો વર્ણવાયા

કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લાખો લોકોના મોક્ષાર્થે ‘અબતક’ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. વિશ્વમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે, જેમાં સ્ટુડિયોમાંથી કથાનું લાઈવ પ્રસારણ થાય છે અને દેશ-વિદેશમાં ફેલાયેલા લાખો ભક્તો રસપાન કરે છે. આજે વ્યાસપીઠ પરથી શાસ્ત્રી રાકેશ અદા (ભટ્ટજી)એ કથાનો ક્રમ નહીં પણ કથાનો ધર્મ યાદ રાખવો જરૂરી હોવાનું કહ્યું હતું. કથા દરમિયાન વકતા રાકેશ અદાએ કહ્યું હતું કે, દુનિયામાં ભલ થ્રીજી હોય કે ફોરજી પણ ચાલે તો શ્રીજીનું જ છે. ‘ક’ થી કલ્યાણી અને ‘થા’ થી થાય જેનાથી કલ્યાણ થાય તેને કથા કહેવાય છે. સામાન્ય માણસની વાતને વાર્તા કહેવાય છે પરંતુ કથા તો ઈશ્વરની જ હોય છે.

ભાગવત કથાના આજે દ્વિતીય દિવસે વ્યાસપીઠ પરથી રાકેશ અદાએ હરે રામ… હરે ક્રિષ્ન… શબ્દનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વ્યક્તિમાં જેવો ભાવ હોય તેવું ફળ પ્રાપ્ત થાય છે. કથા એ એવું શાસ્ત્ર છે જેનાથી મુક્તિ હથેળીમાં આવી જાય છે. ભાવ આવે એટલે મુક્તિ પણ આપો આપ આવી જતી હોય છે. શબરીએ રામને ક્યારેય એવું નહોતુ કહ્યું કે, મને મુક્તિ આપો. શબરીના મનમાં રહેલા ભાવથી તેને મુક્તિ મળી હતી. સંતોને પણ સહજ મુક્તિનું દાન મળ્યું છે.

વ્યાસપીઠ પરથી કથાના પ્રારંભ પૂર્વે રાકેશ અદા (ભટ્ટ)એ ગઈકાલે પ્રથમ દિવસે કહ્યું હતું કે, ભગવાન એટલો નિર્દય નથી. એક વ્યક્તિના ભાવથી પણ ઈશ્વરઆવે છે ત્યારે લોકો લોકોના ભાવથી ભગવાન જરૂર આવશે. વધુમાં કહ્યું હતું કે, આપણા મનના મંદિરની અંદર બિરાજમાન ઈશ્વર આપણને મુશ્કેલીમાંથી કાઢશે. આવી મહામારીની વાત સાંભળી નથી.  ફેબ્રુઆરીમાં તો લોકો પોત-પોતાના જીવનમાં રચ્યા-પચ્યા હતા. ઈશ્વર દુ:ખ તો સુખનો અનુભવ કરાવવા આપે છે. પણ આ દુ:ખ લોકોએ ઉભુ કરેલું. સમયના આધારે ચક્ર ચાલે છે ત્યારે નરસિંહ મહેતાના શબ્દો અનુસાર આપણી અંદર ભાવ હોવો જોઈએ. વર્ષો પહેલા નરસિંહ મહેતા ભાવ અંગે લખી ગયા હતા. “વૈષ્ણવજન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે રે… તે સમયે જ નરસિંહ મહેતાએ શિખવાડી દીધું હતું કે, વૈષ્ણવજન તો પીડ પરાઈ જાણનારને કહેવાય.

‘અબતક’ ભાગવત સપ્તાહનો લોકડાઉનના નિયમોની સાથે ડિસ્ટન્સ રાખી ભાવ ખુબજ સારો રહેશે. માણસે બનાવેલા ઘરને કીડી ક્યારેય તોડી શકે ? એ આપણને આપણા બનાવેલા બંગલા ઉપર આટલો વિશ્વાસ છે ત્યારે ભગવાને બનાવેલ દુનિયાનું વાયરસ કંઈ ન કરી શકે. આપણે માત્ર ડીડીટી શોધવાની જરૂર છે. રામ શબરીના આશ્રમે એટલા માટે ગયા હતા કેમ કે શબરીમાં વિશ્વસ-શ્રદ્ધા હતા. ભગવાનને આવવું જ પડે તેવી શ્રદ્ધા હતી.

તેમણે ઉદાહરણ આપતા વધુમાં કહ્યું કે, એક શિષ્યએ પોતાના ગુરુને કહ્યું કે, અત્યારે ને અત્યારે જ ભગવાનને મળવું છે. શિષ્ય એ ભગવાનને મળવાની જીદ પકડી એટલે ગુરૂએ કહ્યું કે, ચાલ મારી સાથે ગુરુ શિષ્યને ઝરણામાં લઈ ગયા જ્યાં તેમણે ઉમેયું હતું કે, આપણું નક્કી કરેલું ક્યાં થાય છે. વાયરસ આવીને ચાલ્યો જશે તેવું આપણું માનવું હતું. વાયરસ ક્યાંથી આવ્યો તે બોલવા કરતા વિશ્વ કલ્યાણની વાત કરવી જોઈએ. આપણે ભાગ્યશાળી છીએ કે આપણી પાસે નરેન્દ્રભાઈ મોદી છે. આ વ્યક્તિ ન હોત તો ભારતની હાલત કંઈક અલગ હોત. મહામારી રાગ અને જ્યોત દ્વારા જાય છે તેવું કદાચ તેમને ખબર હશે. માણસ જો પોતાની ધીરજ ગુમાવે નહીં તો ઈશ્વર ક્યારેય તેને નિરાસ કરતો નથી. ભગવાનને આવવા સમય થાય ત્યારે તે આવી જ જાય છે પરંતુ તેને રાહ જોવી જોઈએ.

ગુરુએ શિષ્યનું માથું એકાએક પાણીમાં ડુબાડી દીધું અને છેલ્લા શ્વાસ સુધી દબાવી રાખ્યું અને ત્યારબાદ જવા દીધો. શિષ્ય એકદમ ગુસ્સે થઈ ગયો. જેથી ગુરુએ કહ્યું કે મને એક પ્રશ્નનો જવાબ આપ કે પાણીની અંદર જ્યારે તું હતો અને શ્વાસ પુરા થવાના હતા ત્યારે તારી ઈચ્છા શું હતું ? શિષ્યએ કહ્યું મારી એક જ ઈચ્છા હતી કે, હું જલ્દી આમાંથી બહાર નિકળું. ત્યારે ગુરુએ કહ્યું કે, આવી જ ઈચ્છા જ્યારે ભગવાનને મળવાની થશે ત્યારે ભગવાન તને મળશે. માત્ર ઈશ્વરને જ મળવું છે ત્યારે ઈશ્વરને બોલાવવા નહીં પડે તે આપોઆપ આવી જશે.

તેમણે વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે, ૧૮ હજાર શ્લોકનું આ મહાપુરાણ છે. વ્યાસજીએ ૧૮ હજાર શ્લોકની અંદર એક એક શબ્દને ધ્યાનથી લખ્યો છે. અત્યારે જેટલા વિદ્વાન છે તેમાંથી કોઈપણ ભાગવતને યોગ્ય રીતે ગાઈ કે સમજી શક્યું નથી.

વધુમાં કહ્યું હતું કે, અત્યારે મહામારીથી લોકોને બચાવવાની જરૂર છે. બીજી તરફ સરહદ ઉપર હુમલા થાય છે. વિશ્વમાં રામની પણ સેના છે અને રાવણની પણ છે. બસ હવે સેતુ બંધાઈ ગયો છે. માત્ર ચાલવાની વાત છે. રાવણની સેના, સંપતિ મોટી હતી છતાં રામના નાના વાંદરાઓએ તેને હરાવી દીધો હતો. હજી સુધરવાનો સમય છે, જો નહીં સુધરીએ તે તેની લાકડીમાં અવાજ નહીં આવે. મહેરબાની કરીને કોઈને હેરાન ના કરો, હું તો વંદન કરું છું, પત્રકારો, પોલીસ, સૈનિકોમાં અલગ અલગ રૂપે ભગવાન જ ફરે છે. આપણે તેમને મદદ કરવી જોઈએ. ખીસકોલીએ પણ રામસેતુમાં મદદ કરી હતી. મદદ ના કરો તો સેતુને તોડવાનું કામ ના કરશો. આ કથામાં સિંગર-નિરવ રાયચુરા, કીબોર્ડ-દિપક વાઢેર, તબલા-હાર્દિક કાનાણી, ઢોલક-યશ પંડ્યા, ઓક્ટોપેડ-કેયુર બુદ્ધદેવ અને સાઉન્ડ-ઉમંગી સાઉન્ડના કારણે અવિસ્મરણીય બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.