Abtak Media Google News

૧૦૦ જેટલા આરોગ્ય કર્મીઓ દ્વારા અવિરત અપાતી ૧૦૪ સેવા: મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ 

શહેરમાં કોરોના સામેની કામગીરી અંગે રાજકોટ મહાનગરપાલિકા દિવસ-રાત જોયા વિના અથાગ મહેનત કરી રહ્યું છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરીજનોને કોઇ હાલાકીનો સામનો ન કરવો પડે એવા આશયથી મહાનગરપાલિકા દ્વારા પુરજોશમાં કામગીરી કરી રહ્યું છે. મનપા દ્વારા દરરોજ શહેરમાં ધનવંતરી રથ દ્વારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળા અને આયુર્વેદિક દવા વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. હાલમાં જ ધનવંતરી રથમાં નસ્ય સેવા પણ ચાલુ કરવામાં આવી છે. નસ્ય સેવાથી નાક મારફત પ્રવેશતા રોગોને અટકાવે છે, હાલમાં કોરોના વાઇરસ સૌ પ્રથમ નાક મારફત જ શરીરમાં પ્રવેશે છે જેની સામે રક્ષણ મળે છે. આ ઉપરાંત કોરોના સામેના જંગમાં મહાનગરપાલિકા દ્વારા હોમ આઇસોલેશન સારવાર, સંજીવની રથ સેવા, ૧૦૪ સેવા રથ, કોવિડ-૧૯ ટેસ્ટીંગ વ્હીકલ સેવા, ૨૧ આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામુલ્યે સારવાર સેવા, ડોર ટુ ડોર સર્વેલન્સ કામગીરી વિગેરે પ્રકારની અવિતર સેવા આપવામાં આવી રહી છે.

મ્યુનિ. કમિશનરે  હેલ્થ હેલ્પલાઈન નં. ૧૦૪ અંગેની સેવાકીય કામગીરી વિશે વધુ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા ૨૪*૭ ૧૦૪ સેવા આપવામાં આવે છે. જેમાં મહાનગરપાલિકાનો મુખ્ય ઉદ્દેશ કોલરને બની શકે એટલી ઝડપી સેવા ઉપલબ્ધ કરાવવાનો હોય છે, હાલ સરેરાશ માત્ર ૫૨ મિનિટના ટૂંકા સમયમાં કોલરને સેવા ઉપલબ્ધ કરાઈ છે. હેલ્થ હેલ્પલાઈનનં. ૧૦૪ મારફત દરરોજ ૨૦૦ જેટલા ફોન આવે છે અને તમામ કોલરને સેવા ઉપલબ્ધ કરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા ૨૪ કલાક સેવા કાર્યરત કરવામાં આવે છે. ત્રણ શિફટમાં કર્મચારીઓ કામગીરી કરે છે, અને ૫૦ થી વધુ કર્મચારીઓ ૧૦૪ સેવા રથ સાથે ફિલ્ડમાં કામગીરી કરે છે અને ૫૦ થી વધુ કર્મચારીઓ શિફ્ટમાં કંટ્રોલરૂમ મારફત કામગીરી કરે છે. આરોગ્યના ૧૦૦ થી વધુ કર્મચારીઓ દ્વારા ૧૦૪ સેવા નગરજનો માટે વિનામુલ્યે ચાલુ કરવામાં આવી છે. શહેરમાં હાલ ૧૮ ૧૦૪ સેવા રથ સંપૂર્ણપણે કાર્યરત છે.

જો કોઇ વ્યક્તિને કોરોના અંગેના કોઈપણ લક્ષણો જણાયે હેલ્થ હેલ્પલાઈન નં. ૧૦૪ ઉપર ફોન કરે છે, ફોન સૌ પ્રથમ ગાંધીનગર સ્થિત કંટ્રોલરૂમ પર જાય છે અને ત્યાં તેમને શરીરના જણાતા લક્ષણો, નામ, સરનામું અને ટેલીફોનીક નંબર નોધવામાં આવે છે, નોંધાયેલ માહિતી ગાંધીનગરથી રાજકોટ મહાનગરપાલિકા તુર્ત જ મેઈલ મારફત મોકલવામાં આવે છે. મહાનગરપાલિકા ખાતે ૧૦૪ સેવા માટે ટીમ બનાવવામાં આવી છે જેના દ્વારા તુરંત જ કોલરને ફોન કરી સંભાળ લેવામાં આવે છે અને મહાનગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવેલ ૧૦૪ સેવા રથ દ્વારા હેલ્થ ચેકઅપ કરાવવામાં આવે છે, જો ચેકઅપ દરમ્યાન વધુ સારવારની જરૂર જણાયે તુર્ત જ આવશ્યક સેવા ઉપલબ્ધ કરી આપવામાં આવે છે, કોલરે ફોન કર્યેથી સેવા રથ પહોંચે ત્યાં સુધી મહાનગરપાલિકાના કર્મીઓ દ્વારા ફોન કરી વારેવારે તબિયત પૂછવામાં આવે છે.

આ સમગ્ર કામગીરી માટે મહાનગરપાલિકાનો ઉદ્દેશ્ય એ છે કે ફોન કરનાર વ્યક્તિને વધુમાં વધુ ઝડપી સેવા ઉપલબ્ધ થાય અને તેને વહેલી સારવાર મળે જેનાથી કોરોના સંક્રમણને અટકાવી શકાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિનામુલ્યે સેવા ઉપલબ્ધ કરવામાં આવે છે. જેનો લાભ સૌ શહેરીજનો ઉઠાવે અને કોરોનાથી ગભરાવાની જરૂર નથી, સતર્કતા દેખાડી વહેલી સારવાર લેવાની જરૂર છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોરોનાને લગત સંપૂર્ણ સેવાઓ સારી અને વિનામુલ્યે ઉપલબ્ધ કરાવી છે, રાજકોટ શહેરમાં હાલ લોકોએ મુશ્કેલી ન પાસે તે માટે મ્યુનિ. કમિશનરએ ધરે બેઠા માત્ર ફોન કરવાથી આવશ્યક સેવા ઉપલબ્ધ થાય છે.

૧૦૪ સેવા કામગીરી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સહાયક કમિશનર સમીર ધડુકની દેખરેખ હેઠળ મહાનગરપાલિકાના કર્મચારીઓના સહયોગથી કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.