Abtak Media Google News

ભાજપના ઉમેદવાર અને વિદેશ મંત્રી એસ.જયશંકર તથા જુગલ ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રીકાબેન ચુડાસમા તથા ગૌરવ પંડયા વચ્ચે ટક્કર બે બેઠકો માટે અલગ અલગ મતદાન હાથ ધરવાનું હોય ભાજપની જીત ફાઈનલ: એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપને મત આપશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહ તથા કેન્દ્રીય કેબીનેટ મંત્રી સ્મૃતિ ઈરાની લોકસભાની ચૂંટણીમાં વિજેતા બનતા તેઓએ રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામુ આપતા ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે. આ બન્ને બેઠકો માટે આજે સવારે ૯ વાગ્યાી ગુજરાત વિધાનસભા ગૃહમાં ધારાસભ્યો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. બપોરે ૪ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. બન્ને બેઠકો માટે અલગ અલગ મતદાન પ્રક્રિયા હા ધરવાની હોય ભાજપની જીત નિશ્રિત માનવામાં આવી રહી છે. જીત માટે એક ઉમેદવારને ૮૮.૫ મત જોઈએ છે જેની સામે ભાજપ પાસે હાલ ૧૦૧ સભ્યોનું સંખ્યાબળ છે. સામાપક્ષે કોંગ્રેસ પાસે માત્ર ૭૧નું જ સંખ્યાબળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોદી સરકારની બીજી ટર્મમાં વિદેશમંત્રી બનેલા એસ. જયશંકરને ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાજપે બીજા ઉમેદવાર તરીકે જુગલજી ઠાકોરને ટિકિટ આપી છે તો સામાપક્ષે કોંગ્રેસે પણ હાર નિશ્ચિત હોવા છતાં ભાજપને બરોબરની ફાઈટ આપવા માટે બે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જેમાં ચંદ્રીકાબેન ચુડાસમા અને ગૌરવભાઈ પંડયાનો સમાવેશ થાય છે. કોંગ્રેસે પોતાના તમામ ૭૧ ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન કરવા વ્હીપ મોકલ્યું હતું અને ક્રોસ વોટીંગ ન થાય તે માટે પોતાના ધારાસભ્યોને આબુ પ્રવાસે લઈ ગયા હતા. જો કે, આ પ્રવાસમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ગયા ન  હોય, રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ક્રોસ વોટીંગનો ડર સતાવી રહ્યો છે. હાલ ગુજરાત વિધાનસભામાં ૧૮૧ પૈકી ૧૭૫ સાંસદો છે જેઓ આજે મતદાન કરશે. રાજ્યસભામાં જીતવા માટે એક ઉમેદવારને ૮૮.૫ મતની જરૂર છે જેની સામે ભાજપ પાસે હાલ ૧૦૧ મત છે. આ ઉપરાંત કુતિયાણાના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા પણ ગઈકાલે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં હાજર રહ્યાં હતા અને તેઓએ ભાજપના ઉમેદવારને મત આપવાની ખાતરી આપી છે. રાજ્યસભાની બન્ને બેઠકો માટે અલગ અલગ મતદાન યોજાવાનું હોય ભાજપના ઉમેદવાર એસ. જયશંકર અને જુગલ ઠાકોરની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. આજે બપોરે ૪ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે. ત્યારબાદ મત ગણતરી હાથ ધરવામાં આવશે. સાંજે ૬ વાગ્યા સુધીમાં બન્ને બેઠકો માટેનું પરિણામ આવી જશે.

કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ભાજપના ઉમેદવારોને મત આપે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં યોજાયેલી ગુજરાતની રાજ્યસભાની ૩ બેઠકો માટેની ચૂંટણીમાં પણ કોંગ્રેસના બે ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ અને ભોળાભાઈ ગોહિલે ક્રોસ વોટીંગ કર્યું હતું. ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે ભાજપની જીત નિશ્ચિત હોવા છતાં ચૂંટણીમાં ભારે રોમાંચકતા દેખાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.