Abtak Media Google News

તુફાનમાં ૧૧ કામદારો કેમ ભર્યા તેમ કહીને રૂ. ૧૦ હજારની માંગણી કરી, ત્યાંથી પસાર થતા સાધુએ પોલીસ બોલાવી બંને અધિકારીઓની કરતુતનો ભાંડાફોડ કર્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને દરરોજ લુંટ, મારામારી, હત્યા, લાંચ, ફાયરીંગ સહિતના બનાવોએ માઝા મુકી છે ત્યારે રાજકોટ એસટી વિભાગમાં ફરજ બજાવતાં અધિકારીઓ સરકારી ગાડી લઈને ચેકીંગ પર જઈ રહ્યાં હતાં તે દરમ્યાન સાયલા હાઈવે પર સાપર ગામનાં પાટીયા પાસે આવેલ એક હોટલ સામે એક ખાનગી વાહનચાલક પાસે પેસેન્જરો ભરવા બાબતે રોકડ રકમની લાંચ માંગવામાં આવી હતી.

જે સમગ્ર મામલો ત્યાંથી પસાર થઈ રહેલ એક સાધુને ધ્યાને આવતાં આ અંગે ઉચ્ચકક્ષાએ ફોન પર પોલીસને જાણ કરતાં સ્થાનિક પોલીસે બંન્ને શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ફરિયાદી અમરસિંહ ભુરીયા ઉ.વ.૨૮ રહે.જાંબુઆ મધ્ય પ્રદેશવાળા વરાળ ગામના બસ સ્ટેન્ડ પાસેથી ૧૧ જેટલાં કામદારોને લઈ તુફાન ગાડીમાં બેસાડી જઈ રહ્યાં હતાં. તે દરમ્યાન સાયલા નેશનલ હાઈવે પર સાપર ગામના પાટીયા પાસે આવેલ એક હોટલ સામે ગાડીને અન્ય એક ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખેલ ગાડીએ રોકી તેમાંથી બે શખ્સોએ નીચે ઉતરી પેસેન્જર વધુ ભર્યા હોવાનું જણાવી રૃા.૧૦,૦૦૦ માંગ્યા હતાં પરંતુ આપવાનો ઈન્કાર કરતાં બોલાચાલી કરી ગાડીના ચાલક પાસે રહેલ રૃા.૮૦૦ આપ્યાં હતાં. આ બોલાચાલી દરમ્યાન ત્યાંથી પસાર થઈ રહેલ જુનાગઢના સાધુ સંતપુરીજી ગુરૃશ્રી કુશપુરીજીને ધ્યાન જતાં બંન્ને શખ્સો કોઈ પોલીસ કર્મચારી ન હોવાનું ગાડીના ચાલકને જણાવ્યું હતું અને ત્યારબાદ સાધુએ ૧૦૦ નંબર ઉપર ફોન કરી આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં સ્થાનિક પોલીસે ત્યારબાદ ઘટના સ્થળે આવી સરકારી ગાડી સહિત બે શખ્સોને ઝડપી પાડયાં હતાં.

જેમની વધુ પુછપરછ કરતાં રાજકોટ એસટી વિભાગમાં સીનીયર સીક્યોરીટી ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં અજયરાજસિંહ ચુડાસમા તથા સીક્યોરીટી આસીટન્ટ તરીકે ફરજ બજાવતાં સાગરભાઈ જયંતિભાઈ કક્કડ હોવાનું બહાર આવ્યું હતું ત્યારે ધરપકડ કરી અને સાયલા પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.