Abtak Media Google News

ઘ્રોલથી બે કિલ્લો મીટર દુર આવેલા રાજ્ય સરકાર દ્રારા શહિદ વન પર શ્રઘ્ઘાંજલી અપાઈ

વાત છે ૪૨૯ વર્ષ પૂર્વે જામનગરમાં ખેલાયેલ એ યુદ્ધની, જેમાં આસરા ધર્મના રખોપા કરવા માટે જામરાજાએ મુઘલ સૈન્ય સામે યુદ્ધ ખેલ્યું અને પોતાના ધર્મની રક્ષા કરી હતી. નવાનગરમાં મળતી નોંધ મુજબ આ લડાઈ વર્ષ ૧૫૯૧ના જુલાઈ માસમાં વિક્રમ સંવત ૧૬૪૮, બુધવાર, શ્રાવણ વદ સાતમના રોજ પૂર્ણ થઈ હતી  જયારે અકબરનામા મુજબ લડાઈ ૪થો અમરદાદ અથવા ૬ સવાલ ૯૯૯ હિજરી એટકે કે વર્ષ ૧૫૯૧માં ૧૪થી ૧૮ જુલાઈ વચ્ચે યુદ્ધ થયું હતું.

જયારે જૂનાગઢના દિવાન રણછોડજી દિવાન લિખિત તારીખ-એ-સોરઠ  અનુસાર આ લડાઈ આસો સુદ આઠમ સંવત ૧૬૪૮ના રોજ થઈ હોવાનો ઉલ્લેખ છે.

લડાઈની શરુઆતે જૂનાગઢ અને કુંડલાના સૈન્યો કાઠિયાવાડનું સૈન્ય છોડી જતા રહ્યા. જામ સતાજીને આ દ્રોહની જાણકારી મળતાં તેઓ હાથી પરથી ઉતરી પોતાના ઘોડાને લઈ રાજ્ય અને પરિવારને સુરક્ષિત કરવા રવાના થયા. તેમના મંત્રી જસા વજીર અને પુત્ર જસાજીએ સાંજ સુધી લડત ચાલુ રાખી; તેમણે જામના પરિવારનું પણ રક્ષણ કર્યું અને નાવમાં સમુદ્રમાર્ગે ધરપકડથી બચવા નશાડી દીધા અને બાદમાં તમામ નવાનગર પરત ફર્યા. લડાઈ લગભગ ત્રણ પ્રહર એટલે કે નવ કલાક સુધી ચાલી. યુદ્ધક્ષેત્રમાં ૨૬,૦૦૦ થી ૩૦,૦૦૦ સૈનિકો હતા. બંને પક્ષે મોટી સંખ્યામાં ખુવારી થઈ.

કુંવર અજાજી ઘોડા પર સવાર હતા જ્યારે અઝીઝ કોકા હાથી પર સવાર થયા હતા. અજાજીએ મિર્ઝા પર ભાલા વડે હુમલો કરી ઈજા પહોચાડી હતી. જેને લઈને મુઘલ સૈનિકોએ અજાજી પર હુમલો કર્યો અને તેઓ યુદ્ધક્ષેત્રમાં જ તેઓ વીરગતી પામ્યા હતા. આ ઉપરાંત લડી લડીને જસા વઝીર, મહેરામણજી ડુંગરાણી, ભાણજીદળ, ડાહ્યો લોદક, નાગ વઝીર અને તોગાજી સોઢા પણ યુદ્ધક્ષેત્ર મેદાન માં જ વીરગતીને વર્યા હતા. આ યુધ્ધમાં આશરે ૨,૦૦૦ કાઠિયાવાડી સૈનિકો શહીદ થયા હતા. મુઘલ સૈન્યમાં મુહમ્મદ રફી, સૈયદ સૈફુદ્દીન, સૈયદ કબીર, સૈયદ અલીખાનના મોત થયા હતા. બંને પક્ષે આશરે ૧૦,૦૦૦ કરતાં વધુ સૈનિકો મૃત્યુ પામ્યા અને એક હજાર જેટલા સાધુઓ પણ મૃત્યુ પામ્યા હતા. જામ રાજવી પરિવારે સતાજીના પુત્ર, ભત્રીજો અને જમાઈ સહિતના અનેક સબંધીઓની શહાદત આ યુધ્ધમાં આપી હતી.જયારે મહેરામણજીના ચૌદ પુત્રો પણ આ યુધ્ધમાં વીરગતિને પામ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.