Abtak Media Google News
જેમ ક્રીકેટમાં સર ડોન બ્રેડમેન અને ફૂટબોલમાં પેલેનું સ્‍થાન છે, તેમ હોકીમાં મેજર ધ્‍યાનચંદનો જોટો જડવો મુશ્કેલ છે. છેલ્‍લા ૭પ વર્ષ થવા છતાં ભારતમાં તો નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધ્‍યાનચંદ જેવો કોઇ અન્‍ય ખેલાડી મળેલ નથી.

29 ઓગસ્ટના દિવસે 1905માં હોકીના જાદુગર ધ્યાનચંદનો જન્મ થયો હતો, તેમના જન્મદિનને “નેશનલ સ્પોર્ટ્સ ડે” તરીકે ઉજવવામાં આવે છે તેમનો જન્મ રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગ ખાતે એક લશ્કરના સુબેદારના ઘરે થયો હતો. પિતાના પગલે માત્ર 16 વર્ષની ઉંમરે ધ્‍યનચંદે પણ 1922માં લશ્કરમાં નોકરી સ્વીકારી.પંજાબ રેજીમેન્ટમાં સિપાહી તરીકે ફરજ બજાવતો આ યુવાન હોકીની રમતમાં મહારથ ધરાવતો હતો.બ્રાહ્મણ રેજીમેન્ટના સુબેદાર મેજર ભોલે તિવારી પણ આ યુવાનની પ્રતિભાથી આકર્ષાયા અને બસ અહીંથી શરૂ થઇ હોકીના જાદુગરની ગોલ યાત્રા.
1927માં ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં ધ્યાનચંદની પણ પસંદગી કરવામાં આવી હતી. ભારતે સમગ્ર પ્રવાસમાં 10 મેચમાં કુલ 72 ગોલ કર્યા તેમાંથી અડધોઅડધ એટલે કે 36 ગોલ એકલા મેજર ધ્યાનચંદદ્વારા કરવામાં આવ્‍યા હતા. ધ્યાનચંદે તેમને મળેલી દરેક તકનો ખૂબીપૂર્વક ઉપયોગ કર્યો. તેના લીધે તેમની 1928માં નેધરલેન્ડના એમ્સ્ટરડમ ખાતે રમાનાર સમર ઓલમ્પિક માટે ભારતીય હોકી ટીમમાં પસંદગી કરવામાં આવી. તેમની હોકી સ્ટીકના જાદુના સહારે ભારતે ફાઈનલમાં નેધરલેન્ડને 3-0થી પરાજય આપીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો.

સેન્ટર ફોરવર્ડના ખેલાડી તરીકે જાણીતા એવા ધ્યાનચંદે નેધરલેન્ડના પરાજયમાં મુખ્ય ભૂમિકા નીભાવતા 2 ગોલ કર્યા. દિવસે દિવસે ધ્યાનચંદની લોકપ્રિયતા વધી રહી હતી અને તેની સાથે તેમના વિરોધીઓ પણ. 1928માં તેમના વિરોધીઓએ હોલેન્ડ ખાતે ધ્યાનચંદની હોકી સ્ટીક તોડીને ક્યાંક તેમની રમતનું રહસ્ય લોહ ચુંબક તો નથી ને એ વાતની ખાતરી કરવામાં આવી. પરંતુ તેમના વિરોધીઓને નીરાશા જ સાંપડી.
1932માં તેમણે અમેરીકાના લોસ એન્જલિસ ખાતે રમાયેલી સમર ઓલમ્પિક ગેમ્સમાં 1928ની રમતનું પુનરાવર્તન કર્યુ. ભારતે ગૃહ ટીમને ધ્યાનચંદની રમતના સહારે 24 વિરૂદ્ધ 1 ગોલથી કારમો પરાજય આપ્યો. ભારતીય ટીમના કુલ ગોલમાંથી ત્રીજા ભાગના એટલે કે આઠ ગોલ તો એકલા ધ્યાનચંદે ફટકાર્યા હતા.ભારતીય હોકી ટીમ તરફથી રમતા તેમના ભાઈ રૂપસિંહમાં પણ ધ્યાનચંદની રમતની ઝલક જોવા મળતી હતી. 1932માં ભારતે કરેલા 338 ગોલમાંથી 133 ગોલ તો માત્ર ધ્યાનચંદના જ હતા.

1935માં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમે કુલ 43 મેચમાં 584 ગોલ કર્યા. તેમાંથી 201 ગોલ ધ્યાનચંદના નામે હતા.
1936માં ફરી એકવાર ઓલમ્પિક ગોલ્ડ મેડલના લક્ષ્ય સાથે ધ્યાનચંદ જર્મનીના બર્લિન ખાતે પહોંચ્યા. ઉલ્લેખનિય છે કે આ ઓલમ્પિક ગેમ્સ શરૂ થયા પહેલા ધ્યાનચંદની રેજીમેન્ટે તેઓ વઝીરીસ્તાન ખાતે એક લડાઈમાં લડી રહ્યા હોઈ તેમને બર્લિન ઓલમ્પિકમાં રમવાની મંજૂરી આપી નહોતી. પાછળથી તેમને બર્લિન જવાની મંજૂરી આપવામાં આવી.ભારતીય ટીમે ફાઈનલમાં જર્મનીનો સામનો કરવાનો હતો.  મેચ શરૂ થયા પહેલા એક નોંધપાત્ર ઘટનાક્રમમાં ભારતીય ડ્રેસીંગ રૂમમાં તીરંગો ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રગીત તરીકે વંદે માતરમનું ગાન કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે ભારત તે વખતે અંગ્રેજોના આધિપત્ય હેઠળ હોઈ આ ઘટના દેશવાસીઓ માટે આનંદ અને ગર્વદાયક હતી.

આ ફાઈનલ મેચ નીહાળવા જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલર પણ હાજર હતો. તે પણ ધ્યાનચંદની રમતથી ખાસ્સા પ્રભાવિત થયા. મેચ પૂરી થયા પછી હિટલરે જર્મન લશ્કરમાં ફિલ્ડ માર્શલ તરીકે જોડાવવાનો ધ્યાનચંદ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. જો કે ધ્યાનચંદે દેશપ્રેમ દર્શાવતા નમ્રતાપૂર્વક તે પ્રસ્તાવને ફગાવી દિધો.

ધ્યાનચંદે ઓલમ્પિકમાં ભારતના 38માંથી 11 ગોલ કર્યા. જ્યારે પ્રીઓલમ્પિક મેચોમાં ધ્યાનચંદે ભારતના 175માંથી 59 ગોલ કર્યા. બીજા વિશ્વયુદ્ધ પછી 42ની ઉંમરે પણ ધ્યાનચંદે રમવાનું ચાલુ રાખ્યું. તેમણે ઈસ્ટ આફ્રિકામાં કુલ 22 મેચમાં 61 ગોલ કર્યા.1948માં તેમણે હોકીમાંથી નિવત્તિ સ્વીકારી. નિવૃત્ત થયા પછી ધ્યાનચંદે પટીયાલા ખાતેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટમાંથી કોચીંગમાં ડિપ્લોમા કર્યો. જો કે હોકીની રમતને સમર્પિત આ ખેલાડી કોચીંગમાં નિષ્ફળ નીવડ્યા. ઓસ્ટ્રીયાના વિયેના ખાતે ધ્યાનચંદના હોકી સ્ટીક પરના કાબૂની ખૂબીને ધ્યાનમાં લઈને તેમની એક મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે. તેમાં તેમના ચાર હાથ દર્શાવવામાં આવ્યા છે અને દરેક હાથમાં એક એક હોકી સ્ટીક.
1956માં ધ્યાનચંદ લશ્કરમાંથી નિવૃત્ત થયા. તે વખતે તેઓ મેજર હતા. ભારત સરકારે તેમનું દેશના ત્રીજા ક્રમના શ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મભૂષણથી નવાજ્યા છે. જો કે આ મહાન ખેલાડીનું 1979ના ત્રીજી ડિસેમ્બરે મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુના એક વર્ષ પછી ભારતીય ટપાલ વિભાગે તેમની સ્મૃતિમાં એક ટપાલ ટીકીટ બહાર પાડી. તેમજ નવી દિલ્હી ખાતે ધ્યાનચંદ નેશનલ સ્ટેડીયમ બનાવવામાં આવ્યું.

Today-Is-National-Sports-Day-Find-Out-Which-Athlete-Is-Celebrated-This-Day
today-is-national-sports-day-find-out-which-athlete-is-celebrated-this-day

ધ્યાનચંદ સાથે જોડાયેલા રસપ્રદ ફેક્ટ :

  • ધ્યાનસિંહ રાત્રે પ્રેક્ટિસ કરતા હતા, માટે તેમને સાથી ખેલાડીઓ દ્વારા ઉપનામ ‘ચાંદ’ આપવામાં આવ્યું.
  • મેજર ધ્યાનચંદને બાળપણમાં હોકી નહી પણ કુશ્તીથી પ્રેમ હતો.એક વખત જ્યારે ધ્યાનચંદ એક મેચ દરમિયાન ગોલ ફટકારી નહતા શક્યા તો તેમને ગોલ પોસ્ટના માપ પર શંકા વ્યક્ત કરી હતી. અંતે તે સાચા હતા. ગોલ પોસ્ટ આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ નિર્ધારિત ન્યૂનતમ પહોળાઇ નહતી.
  • ધ્યાનચંદ 22 વર્ષ સુધી ભારત માટે રમ્યા અને 400 આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા.
  • ધ્યાનચંદનું 3 ડિસેમ્બર,1979માં દિલ્હીમાં નિધન થઇ ગયું. ઝાંસીમાં તેમના અંતિમ સંસ્કાર તે મેદાન પર કરવામાં આવ્યા જ્યા તે હોકી રમતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.