Abtak Media Google News

પ્રત્યાયન અથવા માહિતી સંચાર એટલે પ્રતિકાત્મક સંદેશાઓ, સુચનાઓ દ્વારા કરવામાં આવતી માહિતીની આપ-લે અને તેનું અર્થઘટન

જે વિદ્યાર્થી પોતાની મુંઝવણ કે મુશ્કેલીઓ તેમના શિક્ષકો અને વાલીઓને સમજાવી શકતા નથી, તેઓ એક પ્રકારની ગુંગણામણ અનુભવે છે અને પરિણામે તેમનામાં આત્મવિશ્ર્વાસનો અભાવ અને નકારાત્મકતા જોવા મળે છે

આજકાલ વિદ્યાર્થીને ભણતરનો ભાર અથવા ટ્રેસ લાગે છે. કામનાં સ્થળે પણ દબાણને કારણે કોમ્યુનિકેશન પર નકારાત્મક અસરો પડે છે. માણસને સ્ટ્રેસ ગમે તે રીતે આવી શકે છે. પોતે પોતાની મુશ્કેલી કોઈને સમજાવી ન શકે તો પણ માનવી હોય છાત્ર બધા જ તણાવમાં આવી જાય છે. આજે તો રોજીંદા જીવનમાં પણ તકલીફ પડી રહી છે ત્યારે વ્યકિતએ હકારાત્મક વલણ થકી ટ્રેસને ખાળવું જરૂરી છે. જો આમ નહીં કરે તો તે પોતાના કામમાં સંપૂર્ણ ધ્યાન આપી શકતો નથી. ઘણીવાર તમે જોયું હશે કે એક વ્યકિતના ટ્રેસથી બીજાના કાર્યો પર અસર પડે છે. હળવું વાતાવરણ નકારાત્મક અસરોને ઓછી કરે છે.

છાત્રોની મુશ્કેલી સમજીને તેને કાઉન્સેલીંગ (પરામર્શ) દ્વારા માર્ગદર્શન-સમજ-તારણો આપવા જરૂરી છે. પોઝીટીવ કોમ્યુનિકેશનનું વિદ્યાર્થીના જીવનમાં અતિમહત્વનું કામ કરે છે. આજના યુગમાં તો ટાઈમ મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, ઈફેકટીવ કોમ્યુનિકેશન વિગેરે હસ્તગત કરવું જ પડશે. વિદ્યાર્થીઓમાં આ સ્કીલ ડેવલપ થતા તે એક બીજા સાથે વિચારોનું આદાન-પ્રદાન સુવ્યવસ્થીત રીતે કરી શકે છે.

છાત્રોના કૌશલ્યોમાં સુધારો-ટીચર-મા-બાપ જ કરી શકે છે. આમ જોઈએ તો જીવનના પહેલા દિવસથી જ કૌશલ્યોનો વિકાસ થતો હોય છે. નોકરીના સ્થળે તથા આપણા જીવનમાં રોજે રોજ અસરકારક પ્રત્યાયનની જરૂર પડે છે. બોડી લેંગ્વેજ પણ કોમ્યુનિકેશન સ્કીલમાં આવી જાય છે. ઘણીવાર આપણે શબ્દોને બદલે તેના દ્વારા જ જવાબો આપતા હોય છે. શ્રવણ કથન પણ મહત્વનો પાર્ટ છે. સમજે-વિચારે-બોલે-લખે કે બીજાને સમજાવે આજ હકારાત્મક વલણની ખરી વાત છે. આજકાલ સોશિયલ મીડિયા પણ ઈફેકટીવ મીડિયમ તરીકે છે. ટિવટર એક અસરકારક માધ્યમ બન્યું છે. સામાન્ય માણસથી પોલિટિકલ લોકો પણ પોતાની વાત-વિચારો રજુ કરવા આનો ઉપયોગ કરે છે.

પ્રત્યાયન અથવા માહિતી સંચાર એટલે પ્રતિકાત્મક સંદેશાઓ અથવા સૂચનાઓ દ્વારા કરવામાં આવતી માહિતીની આપ-લે અને તેનું અર્થઘટન. આ માહિતી સંચાર અસરકારક ત્યારે જ કહેવાય છે કે જયારે સંદેશો ઝીલનાર વ્યકિત તે સંદેશાનો મૂળ અર્થ સમજે. પછી ભલે તે સંદેશાઓ શાબ્દિક, અશાબ્દિક અથવા ચિત્રાત્મક હોય. દા.ત. પુસ્તકાલયમાં મોઢા ઉપર આંગળી મુકીને ઉભેલી છોકરીનું ચિત્ર જોઈને વિદ્યાર્થીઓ સમજી જાય છે, કે આ ચિત્ર શાંતિ જાળવો નો સંદેશ આપે છે.

પ્રત્યાયનમાં વ્યકિત વાતચીત, હળવી વાતચીત અથવા મતપ્રદર્શન, વકતવ્ય, વિચારોની આપ-લે વિગેરે દ્વારા પોતાના વિચારો બીજા સુધી પહોંચાડવા ઈચ્છે ત્યારે અસરકારક પ્રત્યાયનનું કૌશલ્ય એનામાં હોવું અનિવાર્ય બને છે. જે વિદ્યાર્થીઓ પોતાની મુંઝવણ કે મુશ્કેલીઓ તેમના શિક્ષકો અથવા વાલીઓને સમજાવી શકતા નથી, તેઓ એક પ્રકારની ગુંગળામણ અનુભવે છે અને પરિણામે તેમનામાં આત્મવિશ્ર્વાસનો અભાવ, નકારાત્મકતા અને હિનતાની લાગણી જેવી મર્યાદાઓ જન્મે છે. આવા નકારાત્મક વલણો તેમના વ્યકિતત્વના વિકાસમાં મોટા અવરોધો ઉભા કરે છે. બીજી બાજુ જે બાળકો ખુબ સરસ રીતે, સ્પષ્ટતાથી પોતાના મંતવ્યો, વિચારો અને લાગણીઓનું પ્રદર્શન કરી શકે છે. તેમજ અન્ય વ્યકિતઓના વિચારો અને લાગણીઓ સમજી શકે છે, તેઓ સરળતાથી બધા સાથે હળીમળીને ઝડપભેર આગળ વધતા જાય છે અને ભવિષ્યમાં એક સફળ વ્યકિત તરીકે ઉભરી આવે છે. આમ, વિદ્યાર્થીઓ માટે આ કૌશલ્ય શીખવું અત્યંત જરૂરી છે.

આ કૌશલ્ય શીખવતી વખતે શિક્ષકો તેમજ વાલીઓએ વિદ્યાર્થીઓ/ બાળકોને તેમના દષ્ટિકોણથી સમજવા ઘટે છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓની વિવિધ લાક્ષણિકતા, પૂર્વભૂમિકા, વ્યકિતત્વના પાસાઓ, મર્યાદાઓ અને ભાષાકીય જ્ઞાનને ધ્યાનમાં રાખીને તે મુજબ પ્રત્યાયનનું કૌશલ્ય તેમનામાં વિકસાવવું જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને એવું પ્રોત્સાહન પુરુ પાડવું આવશ્યક છે કે જેનાથી વિદ્યાર્થીઓ સ્વતંત્ર વિચારોનું આયોજન કરે, માહિતી સંચારની જવાબદારી સમજે અને તે નિભાવવા તૈયાર થાય. માહિતીની આપ-લેની જરૂરીયાત, હેતુ અને મહત્વ સમજીને માહિતીનો સંચાર કરે તેમજ સાંભળનાર વ્યકિત અથવા વ્યકિતગણ સમયની માંગને અનુસરે. જેમ કે વિદ્યાર્થીઓ જાતે જ સમજી જાય કે જયારે શિક્ષક અતિ વ્યસ્ત હોય ત્યારે તેમની પાસેથી માર્ગદર્શન લેવા ન જવાય અથવા તો ઘરમાં, જયારે માતા-પિતા અન્ય કામમાં રોકાયેલા હોય ત્યારે ઉજાણીએ જવાનું આયોજન કરવા ન બેસાય.

જયારે શિક્ષકો ભણાવતા હોય અને વિદ્યાર્થીઓ પણ તેને સાચા અર્થમાં સમજતા હોય ત્યારે જ તે જ્ઞાન બને છે. આ રીતે, વિદ્યાર્થીઓને સાચું શિક્ષણ અસરકારક પ્રત્યાયન દ્વારા જ આપી શકાય છે. તે માટે જરૂરી છે કે શિક્ષકો વારંવાર વિવિધ રીતે વિદ્યાર્થીઓના પ્રત્યાઘાતો જાણે અને તે મુજબ ભણાવવાની રીતમાં ફેરફાર કરે. દા.ત. જયારે કોઈ અઘરા પાઠ વિદ્યાર્થીઓને ન સમજાતા હોય ત્યારે શિક્ષક વિદ્યાર્થીઓને સમજ પડી છે કે નહીં તેની ખાતરી સવાલો દ્વારા કરીને, તે મુજબ આગળ ભણાવી શકે. વળી, જીવન કૌશલ્ય શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને એ સમજાવવું પણ એટલું જ જરૂરી છે કે પ્રત્યાયનમાં શ્રવણ એટલે કે સાંભળવાનું મહત્વ સૌથી વધારે છે.તેમને ધ્યાનપૂર્વક સાંભળતા કરવાથી શિક્ષણ વધુ અસરકારક બની શકે છે. વિદ્યાર્થીઓને આ કૌશલ્ય વ્યકિતગત રીતે પણ આંતર માનવીય સંબંધોમાં જ્ઞાન વિસ્તારવામાં અને સહકાર મેળવવામાં મદદરૂપ થાય છે. જયારે વિદ્યાર્થીઓ પ્રત્યાયનનો વિવેક જાળવતા શીખે છે એટલે કે જયારે તેઓ સમજે છે કે કયાં શું કહેવું, કયારે અને કોની સાથે કઈ રીતે બોલવું ત્યારે તેઓ આપો આપ એક સમજદાર, સફળ અને પ્રતિષ્ઠિત વ્યકિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.