Abtak Media Google News

બ્લોકેજ હોય ત્યારે

હાર્ટ-અટેક અને હાર્ટમાં બ્લોકેજ આ બન્ને શબ્દો જાણે કે અત્યંત સામાન્ય થઈ ગયા છે. દરેક પરિવારમાં એક તો હાર્ટ-પેશન્ટ જોવા મળતો જ હોય છે. આ બાબતે વાત કરતાં વોકહાર્ટ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડોકટર કહે છે, જો અમુક ચિહ્નોને ઓળખી શકાય તો બ્લોકેજને અટેક આવતાં પહેલાં જ ઓળખી શકાય છે, પરંતુ જે લોકો ચિહ્નો ઓળખતાં નથી તેમને અટેક આવે છે. હાર્ટ-અટેકનું કારણ હાર્ટની નળીમાં આવતું બ્લોકેજ છે જેને લીધે હાર્ટને લોહી પૂરુંં પહોંચતું નથી અને હાર્ટ-અટેક આવે છે. અટેક આવે તો ભવિષ્યમાં ફરીથી અટેક ન આવે એ માટે બ્લોકેજને હટાવવું જરૂરી છે. જો અટેક આવતાં પહેલાંથી જ ખબર પડી જાય કે બ્લોકેજ છે તો એ બ્લોકેજને હટાવી અટેકને આવતો રોકી શકાય છે. આ બ્લોકેજને હટાવવા માટે આપણી પાસે અત્યારે બે પ્રકારની પ્રક્રિયા છે. એક સ્ટેન્ટ વાપરીને કરાતી ઍન્જિયોપ્લાસ્ટી અને બીજી બાયપાસ સર્જરી.

Angioplasty1બન્નેમાં તફાવત

મોટા ભાગે  કેસમાં જેમ થયું એમ ડોક્ટર બ્લોકેજ હોય ત્યારે તમને ચોઇસ આપે છે કે તમારે ઍન્જિયોપ્લાસ્ટી કરવી છે કે બાયપાસ સર્જરી. આ બન્ને વિશે સાધારણ રીતે સમજીએ તો ઍન્જિયોપ્લાસ્ટીમાં જે નળીમાં બ્લોકેજ છે એ નળીમાં બલૂન વાપરીને જગ્યા કરવામાં આવે છે અને એ બ્લોક થઈ ગયેલી નળી પર સ્ટેન્ટ બેસાડવામાં આવે છે જેનાથી બ્લોકેજ ખૂલી જાય છે અને લોહી સરળતાથી પસાર થઈ જાય છે. બાયપાસ સર્જરીમાં જે નળી પર બ્લોકેજ હોય છે એ નળી પર કંઈ ખાસ કરવામાં નથી આવતું, પરંતુ એની બાજુમાંથી એક બીજી નળી પસાર કરવામાં આવે છે જે જરૂરી લોહી હૃદય સુધી હોંચાડે છે. આમ ભવિષ્યમાં જે નળી બ્લોક છે એ વધુ બ્લોક થાય તો પણ હાર્ટને અસર નથી પહોંચતી.

ભવિષ્યમાં અટેક આવવાની શક્યતા

ઘણા લોકોને લાગે છે કે ઍન્જિયોપ્લાસ્ટી થઈ છે કે બાયપાસ સર્જરી કરી છે તો હવે ભવિષ્યમાં અટેક ન આવી શકે. એ હકીકત નથી. એ વિશે સમજાવતાં ડોકટર કહે છે, ઍન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરી ભવિષ્યમાં આવનારા અટેકનું રિસ્ક ઘટાડે છે, પરંતુ રિસ્કને ખતમ નથી કરતી. રિસર્ચ સાબિત કરી ચૂક્યાં છે કે જો તમે મેડિસિન પર હો તો બીજો અટેક આવવાની શક્યતા ૧૨-૧૫ ટકા જેટલી રહે છે. જો ઍન્જિયોપ્લાસ્ટી કરાવી હોય તો આ શક્યતા ૬-૭ ટકા જેટલી રહે છે અને બાયપાસ સર્જરી કરાવી હોય તો આ શક્યતા ૧-૨ ટકા જેટલી રહે છે. આમ શક્યતા કે રિસ્ક ઘટાડી શકાય છે, પરંતુ એ સાવ દૂર કરી શકાતાં નથી.

ક્યારે બાયપાસ અને ક્યારે ઍન્જિયોપ્લાસ્ટી?

જ્યારે એ ઑપ્શન આવે કે ઍન્જિયોપ્લાસ્ટી કરવી છે કે બાયપાસ સર્જરી ત્યારે ડોક્ટરો કઈ રીતે નિર્ણય લેતા હોય છે અને જો એ દરદી પર નિર્ણય છોડવામાં આવે તો દરદીએ શું કરવું એનું માર્ગદર્શન આપતાં સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના કાર્ડિઍક ડોકટર કહે છે, મોટા ભાગે જો એક જ નળીમાં બ્લોકેજ હોય તો ડોક્ટર સૂચવતા હોય છે કે સ્ટેન્ટ લગાવી શકાય. અને એ હકીકત છે કે એક જ નળીમાં એક કે બે બ્લોકેજ હોય તો સર્જરી સુધી જવાની કોઈ ખાસ જરૂરત નથી હોતી. આ પરિસ્થિતિમાં ઍન્જિયોપ્લાસ્ટી જ બરાબર છે. જો બ્લોકેજ એકથી વધુ નળીમાં ફેલાયેલું હોય તો સ્ટેન્ટ લગાવવાની સલાહ ડોક્ટરો નથી આપતા. આવા સમયે બાયપાસ કરાવવી વધુ યોગ્ય છે. આ સિવાય જો હૃદયની મુખ્ય ધમનીમાં જ બ્લોક હોય તો પણ ડોક્ટર મોટા ભાગે બાયપાસ કરવાનું જ સૂચવે છે, કારણ કે એ મેજર પ્રોબ્લેમ ગણવામાં આવે છે. બીજી એક તકલીફ એ છે કે જેના શરીરમાં બ્લોકેજ છે એનો અર્થ એ કે તેના શરીરની ટેન્ડન્સી એવી છે કે વધુ બ્લોકેજ બની શકે છે. મોટા ભાગે અમારો અનુભવ એ કહે છે કે જે વ્યક્તિ સ્ટેન્ટ નખાવે છે એને એક-દોઢ વરસની અંદર ફરીથી બીજા બ્લોકેજને કારણે સ્ટેન્ટ નખાવવી પડે છે.

આમ જોવા જઈએ તો એ આ જ કારણે મોંઘી પણ પડે છે. જ્યારે એક વખત બાયપાસ સર્જરી કરી તો એ વ્યક્તિ બીજાં ૧૦-૧૫ વર્ષ માટે ફ્રી થઈ જાય છે. વળી બાયપાસ સર્જરીનો સક્સેસ રેટ લગભગ ૯૯ ટકા કહી શકાય. આમ રિસ્ક ફેક્ટર ઘણું જ ઓછું ગણી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.