Abtak Media Google News

તાલાલા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઇ બારડને ખનીજ ચોરી કૌંભાડમાં થયેલી સજાના પગલે તેમને બરતરફ કરીને તે બેઠકની પેટા ચૂંટણી જાહેર કરી દેવામાં આવી હતી. ચૂંટણી પંચના જાહેરનામાને પડકારતી રીટ અરજી પરની ગઇ કાલની સુનાવણી બાદ હાઇકોર્ટે રાજય ચૂંટણી પંચની રિતસરની ઝાટકણી કાઢી હતી. તેની સાથે કેટલાંક મુદ્દે ગોળગોળ જવાબ આપવાના બદલે સ્પષ્ટ જવાબ સાથેનું સોંગદનામું 26મી માર્ચના રોજ કરવાનો ચૂંટણી પંચને હુક્મ કર્યો હતો.

મંગળવારે ચૂંટણી પંચ તરફથી આ મામલે જવાબ રજુ કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે આ મામલે દલીલ કરી હતી કે વિધાનસભાના સ્પીકર કોઈ નિર્ણય કરે છે ત્યારે તેના નિર્ણયનો રિવ્યૂ કરવાનું કામ ચૂંટણી પંચનું નથી. આ મામલે ચૂંટણી પંચે એવી પણ દલીલ કરી હતી કે લોકસભાની ચૂંટણી સાથે જ પેટા ચૂંટણી થઈ જાય તે માટે બંને ચૂંટણીનું જાહેરનાનું સાથે જ બહાર પાડવામાં આવ્યું હતું. જોકે, ગુજરાત હાઇકોર્ટ ચૂંટણી પંચના આ જવાબથી સંતુષ્ટ થઈ ન હતી.

ભગવાન બારડને વેરાવળ કોર્ટે ગેરકાયદેસર લાઇમસ્ટોનના ખનન મામલે 2 વર્ષ અને 9 મહિનાની સજા ફટકારી હતી. સજાનો ચુકાદાના 5 દિવસ બાદ સ્પીકરે બારડને ધારાસભ્ય પદ પરથી બરતરફ કરી દીધા હતા. અને તાલાલામાં ખાલી પડેલી બેઠક પર પેટાચુંટણીની જાહેરાત કરી હતી. આ બન્ને નિર્ણયોને રદ કરવા બારડે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

ગઇ કાલની સુનાવણી દરમિયાન અરજદાર તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે, અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાને સજા થઇ હોવા છતાં આજદીન સુધી તેમના વિરુદ્ધ પગલાં લેવાયા નથી. અમને રાજકીય અદાવત રાખીને પગલાં લેવાયા છે. સરકાર ઇચ્છે તો જાહેર રજાના દિવસે પણ તંત્રનો ઉપયોગ કરે છે. સજાના હુક્મ સામે સેશન્સ કોર્ટે મનાઇહુક્મ આપ્યો હતો. છતાં પેટાચૂંટણી જાહેર કરી દેવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.