Abtak Media Google News

ત્રીજા મોરચાના ગઠબંધન તરફ નોન કોંગી નોન ભાજપી પક્ષોની તૈયારી: અખિલેશ, મમતા, કેસીઆર, પટ્ટનાયક હાથ મિલાવશે

આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી મહાગઠ્ઠબંન બનાવવા માટે તજવીજ થઈ છે. પરંતુ વિપક્ષી પાર્ટીઓના આંતરિક વિવાદના કારણે આ મહાગઠ્ઠબંધન રચાય તે પહેલા તેમાં ‘ગાંઠો’ વળી રહી છે. મધ્યપ્રદેશમાં રચાયેલી કમલનાથ સરકારમાં સમાજવાદી પાર્ટીને મંત્રી પદ ન અપાતા નારાજ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરની આગેવાનીમાં રચાઈ રહેલા ત્રીજા મોરચામાં જોડાવવાની તજવીજ હાથ ધરી છે.

મધ્યપ્રદેશમાં નવા રચાયેલી કોંગ્રેસની કમલનાથ સરકારમાં સમાજવાદી પાર્ટીના એક ધારાસભ્યને મંત્રી પદ ફાળવવામાં આવ્યું ન હતુ જેથી, નારાજ થયેલા સમાજવાદી પાર્ટીના વડા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ગઈકાલે લખનૌમાં જણાવ્યું હતુ કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર સપાના એક અને બસપાના બે ધારાસભ્યોના ટેકાના કારણ બની છે. સપાનો મંત્રી પદ ન ફાળવીને કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણી માટે બની રહેલા મહાગઠ્ઠબંધન માટે સારા સંકેતો નથી આપ્યા. અમો કોંગ્રેસના આભારી છીએ યુપીમાં રચાયેલા વિપક્ષી મહાગઠ્ઠબંધનમાં હવે કોંગ્રેસ નહી હોય.

તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રેશેખર રાવ દ્વારા નોન ભાજપી, નોન કોંગ્રેસી એવા પ્રાદેશિક પક્ષોનો ત્રીજો મોરચો બનાવવા તજવીજો થઈ રહી છે. તેને અખિલેશે સમર્થન આપીને ટુંક સમયમાં તેમાં જોડાવવાનો નિર્દેશ આપ્યો હતો. કેસીઆર ત્રીજો મોરચો બનાવવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટ્ટનાયક, આ પહેલા કેસીઆરની સાથે મુલાકાત કરીને ત્રીજો મોરચો રચવા માટે ચર્ચા વિચારણા કરી ચૂકયા છે. ગઈકાલે નવી દિલ્હીમાં આવેલા કેસીઆર સાથે અખિલેશ યાદવ અને માયાવતી વચ્ચે બેઠક યોજવાની તજવીજો હાથ ધરાય હતી. પરંતુ બાદમાં અખિલેશ યાદવે આ મુલાકાતને મુલત્વી રાખીને આગામી તા.૬ ના રોજ હૈદ્રાબાદમા બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે.

જયારે, માયાવતીની કેસીઆર સાથેની બેઠક કયારે થશે તે હજુ સુધી નકકી કરી શકયું નથી હિન્દુ પટ્ટામાં મહત્વના ત્રણ રાજયોમાં હાર બાદ એનડીએના સાથી પક્ષોએ ભાજપનું નાક દબાવવાની શ‚આત કરી દીધી છે. જેથી ભાજપે તેનો બી પ્લાન અમલમાં મૂકી નવા રાજકીય સાથી પક્ષો શોધવાની શરૂઆતરી દીધી છે. જયારે વિપક્ષી મહાગઠ્ઠબંધન બનાવવા માટે તજવીજ કરી રહેલા ‘કોંગ્રેસને એક સાંધે ત્યાં તેર તુટે’ જેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ થાય તો તેનો સીધો લાભ ભાજપને થાય તેવી સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.