Abtak Media Google News

લગ્ન માટે ધર્મ પરિવર્તન બદલ ૧૦ વર્ષની કેદ, વધુમાં વધુ ૫૦ હજાર સુધીના દંડની જોગવાઇ

ઉત્તરપ્રદેશની યોગી સરકારે ફક્ત લગ્ન માટે કરવાં આવતા ધર્મ પરિવર્તનને હવે ગેરયકાયદેસર ઠેરવ્યું છે. જેના વિરોધમાં યુપી  સરકારે કેબિનેટમાં ખરડો પસાર કરી દીધો છે. હવેથી યુપીમાં ફક્ત લગ્ન માટે જે ધર્મ પરિવર્તન કરવામાં આવશે તેને ગેરયકાયદેસર ગણવામાં આવશે. ધર્મ પરિવર્તન માટે તે ધર્મનું જ્ઞાન તેમજ ધર્મ પ્રત્યે વિશ્વાસ હોવો પણ જરૂરી છે તે બાબત પણ નોંધવામાં આવી છે.

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે મંગળવારે એક વિવાદસ્પદ વટહુકમને મંજૂરી આપી છે. આ વટહુકમ હેઠળ માત્ર લગ્ન માટે ધર્મપરિવર્તન કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકાયો છે. આ ગુના માટે વધુમાં વધુ ૧૦ વર્ષ સુધીની સજા અને ૫૦ હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરાઈ છે. રાજ્યની કેબિનેટે ઉત્તર પ્રદેશ કાયદાવિરુદ્ધ ધર્મપરિવર્તન ૨૦૨૦ને મંજૂરી આપી છે.

મંગળવારે જ તેને રાજ્યપાલ સમક્ષ મંજૂરી માટે મોકલી દેવાયો છે. વિધેયકની જોગવાઈ મુજબ ધર્મપરિવર્તન માટે બે મહિના પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટને માહિતી આપવાનું અનિવાર્ય બનાવાયું છે. આ સાથે સંબંધિત વ્યક્તિએ ધર્મપરિવર્તન અંગેના ઉચિત કારણ પણ સાબિત કરવા પડશે. રાજ્ય સરકારના મંત્રી સિદ્ધાર્થનાથસિંહે કહ્યું કે નવા કાયદામાં જૂઠું બોલીને, પ્રલોભન કે કપટતાપૂર્વક ધર્મપરિવર્તન કરવું કે કરાવવું એ બિનજામીનપાત્ર ગુનો હશે. આ ગુના માટે ઓછામાં ઓછી ૬ મહિનાથી લઈ વધુમાં વધુ ૧૦ વર્ષ સુધીની જોગવાઈ છે, દંડની રકમ ૧૦ હજારથી લઈ ૫૦ હજાર સુધીની હશે.

ડ્રાફ્ટ પ્રમાણે લગ્ન માટે બદઈરાદાથી ધર્મ પરિવર્તન માટે કરવામાં આવતા લગ્ન પણ ધર્માંતરણ કાયદા હેઠળ આવી જશે. જો કોઈ ધર્મ પરિવર્તન માટે માનસિક અને શારીરિક રીતે અત્યાચાર કરે છે તો તે પણ આ નવા કાયદા હેઠળ આવશે. ધર્માંતરણના કીસ્સામાં જો માતા-પિતા, ભાઈ-બહેન અથવા અન્ય બ્લડ રિલેશન ધરાવતી વ્યક્તિ ફરિયાદ કરે છે તો તેમની ફરિયાદ પર કાર્યવાહી શરૂ કરી શકાશે. ધર્માંતરણ માટે દોષિત જણાતા એક વર્ષથી ૧૦ વર્ષ સુધીની સજા થઈ શકે છે. લગ્ન કરાવનાર પંડિત કે મૌલવીને તે ધર્મ અંગે સંપૂર્ણ જાણકારી હોય તે જરૂરી છે.

અલ્લાહબાદ હાઈકોર્ટના ચુકાદાના આધારે મધ્યપ્રદેશ, હરિયાણા અને કર્ણાટક સરકારે પણ માત્ર લગ્ન માટે કરાતા ધર્મપરિવર્તન પર પ્રતિબંધ મૂકવા કાયદો બનાવવાની તૈયારી કરી છે. મધ્યપ્રદેશ સરકાર તો આગામી વિધાનસભા સત્રમાં રજૂ કરવા તેનો મુસદો પણ તૈયાર કરી ચૂકી છે.

ડ્રાફ્ટ પ્રમાણે લવ જેહાદ જેવા કીસ્સામાં સહયોગ કરનારને પણ મુખ્ય આરોપી બનાવવામાં આવશે અને દોષિત જણાતા તેને પણ સજા થશે. લગ્ન માટે ધર્માંતરણ કરાવનારને પણ સજાની જોગવાઈ છે. જો કોઈ પોતાની ઈચ્છાથી લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવા ઈચ્છે છે તો તેને એક મહિના અગાઉ કલેક્ટરને અરજી આપવી પડશે. આ અરજી ફરજિયાત હશે.ઉત્તર પ્રદેશમાં લવ જેહાદ સામે કાયદો લાવવાના યોગી સરકારના પ્રયત્નને ઝાટકો લાગ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે ધર્મ બદલી લગ્ન કરવાને લગતા એક કેસમાં સુનાવણી સમયે કહ્યું હતું કે કોઈ પણને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે રહેવાનો અધિકાર છે. પછી તે કોઈ પણ ધર્મ માનનાર હોઈ શકે છે. આ તેમની વ્યક્તિગત સ્વતંત્રતાનું મૂળ તત્વ છે. ન્યાયમૂર્તિ પંકજ નકવી અને ન્યાયમૂર્તિ વિવેક અગ્રવાલની ખંડપીઠે કુશીનગરના સલામત અંસારી અને પ્રિયંકા ખરવાર ઉર્ફે આલિયાની અરજી પર આ ચૂકાદો આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.